બુધવાર, 22 મે, 2013

Exclusive 2005


માનસ મહાત્મામાં એક અનોખો ત્રિવેણી સંગમ 

પૂ  મોરારી બાપુએ સાબરમતી આશ્રમમાં ગાંધીકથા કરી 


પ્રસ્તુત અહેવાલ 'વિચારધારા' સાપ્તાહિકના ૨૭ ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં પ્રકાશિત થયો હતો - પ્રસ્તાવના અને સંપાદન શ્રી સૌરભ શાહ  

બીજી ઓક્ટોબરે પૂર્ણાહુતી પામેલી પૂ. મોરારી બાપુની રામકથા એક અલગ અંદાજથી શરુ થઈ. સાબરમતી આશ્રમના પરિસરમાં યોજાયેલી આ કથાના આરંભ સમયે અમદાવાદ પાણીમાં ડૂબેલું હતું. આમછતાં કથા નિર્ધારિત દિને શરુ થઈ અને વરસાદ થંભી ગયો, ઉઘાડ નીકળ્યો, નવે નવ દિવસ કોરા રહ્યા. આ કથાના યજમાનની જવાબદારી 'ગુજરાત સમાચાર' દૈનિકના શિરે હતી. અખબારના માલિકતંત્રી શ્રેયાંસ શાહ અને કથાના ઉદ્ઘાટક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે કડવાતૂરા ખાટા તીખા સંબંધો છે તે સૌ કોઈ જાણે છે. ગાંધી કથા નિમિત્તે બેઉ બળિયા ભેગા થયા, જેમાં પૂ.મોરારી બાપુએ સેતુની ભૂમિકા ભજવી. પત્રકારત્વની ચીલાચાલુ ભાષામાં કહીએ તો હવે સમય જ કહેશે કે આ સેતુ પરથી પસાર થઈને સામે છેડે ઉભેલી વ્યક્તિ સાથે દોસ્તી કરવની પહેલ કોણ કરશે. વોચ ધિસ સ્પેસ. અહી કથાના બીજા દિવસે કથાની શરૂઆત પહેલાં થયેલાં ત્રણેય મહાનુભાવોનાં પ્રવચનો તમારા સ્વાદ માટે આપ્યા છે. વાંચશો તો બિટ્વીન ધ લાઇન્સ મઝા આવશે. 

'ગુજરાત સમાચાર'ના માલિકતંત્રી શ્રેયાંસ શાહનું પ્રવચન 
વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ, પાંચ કરોડની જનતાના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, કાર્તિકેયભાઈ, અમૃતભાઈ અને સૌ આમંત્રિત મહેમાનો. જેની પુણ્યભૂમિ ઉપર ઉભા છીએ તે પૂજ્ય મહાત્મા ગાંધીને વંદના. 'ગુજરાત સમાચાર' વતી પૂજ્ય મોરારી બાપુનું, નરેન્દ્રભઈનું અને આપ સૌનું સ્વાગત કરતા ખૂબ, અત્યંત આનંદ હર્ષનો ઉમળકો અનુભવું છું. ચમત્કારોમાં સામાન્ય રીતે હું માનતો નથી, પણ આજની આ કથાનું જે કઈ આયોજન થયું છે તે મારે મન ચમત્કાર સિવાય બીજું કંઈ જ નથી. શુક્રવારની મધ્યરાત્રિએ બાર-એક વાગ્યા સુધી વરસાદ વરસતો હતો, અમારા મનમાં હતું કે અમે આવતી કાલે આ કથાનું આયોજન કરી શકીશું કે નહિ? શુક્રવારે રાત્રે દસ વાગ્યે મોરારી બાપુ સાથે વાત કરી તો મોરારી બાપુએ કહ્યું કે તમે કંઈ ચિંતા ન કરશો. બીજે દિવસે સવારે દસ વાગ્યે બાપુને મળ્યો. કંઈક એવો ચમત્કાર જોયો કે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યા સુધી જે વરસાદ હતો તે ગાયબ થઈ ગયો. દસ દિવસથી સૂર્યના જે દર્શન નહોતાં થતાં તે દર્શન થયાં અને બાપુને મળ્યો ત્યારે નક્કી કર્યું કે આપણે આજની તારીખ સાચવીશું અને પોથીપ્રસ્થાન કરીશું અને આવતી કાલથી રોજના મુજબની બીજી ઓક્ટોબરે આપણી આ કથાનું આયોજન શરુ કરીશું.
આ કથા પાછળ મોરારી બાપુનું મનોબળ ખરેખર ખૂબ મક્કમ હતું કે મારે આ કથા કરાવી છે. અને આ મનોબળના કારણે જ આ થયું છે. પૂજ્ય મહાત્મા ગાંધીનું મનોબળ મક્કમ હતું કે મારે આ દેશને સ્વતંત્રતા અપાવવી છે... જ્યાં જ્યાં તે કથા કરવા જાય છે ત્યાં એમનું મનોબળ હોય છે... મોરારી બાપુની વાત કરું તો મોરારી બાપુ માત્ર ધર્મની કથાઓ જ નથી કરતા એમને સાહિત્ય પ્રત્યે પણ એટલી જ રુચી છે. સાહિત્યકારો હોય, કવિઓ હોય, પત્રકારો હોય, બીજી જે જે કોઈ વ્યક્તિઓ હોય એમના માટેની સવિશેષ રુચી છે. વર્ષમાં એક વાર એ સાહિત્યકારોનું અભિવાદન કરે છે. અને એ અભિવાદન કઈ રીતનું કરે છે એ પણ જાણવા જેવું છે. સાહિત્યકારોને બોલાવે છે, મંચ પર ઉભા રાખે છે, મોરારી બાપુ સરસ વક્તા છે પરંતુ સારા વક્તાએ સારા શ્રોતા થવું એટલે એ દિવસે મોરારી બાપુ જયારે પણ સભામાં બેઠા હોય ત્યારે એ બધાની વચ્ચે એમની વાતો સંભાળે. ત્રણ કલાક બેસે અને ત્યારબાદ એમને સાલ ઓઢાડી એમનું સન્માન કરે. એમને કવિતામાં પણ ઊંડો રસ છે. ધર્મમાં પણ ઊંડો રસ છે અને ધર્મને જે રીતે સમજાવે છે એ ખરેખર અકલ્પનીય છે. 

ગાંધી બાપુની જેટલી સરળતા અને સાદગી છે એટલી જ મોરારી બાપુની સરળતા અને સાદગી છે. એક પ્રસંગ યાદ આવે છે મને. મોરારી બાપુ એક વખત જઈ રહ્યા હતા અને પ્રવાસમાં તેમણે એક વ્યક્તિ મળી. માનસ બહુજ સામાન્ય હતો. ગામ તલગાજરડાની આજુ બાજુનો જ એ વાતની હતો. બાપુને કહ્યું કે બાપુ મારા ઘરે પધારશો? બાપુએ તેમની ટેવ પ્રમાણે હા પાડી. એમના ઘરે ગયા. પછે એણે બાપુને કહ્યું 'લો બાપુ તમે મારા ઘરે આવ્યા છો તો આ બીડી પીશો?' બાપુએ નાં પડી. 'ભાઈ, હું તો બીડી પીતો નથી'. થોડી વાર થઈ પછી પેલા ભાઈએ જાતે પોતે બીડી પીવા માંડી. થોડીવાર પછી ભક્તોએ પૂછ્યું કે બાપુ એ તમારી સામે બીડી ફૂંકતો હતો ત્યારે તમે એને એવું કરવાની ના નહિ પડી? બાપુએ બહુ સરસ શબ્દોમાં કહ્યું 'ભાઈ મારું કામ હું કરતો હતો, એનું કામ એ કરે છે. જીવનમાં દરેક વ્યક્તિ પોતાનું કામ કરે છે. વ્યક્તિ બીજાનો અવરોધ ન કરે તો આ જીવનનું કલ્યાણ થઈ શકે.' આટલા સરળ હૃદયના બાપુ છે. મારે બાપુનો ખાસ ઉપકાર માનવાનો. 'ગુજરાત સમાચાર' સાથે તેમને ૩૦ વર્ષથી સતત સંબંધ રહ્યો છે. ૩૦ વર્ષ પહેલાં પણ 'ગુજરાત સમાચાર' ભવનમાં તેમના પગલા થયાં હતા. આજે પણ એમની જયારે 'ગુજરાત સમાચાર'ને આ કથાનું આયોજન કરવાનું આમંત્રણ આપ્યું હતું એ સ્વીકારીને ખરેખર અમારા ઉપર ઉપકાર કર્યો છે.

ખાસ સવિશેષ આ કથાનું મહત્વ એટલા માટે છે કે ૧૯૩૨માં જયારે 'ગુજરાત સમાચાર'નો જન્મ થયો ત્યારે સ્વતંત્રતાની લડતમાં 'ગુજરાત સમાચાર'એ પણ ઘણું બધું સહન કર્યું હતું... મારે અહી ખાસ ઉલ્લેખ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો કરવાનો રહ્યો. દોઢેક માસ પૂર્વે હું એમને નિમંત્રણ આપવા ગયો હતો ત્યારે બહુજ ઉમળકાથી તેમણે આ નિમંત્રણનો સ્વીકાર કરેલો. બાપુ માટેનો ભક્તિભાવ, 'ગુજરાત સમાચાર' માટેનો પ્રેમ એમને ખૂબ સરળતાથી સ્વીકાર કરી લીધો. એ કહે 'હું મારા બધા જ કાર્યક્રમો કેન્સલ કરીને પણ અહીયાં આવીશ.' શુક્રવારે જયારે મારે એમને ના કહેવાની આવી કે કાર્યક્રમ એક દિવસ માટે મુલતવી રાખ્યો છે ત્યારે એમને સાંજે જ ખ્યાલ આવી ગયો હતો કે વરસાદ છે એટલે મેં ફોન કર્યો છે. નરેન્દ્રભાઈ મને કહે 'મને ખબર છે કે તમે શા માટે ફોન કર્યો છે. વરસાદ છે. હું સમજી શકું છું તમારી લાગણી.' મેં કહ્યું 'હું તમને કદાચ બીજી તારીખ માટે ફોન કરીશ.' બીજે દિવસે મેં જયારે તેમણે ફોન કર્યો ત્યારે એમણે કહ્યું 'તું ચિંતા ન કરીશ. મારું આ ઘર છે. હું ચોક્કસ આવીશ.' અને રવિવાર સાંજ હોય કે સોમવાર એમણે મારા આમંત્રણનો સ્વીકાર કર્યો છે. હું આપ સૌ વતી 'ગુજરાત સમાચાર' વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું... ગુજરાતના મુખ્યમંત્રી અહી બેઠા છે આપણે સૌ એમને એવું મનોબળ આપીએ કે સરસ અને સુરાજ્ય રામરાજ્ય સ્થાપી શકીએ એવી હું આપ સૌ વતી નરેન્દ્ર મોદીને પણ પ્રાર્થના કરું છું. સૌનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રવચન 
રામભક્ત પૂજ્ય બાપુનો આજે જન્મદિવસ છે. પ્રભુ રામને આપણે પ્રાર્થના કરીએ કે અનેકોનેક વર્ષ એમની વાણીનો, એમના જ્ઞાનનો, એમના અનુભવનો લાભ માનવજાતિને મળતો રહે, સમય પ્રમાણે શાસ્ત્રોની વ્યાખ્યા કરીને જન્સમાંજાનું માર્ગદર્શન કરતા રહે અને સમયાનુકૂલ પરિવર્તન માટે થઈને પ્રેરણા આપતા રહે, એ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કારણકે શુભેચ્છાઓ આપવા માટે તો હું નાનો કહેવાઉં, આમ ગોઠે જ નહિ... કે શુભેચ્છા આપીએ આપણે એટલે ઈશ્વરને જ પ્રાર્થના કરીએ કે સઘળું વરસાવે. ગાંધી આશ્રમમાં આજે આ કથા થઇ રહી છે. આને હું બહુજ સામાજિક સંકેત ગણું છું. આને હું ટીકાના અર્થમાં વિચારતો નથી. હું જે વાત કરું છે તેને પુરા સ્વરૂપમાં પકડવામાં આવે, નહિ તો પાછું આમાંય... જોકે કાલે શક્યતા ઓછી છે...

આ પૂજ્ય બાપુની તપોભૂમિ છે. બાપુના ગયા પછી ઘણા વર્ષો પછી પણ એમનાં તાપ, એમનાં તેજ, એમનાં વાયબ્રેશંસ અહી આવનાર પ્રત્યેક વ્યક્તિ અનુભવતી હોય છે. એવી જગ્યાને પણ ક્યારેક ક્યારેક એવા અવસરની જરૂરિયાત હોય છે કે જે અવસર ક્લેરિફિકેશનની પ્રક્રિયાને વધારે તેજ કરે. અને હું માનું છું કે આ અવસર એવો અવસર છે કે પૂજ્ય બાપુના એ તાપોકાળને ફરી એકવાર ચેતનવંતો બનાવવામાં, ફરી એકવાર એના સ્પંદનોને વધારે વિશાળતા તરફ લઇ જનારો બની રહેશે. અને એ અર્થમાં આ તપોભૂમિમાં આ કથા ખૂબ ખૂબ આવશ્યક છે અને એમાંથી પ્રેરણા એ જ કે બધી જ જગ્યાએ, બધી જ વ્યવસ્થાઓમાં, બધી જ વ્યક્તિઓમાં, સમયાંતરે આ પ્રકારનો, ક્લેરિફિકેશનનો યજ્ઞ જરૂરી હોય છે. શુદ્ધિ યજ્ઞ આવશ્યક હોય છે. દરેક વ્યવસ્થા માટે આવશ્યક હોય છે...

કથા મોદી કેમ થઇ? વરસાદ કેમ નડ્યો? બાપુનું તપ કેમ ફળ્યું? આ બધા માટે બધી બાબતો હશે. મને એક કારણ જુદું દેખાય છે. સાબરમતીમાં નર્મદાનું પાણી વહે છે, પણ ઈશ્વરની ઈચ્છા એવી હતી કે આ કથા થાય ત્યારે કમસેકમ એટલા દિવસ તો સાબરમતીમાં સાબરમતીનું પાણી વહે. અને આનંદની વાત છે કે આજે સાબરમતીમાં સાબરમતીનું પાણી છે. ધરોઈ ડેમમાં વર્ષો પછી દરવાજા ખોલવાનો વારો આવ્યો. અને સાબરમતીનું અસલી સાબરમતીનું પાણી આજે સાબરમતીમાં વહી રહ્યું છે અને એવે વખતે જે સાબરમતીના કિનારે તપસ્યા ચાલતી હતી, આઝાદીના જંગનો યજ્ઞ ચાલતો હતો, જ્યાં આહુતિઓ અપાતી હતી, જ્યાં સંકલ્પો લેવાતા હતા એવી આ ભૂમિમાં બુરાઈઓની આહુતીનો અવસર છે...

આજના યુગમાં જગતની અંદર વિચારો, કૃતિઓ, એનો કોઈ તોટો નથી પણ જોટો ન હોય એવી કૃતિઓ ઓછી હોય. તોટો ન હોય એવી કૃતિઓનો અંબર છે. પણ જોટો ન હોય એવી કૃતિઓ ઓછી હોય. એવી કૃતિ એટલે આપણે હજારો વર્ષથી પ્રેરણા આપતું રામચરિત માનસ. આ સમાજની વિશેષતા જુઓ આપના પૂર્વજોએ કેવી પરફેક્ટ વ્યવસ્થા કરી છે કે સનાતન સત્યના પ્રકાશમાં સમાયાનુફૂલ ચિંતન કરીને જે કાલબાહ્ય છે તેની મુક્તિ, જે કાલાતીત છે તેનો અનુગ્રહ અને જે કાલના નિર્માણ માટે આવશ્યક છે તેનો સંગાથ લઈને ચાલવું. આ એક અદ્ભુત વ્યવસ્થા સહસ્ત્રો વર્ષોથી આપણે ત્યાં વિકસેલી છે. આના કારણે મૂળ સનાતન સત્યમાંથી પ્રેરણા લઈને આપણે આજે પણ રામજી આવે અને શીલાને સ્પર્શ થાય અને એમાંથી અહલ્યા બને કે ન બને પણ મનમાં ઈચ્છા તો જાગે કે રામચરિત માનસમાં શું થઇ રહ્યું છે અને સમભાવ છે કે કોઈના મનમસ્તિષ્કમાં પડેલો પથરો પીગળે અને અહલ્યાનું રૂપ એની અંદર આવિષ્કાર થાય જે કલ્યાણના માર્ગે લઇ જાય.

 આ તો એની શક્તિ છે અને આ શક્તિનો ભરોસે જ તો સમાજજીવન ચાલતું હોય છે. રામાયણમાં અનેક પાત્રો છે. હું મારી વાત કરું છું, મને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી પણ મને એમ લાગે કે જટાયુથી વધારે પ્રેરક આજે રામાયણનું કોઈ પાત્ર ન હોઈ શકે. વિશ્વ આખું જયારે આતંકવાદની જકડમાં જકડાયું હોય ત્યારે માનવતાને ખુલ્લે આમ રહેંસી નાખવામાં આવતી હોય ત્યારે, સમગ્ર માનવજાતને ચૂંથી રહ્યા હોય ત્યારે આપણે યાદ આવે એક જટાયુ, જે એ વખતે આતંકવાદ સામે ઝઝૂમવા માટે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળી પડ્યું હતું. એક જટાયુ જેણે અભયમનો સંદેશો આપ્યો હતો. જેણે વીરગતિનો સ્વીકાર કરીને મૂલ્યને માટે મોતને વહાલું કર્યું હતું... અંગ્રેજ સલ્તનતની સામે બાપુનું જીવન આમ તો જટાયુ જેવું. સલ્તનતની સામે મુલ્યોને ખાતર ઝઝૂમતા રહ્યા અને એ તપોભૂમિમાં રામચરિત માનસનો પાઠ થતો હોય અને ત્યારે જટાયુ આપણી સામે આવે ત્યારે અભયામાનો સંદેશો આપણને આપી જાય. પૂજ્ય બાપુ, એમની વાણી, એમનું સમાયાનુકુલ ચિંતન આવનારા દિવસોમાં આપણને સૌને પ્રેરણા અપાતા રહેશે. 'ગુજરાત સમાચાર'ના મિત્રોને આવો એક શુભ પ્રસંગ કર્ણાવતીની ધરતીને આપવા માટે હૃદયપૂર્વક અનેક અનેક અભિનંદન પાઠવું છું. આજે પૂજ્ય બાપુના જન્મદિવસે એમનાં શ્રી ચરણોમાં વંદન કરું છું. જય શ્રી રામ.

પૂજ્ય મોરારી બાપુનું પ્રવચન (*અહેવાલ મોટો હોવાથી પ્રવચનનો સાર રજૂ કર્યો છે)
રામકથાના બીજા દિવસે ઉપસ્થિત આપના રાજ્યના મુખ્યમંત્રીશ્રી આદરણીય નરેન્દ્રભાઈ, સમગ્ર આયોજનના નિમિત્ત માત્ર યજમાન શ્રેયાંસભાઈ અને 'ગુજરાત સમાચાર' પરિવાર, જે તપોભૂમિ પર આપણે બેઠા છીએ તેની સુવ્યવસ્થા કરવામાં લાગેલા આદરણીય અમૃતભાઈ મોદી અને આપ સૌ મારા ભાઈ બહેન અને ટીવીના માધ્યમથી પોતાના ઘરમાં રામકથા સાંભળનાર દરેક શ્રોતા ભાઈ બહેનને વ્યાસ પીઠ પરથી મારા પ્રણામ.

હું જ્યારથી બોલી રહ્યો છું ત્યારથી કહું છું કે રામકથા શું છે? તે મારે એક વાક્યમાં કહેવાનું હોય તો હું કહીશ કે રામકથા સેતુબંધની કથા છે. સેતુબંધમાં પત્થર હોય, ઈંટ હોય એ એક બીજાની જોડવામાં મારી પાસે આ ઈંટ છે. આજે આ બેય જાના કેટલા સારા લાગે છે! આપણા રાજ્ય ગુજરાતના, જેમ પગ ધરતી પર કાયમ રહ્યા, પગે ધરતી છોડી નથી અને એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને 'ગુજરાત સમાચાર'ના મુખ્ય તંત્રી... છતાં પણ સેતુને વારંવાર રીપેર કરવો પડે છે. એક મોટો સેતુ વિચારોનો... હૃદયનો... આજે મને એક હાર્ટસ્પેસીયલીસ્ટે મહુવાથી ફોન કર્યો. તેણે મને કહ્યું કે બાપુ આજે 'વિશ્વ હાર્ટ દે' છે. જેમ ઘણા 'ડે' નીકળ્યા છે ને. એટલા બધા 'ડે' નીકળ્યા છે કે હવે રાત્યું બગાડી નાખી છે... આજે 'હાર્ટ ડે' છે અને જ્યાં ગાંધી બાપુનું હૃદય કુંજ છે એ જ તપોભૂમિમાં આજે હૃદયથી મળતા આ દ્રશ્ય જોઉં છું ત્યારે આનંદ થાય છે. સમગ્ર ગુજરાતના વિકાસ અને રાષ્ટ્ર કલ્યાણની વાત હોય ત્યારે આપણે એક ન થઇ શકીએ? મેં ઈંટ મૂકી છે હવે ધ્યાન રાખજો. શ્રેયાંસ ભાઈએ કહી દીધું કે આપનો આદેશ... ધન્યવાદ....

વિશ્વ વંદનીય ગાંધી બાપુએ શું કર્યું હતું? સબ નાર કરત પરસ્પર પ્રીતિ - રામરાજ્યનું પ્રધાન સૂત્ર છે. એવી સ્થિતિમાં જીવવું એ રામરાજ્યમાં જીવ્યું કહેવાય. ગુજરાતની ઈર્ષ્યા કોને થતી નથી? દૂરરરરર... મુલકો સુધી કોણ સહી શકે છે? અને એમાય આ વખત ધધુંબી એવી વર્ષા થઇ છે... રાજ્ય સત્તા લીલીછમ... લોકોય લીલાછમ... આખી અવની પણ લીલીછમ... બસ મારી વ્યાસપીઠ ચાહે છે કે આ હરિયાળી કાયમ રહે.

મને વિશ્વાસ હતો, મેં શ્રેયનભાઈને પણ કહ્યું અને તેઓ વિવેક થાડા ચૂકે? તેમણે કહ્યું કે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીને નિમંત્રણ આપવા જઈશ, રાજ્યપાલશ્રીને કહીશ પણ તેમને સમય હશે... મેં કહ્યું, જરૂર આવશે સાહેબ, એકવાર જઈને તો જુઓ. અનિવાર્યતા હોય તે અલગ વાત છે. ક્યાંક બહાર ગયા હોય, પણ આવશે, જરૂર આવશે, ઘણો આનંદ થાય છે. સત્તા પાસે વિવેક ન હોય તો સત્તા ટકાઉ નહિ બીકાઉ થઇ જાય છે. એવી જાણ કરવામાં આવી કે અમે મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા તો એમણે કહ્યું કે મોરારી બાપુ જે તારીખ આપે તે મારી તારીખ... સારું લાગે છે. જમાને મેં કઈ ઐસે ભી નાદાન હોતે હૈ વહાં લે જાતે હૈ કશ્તી જહાં તૂફાન હોતે હૈ... હું ઘણો ખુસ થાઉં છું.  હું આજે રાત્રે બંને પાસે બેસી ખૂબ દુઆ દેવાનો છું. એય માતાજી તમને સાજા નરવા રાખે. નરેન્દ્ર મોદી અહી આવ્યા છે. એ શ્રેયાંસ ભાઈ તો યજમાન છે. આથી એક પરિવારમાં બેસીને હું બોલી રહ્યું છું અને અને આ રીતે અમે ઘણીવાર બેઠા છીએ. હરિયાણામાં. કયા નગરમાં કથા હતી? રોહતક, તમે ત્યાના જ પ્રભારી હતા. લોકો કહેતા કે તમે મોરારી બાપુના ભાઈ છો કે મોરારી બાપુ તમારા ભાઈ? આનંદ થાય છે બાપ! ઘણો જ આનંદ આવે છે... હમે હમ જહાં હૈ વહી સે યહ કામ કરના હૈ કે આઓ ગળે લગે મિલે મુશ્કિલ તો હોગી... સૂરજ બનકર દેખ લિયા ન સૂરજ સા રૂપ જળ કર... પત્રકાર જગતમાં પણ આપ આગળ છો. નરેન્દ્રભાઈ ધરતી પર પગ રાખી લોકોની સેવામાં લાગ્યા છે...

ગાંધી જયંતીના દિવસે રામકથાની પુર્ણાહુતી થઇ : એક રિપોર્ટ
શબ્દો ઘણા છે એટલે દિલગીર છું અને ઉપર બધું કહેવાઈ ગયું છે એટલે જરૂર જણાતી નથી. 

સોમવાર, 20 મે, 2013

કાવ્ય અને તસવીરોનો અનોખો સમન્વય


ફોટોગ્રાફર કોઈ અદ્ભુત દ્રશ્ય તેના કેમેરામાં ઝડપે અને તે દ્રશ્ય પરથી કવિ કાવ્ય રચે એમાંથી એક અનોખું સર્જન નિષ્પન્ન થાય. ગુજરાતી ભાષા અને સાહિત્યનું જતન કરવાના ઉદ્દેશ્યથી અસ્તિત્વમાં આવેલ સંગીતકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશીની શબ્દસેતુ સંસ્થા અન્વયે એક અનોખા કાર્યક્રમનું આયોજન અમદાવાદના ટાગોર હોલમાં ૨૬ જુલાઈ ૨૦૦૭ ગુરુવારની રાત્રે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન થયું હતું. કવિનું કાવ્ય, નવલકથાકારની નવલકથા, ગઝલકારોની ગઝલ, વિચારકોના વિચાર, ચિંતકોનું ચિંતન, હસ્યાકારોનું હાસ્ય સાહિત્યની અનેક રંગ છટાઓ શબ્દસેતુની પરિકલ્પનાઓ છે. ગુજરાતી ભાષામાં ઘણું લખાયું છે, લખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ લખાતું રહેશે એમાં કોઈ બેમત નથી પરંતુ શબ્દસેતુની સાધના આ સાહિત્યને લોકો સુધી પહોચતું કરવાની છે.

શબ્દસેતુના આ કાર્યક્રમમાં તસવીરકારોની તસવીરો અને કવિઓના કાવ્યની બેવડી અનુભૂતિ સભાગૃહમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ કરી. એક પછી એક તસવીરો પ્રોજેક્ટર પર પ્રગટ થતી રહી અને તસવીર પર કવિઓએ તેમના કાવ્યનું પઠન કર્યું. કવિ અંકિત ત્રિવેદીએ કાવ્યમય રીતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. કવિઓ અને તસવીરકારોના સર્જનનો રસાસ્વાદ અંકિત ત્રિવેદીની મૌલિકતા વગર કદાચ અધૂરો લાગત.

કાર્યક્રમની શરૂઆત પહેલાં આ તસવીરકારોની ૪૦ તસવીરો પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. ફોટોગ્રાફ્સ સ્પષ્ટ નિહાળી શકાય તે માટે સભાગૃહમાં અજવાળું આછું રાખવામાં આવ્યું હતું. લાઈટ્સની ગોઠવણી કાર્યક્રમ અનુરૂપ હતી. સતેજ પર વિષય અનુરૂપ મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટરની એક બાજુ કવિઓ બેઠા હતા ત્યાં ફોટોગ્રાફરના સિમ્બોલ મુકવામાં આવ્યા હતા અને બીજી બાજુ કવિઓની પ્રતિકૃતિ સમાન કેટલાક પુસ્તકો મુકવામાં આવ્યા હતા. પ્રોજેક્ટર પર ફોટોગ્રાફ્સ દ્રષ્ટિગોચર થતા હતા તેમ તેમ અલગ અલગ કવિઓએ તે તસવીરો પર તેમની કાવ્ય રચનાઓ રજૂ કરી. ક્રમ આ પ્રમાણે હતો - તસવીર પરથી કવિની રચના, ત્યારબાદ એક શબ્દ પરથી ગઝલ કે કંઈક એ પ્રકારનું.

જોગેશ ઠાકરની યાત્રા તસવીર પર કવિ મકરંદ મુસળેએ કાવ્ય રજૂ કર્યું. એક હોડકામાં ગામના લોકો હોય તેવી તસવીર હતી. જેનું યાત્રા એવું નામ કવીએ આપ્યું અને હાસ્યરસ નિષ્પન્ન કર્યો અને ક્લોઝ-અપ શબ્દ પર ગઝલ રજૂ કરી:

લઉં બંધ આંખોથી સમયનો ક્લોઝ-અપ
ખોલું તો બ્લેન્ક ઘટનાઓનો ક્લોઝ-અપ
અહીં કાન આંખો વગરના લોકો
નથી મળતો ચહેરાનો ક્લોઝ-અપ
બધાય ભવ્ય ભૂતકાળ અમને બતાવે
તમારું તખલ્લુસ મકરંદ ક્યાં છે?


સુનીલ આડેસરના સીડીના દ્રશ્ય પરથી હિતેન આનંદપરાએ કાવ્ય રજૂ કર્યું. તેમને ક્લિક શબ્દ આપવામાં આવ્યો અને તેમણે ક્લિક ન કરી શકાય તેવી રચનાની વાત કરી. કેતન મોદીની વૃદ્ધ-વૃદ્ધાની તસવીર પર રઈશ મણિયારે કાવ્ય રજૂ કર્યું જેમાં હાસ્ય-કતાક્ષાનું નિરૂપણ હતું. વૃદ્ધ અને વૃદ્ધા ઓસરીમાં બેઠા છે. વૃદ્ધના હાથમાં છાપું છે અને વૃદ્ધા વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. ડેવલપ શબ્દ પર રઈશ મણિયારે ગઝલ રજૂ કરી:

જો બરાબર થશે આજ ક્ષણ ડેવલપ
એજ કરશે સદીનું વલણ ડેવલપ
કોકનો તેજમાં રંગ ઉડી ગયો
તિમિરમાં થયું કોક જન ડેવલપ
ઊપસે છે પળેપળ જીવનની છબિ
થાય છે સાથે સાથે મરણ ડેવલપ...
વાઘ જેવા મોભીને થાય છે એક જ ફિકર
વનમાં થતા રહે બસ હરણ ડેવલપ...
માર્ગ-યાત્રા-નકશો તૈયાર છે
બસ કરી લે તું ચરણ ડેવલપ
આપણે પણ રઈશ બોલશું જરૂર
થાય જો વાતાવરણ ડેવલપ ...


સમીર પાઠકની રીલીફ કેમ્પની તસવીર પર કવિ મુકેશ જોશીએ કાવ્ય રજૂ કર્યું. બે બાળકોની વચ્ચે તેમના પિતા સૂતા છે. છાતી પર સૂર્યનું અજવાળું દેખાય છે.

થાકેલ સૂરજને લાગ્યું થોભી જાઉ પળભર
તો અજવાળે પોરો ખાધો બાપુની છાતી પર
અને છાતી જાને સ્ટેટ બેંક હોય એવું જણાતું...
બાપુના પરસેવામાં સુખ બપોરે નહોતું
અમીર દિલમાંથી ઢોળાતા સો રંગ
રોજ ગરીબી સાથે એને સત્સંગ
ચ્હાની એ બે ચૂસકી મારી થતા ફ્રેશ...
એ રાતે બાપુને ઉપાડી અધમણ અધમણ ખાંસી...


મનોજ ધોળકિયાની તળાવના કિનારે પાણી પીતી ખિસકોલીના દ્રશ્ય પર કવિ અંકિત ત્રિવેદીએ કાવ્ય રજૂ કરતા કહ્યું, મને ખીસકોલીનો ફોટો કેમ આપ્યો એ નથી સમજાતું. ખિસકોલી મનના તરંગની નીપજ છે. મનોજ ભાઈએ મસ્તીથી તસવીર લીધી છે.

ખિસકોલી પીતી હો પાણી
એ તને કેવી મજાઓ આવે તળાવને
ખાલી માણસને આટલું સમજાવોને
પાણીને થતું કે કોઈ એને પીવે
એનો ખિસકોલી કરે છે મોક્ષ...

અંકિત ત્રિવેદીએ બ્લેક એન્ડ વ્હાઈટ શબ્દ પર આ રજૂઆત કરી:
આંખ સામે આલ્બમ જ્યાં જૂનું આવી જાય છે
બ્લેક એન્ડ વ્હાઇટ સમયમાં પણ રંગ ભીનો થાય છે
બના બોખા સ્મિતવાળો ચહેરો જયારે જોઉં છું
આજ પણ ફોટામાંથી વાર્તા સંભળાય છે
જે દીવાલો પર કરેલા હોય લીટા
એ જ દીવાલો પર ફોટા કંઈક તીન્ગાય છે
એક પણ એન્ગલથી એ મોડેલ જેવા છે નહિ
લગ્ન કરતા મમ્મી પપ્પા કેટલા શરમાય છે...


વિવેક દેસાઈની ઘોડા અને નાના બાળકની તસવીર પર ઉદયન ઠક્કરે કાવ્ય રજૂ કર્યું જેમાં ઘોડાનું માત્ર મસ્તક દેખાય છે અને બાળક ઘોડા સામે ઉભો છે. ઉદયન ઠક્કરના કાવ્યમાં પારિવારિક હાસ્ય પ્રગટ થયું. ફોટા શબ્દ પર તેમણે ગઝલ રજૂ કરી:

આસમાનમાં એકએક લીસોટા પડતા જોયા છે
ને વરસાદી રાતે વાયુના ફોટા પડતા જોયા છે
વચ્ચે આવે સોયનું નાકું બાકી સુખ તો સામે છે
લોકોને મેં મોટા ભાગે ખોટા પડતા જોયા છે...


શશીકાંત મહેતાની છત્રી ઓઢીને બેઠેલા યુવક યુવતીની તસવીર પર ડો.શ્યામલ મુનશીએ કહ્યું, જયારે એક મોટર બાઈક ઉપર એક છોકરો જતો હોય ત્યારે એ વિચારતો હોય કે ક્યાં, ક્યારે, કેટલા પેટ્રોલમાં જવાનું છે. પાછળ છોકરી વળગીને બેઠી હોય તો આ બધા પ્રશ્નો ગૌણ બની જાય છે.

સમય ટપકતો અને ભીની પલ છત્રી નીચે કંઈક વહે છે
ખળખળ ખળખળ છત્રી નીચે ને વૃક્ષ પૂરતું સીમિત ક્યાં રહે છે ચોમાસું...


કાર્યક્રમના બીજા દૌરમાં સૌમિલ મુનશીએ કવિઓ અને તસવીરકારોનું ફૂલોથી સન્માન કર્યું. ત્રીજા દૌરમાં કવિઓને સ્થળ પર જ તસવીરો બતાવવામાં આવી તેના પરથી કાવ્યો અને ગઝલો રજૂ થયા. જેમાં હાસ્ય, કટાક્ષ, કરુણ, શાંત રસો નિષ્પન્ન થયા. અન્નકૂટની તસવીર પર કવિ મુકેશ જોશીએ ધારદાર કટાક્ષો રજૂ કર્યા. ગરીબી-ભૂખમરો, ધાર્મિક વિધિઓમાં અંધશ્રદ્ધા આડંબરો છતી કરતી રચના રજૂ કરી. થોરની તસવીર પર ઉદયન ઠક્કરે રણ વિસ્તારની આંતરિક સ્થિતિનું વર્ણન કર્યું. મનુષ્યના અંતિમ પદવ એવા સ્મશાનમાં ભડભડ સળગતી ચિતાની તસવીર પર કવિ અંકિત ત્રિવેદીએ જીવનમાં સત્યનું, વાસ્તવિકતાનું તાદશ્ય નિરૂપણ કર્યું. ડો. શ્યામલ મુનશીએ રસ્તા વચ્ચે બેઠેલી ગાયોના તોલા વિષે કહ્યું કે ગાયોનો ઉપયોગ કરીએ પણ રસ્તા ઉપર આપણને જોવ મળે ત્યારે ખટકે છે જાણે રસ્તો આપણા બાપનો હોય.

કાર્યકાર્મમાં સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. 



(પ્રસ્તુત અહેવાલ 'વિચારધારા' સાપ્તાહિકના ૧૩ ઓગસ્ટ ૨૦૦૭ન અંકમાં પ્રકાશિત થયો હતો)  

શનિવાર, 4 મે, 2013

તમારા ગામમાં છે કોઈ 'ચિનો'?




ના તેને ચીન કે ચીનાઓ સાથે કોઈ લેવા દેવા નથી અને ચાઇનીજ વાનગી કે વસ્તુઓની પણ કોઈ વાત નથી. તેનું મૂળ નામ તો ચીનુભાઈ છે પણ ગામમાં તેને લાડથી અને મજાકથી અને અપમાનથી  ચિનો કહીને સંબોધિત કરે છે. ઘરડો હોય કે નાનું છોકરું બધા જ તેને ચિનો કહે. જોકે મને ગઈ દિવાળીએ તેની સાચી ઉંમરની જાણ થઇ ત્યારથી માનથી બોલાવવાનો પ્રયાસ કરું પણ આદતવસ  ચિનો એવું મોઢે આવી જ જાય. આ નામ કોણે અને ક્યારે પાડ્યું એ તો એને પણ યાદ નથી પણ બરાબરનું કોઠે પડી ગયું છે ૬૩ વર્ષ થઇ ગયા. ચિનુભાઈ કહીને બુમ પાડો તો ન સાંભળે પણ 'ચિનો' કહો એટલે તરત ડોક ઉંચી થાય. હું તો છેલ્લા પાંચેક વર્ષથી જ અહીં રહું છું પણ અહીં આવ્યાને પાંચ મહિના પણ થયા ન હતા અને ચિનાના દર્શન થઇ ગયા હતા. ઘરની બહાર પગ મુકો એટલે તેના દર્શન અચૂક થાય. ખભા પર ગેસનો બાટલો ઉપાડ્યો હોય કે પછી બીજી કોઈ વજનદાર વસ્તુ. વજન ઉપાડવામાં તેની માસ્ટરી સાફ સફાઈનું કે બીજું કોઈ આડું અવળું કામ તેને ન ફાવે. કોઈ નાની વસ્તુ મંગાવી હોય તો ચાર કલાકે પાછો આવે.  આખા ગામનું કામ કરે પણ રાતે મંદિર કે કોઈ વાડી. બધાયના દૂધ લાવી આપી અને ચા કીટલીની. અત્યાર સુધી કેટલાય બાટલાઓ ઉપડ્યા હશે પણ પોતાનું કનેક્શન નથી. ઘણાના મકાન દુકાન સાફ કાર્ય પણ તેની પાસે કોઈ મકાન દુકાન નથી. મારા ઘરે કંઈક નવું હોય તો અચૂક જમવાનું નિમંત્રણ મળે અને ક્યારેક અમસ્તું જ જમવાનું કહેવામાં આવે અને ઘણીવાર તે ન પણ આવે. હમણા એક દિવસ તેને જમવા બેસાડ્યો અને થાળીમાં ભજીયા અને લાડુ જોયા એટલે પાછા મૂકી દીધા કારણકે તેના કોઈ દૂરના સંબંધીનું અવસાન થયું હતું. ખરેખર તો તેના કોઈ સંબંધીએ ક્યારેય તેની કોઈ દરકાર રાખી નથી પણ ચિનો એનું નામ.

ઘણીવાર તે અદ્રશ્ય પણ થઇ જાય. દિવસો સુધી જોવા ન મળે. પાછો આવે ત્યારે મલકાતો મલકાતો ઘરમાં આવી જાય જાણે મોટું પરાક્રમ કરીને આવ્યો હોય. ખરેખર તો એ કોઈના સંઘમાં કે જાતરામાં સમાન ઉપાડવા ગયો હોય. હમણા વચ્ચે વડોદરા જઈ આવ્યો. ગયો ત્યારે લાગ્યું કે કડી પાછો નહિ આવે પણ તેને વજન ઉપડ્યા વગર જપ નથી વળતી. જોકે હમણાથી એ થાક્યો છે અને પરને વજન ઉપાડતો હોય એવું લાગે.  ગામમાં કોઈના ત્યાં પ્રસંગ હોય કે કથા બેઠી હોય ચીનાને અચૂક યાદ કરવામાં આવે. એ સમયે તેની પાસે બિલકુલ સમય ન હોય. શોષક અને શોષિત બંને ગુલતાન. ઘણીવાર ઘરે દૂરના સગાને ત્યાં ફોન કરાવવા આવે, આમ નજીકના પણ ખરેખર દૂરના. ચિનો મોબાઇલ રાખતો નથી. ખરેખર તો જરૂર જ નથી પણ તેના ખીસામાં કેટલાય વર્ષ જૂની ડાયરી પડી છે જેમાં કૈક નંબરો છે. 

હમણા ચિનાના થોડાક ફોટા પડી મારા પીસીમાં ડાઉન લોડ કરીને બતાવ્યા તો ચીનાભાઇ રાજી થઇ ગયા. ચિનાને ખબર પણ નથી કે મેં તેને દુનિયા સમક્ષ મૂકી દીધો છે. તમારા ગામમાં છે કોઈ 'ચિનો'?

બુધવાર, 1 મે, 2013

વિરલ વિચાર


 * મુસ્તાક હતો સખત પરિશ્રમ પર વિરલ નિષ્ફળ થયા પછી નર્યા વૈતરાનું ભાન થયું.

 *  કોઈ સારી બાબત પર ગર્વ કરવો સારી બાબત છે પણ ગર્વ જ કરતા રહેવું સારી બાબત નથી.

 * સર્જનશીલતા કોઇ મોટા પ્લેટફોમની મોહતાજ નથી હોતી પણ લોકોનું ધ્યાન ખેચવા અવશ્ય મોહતાજ હોય છે.

 * _/\_ માણસ બે રીતે હાથ જોડે »  આદર, વિશ્વાસ, પ્રેમ પ્રગટ કરવા...  હારી, થાકી, કંટાળી... દુનિયામાં આવો વિરોધાભાષ              
            ક્યાંય જોવા નહિ મળે.

  * માવાથી દાંત લાલ થાય, ગુટકાથી થાય પીળા અને સિગરેટથી કાળા, ગમે એટલું મથો તોયે ન રહે છાના તમારા ચાળા.

  * પોતાના વિચારો પર અડગતા અને જાત પર મક્કતા ન હોય તેણે વિરોધીઓ સામે દલિલ ન કરવી.

  * જયારે કોઈ લેખક જાતે જ એવું કહે કે તે સૌથી વધુ વંચાતાં લોકપ્રિય લેખક છે ત્યારે સમજવું કે તેનું વાંચન અને વિચારનું સ્તર      
     એકદમ માર્યાદિત થઇ ગયું છે.

શુક્રવાર, 15 માર્ચ, 2013

સ્વામી વિવેકાનંદ વચનામૃત

જો તમારે ભારતવર્ષને પીછાનવું હોય તો વિવેકાનંદના વચનામૃતોનું અધ્યયન કરો. એમના ગ્રંથોમાં સઘળું ભાવાત્મક છે, અભાવાત્મક કશું નથી. - રવીન્દ્રનાથ ટાગોર

સ્વામીજીના વિચારો વર્તમાનમાં કેવાં પ્રસ્તુત છે એ વાંચ્યા પછી ખ્યાલ આવશે.

* ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહિ. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવાની ઉપાસના કરવી નકામી છે. જેઓ શરીર અને મનથી પવિત્ર છે તેમની પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે પણ જેઓ પોતે અપવિત્ર હોવા છતાં બીજાને ધર્મ ઉપદેશાવા જાય છે તેઓ આખરે નિષ્ફળ નીવડે છે. બાહ્ય ઉપાસના એ આંતર ઉપાસનાનું પ્રતિક માત્ર છે. આંતર ઉપાસના અને પવિત્રતા એ જ સાચી વસ્તુ છે. એ વિના બાહ્ય ઉપાસનાનો કશો જ ઉપયોગ નથી.

 * મૂર્તિપૂજા ખોટી છે એમ કહેવાની જાણે કે એક ફેશન થઇ ગઈ છે. આજ કાલના સૌ કોઈ એ વિષે એક પણ પ્રશ્ન કાર્ય વિના એ ગળે ઉતારી લે છે. એક વખત હું પણ એમ ધારતો હતો. અને એના દંડ તરીકે મારે એક એવા માણસને ચરણે બેસવું પડ્યું હતું કે જેણે બધુંય મૂર્તિઓની મારફત મેળવ્યું હતું. જેનો હું ઉલ્લેખ કરું છું તે છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. જો મુર્તીપુજથી આવા રામકૃષ્ણ પાકતા હોય તો તમારે બીજું શું જોઈએ? સુધારાકોનો સંપ્રદાય કે પુષ્કળ મૂર્તિઓ? મૂર્તિપૂજા દ્વારા જો તમે રામકૃષ્ણ પરમહંસો પૈદા કરી શકતા હોવ તો હજારો વધુ મૂર્તિઓ રાખો અને ફતેહ કરો! આવી ઉચ્ચ પ્રકૃતિના પુરુષો ગમે તે ઉપાયોથી પૈદા કરો એટલે બસ. અને છતાં મુત્રીપુજાને તિરસ્કારવામાં આવે છે! શા માટે? એ કોઈને ખબર નથી. શું સૈકાઓ પૂર્વે કોઈ એક યહૂદી માણસે તેનો તિરસ્કાર કર્યો હતો માટે? પણ એ આદમીએ બીજા બધાંની મૂર્તિઓને ધિક્કારી, માત્ર પોતાની નહિ! એ યહૂદીએ કહ્યું કે જો ઈશ્વરની કોઈ સુંદર મૂર્તિ કે કોઈ સાંકેતિક આકાર બનાવવામાં આવે તો એ ઘણું જ ખરાબ કહેવાય, એ પાપ છે. પણ જો ઈશ્વર એક પેટી રૂપે રજુ થઇ જાય, તેની બે બાજુએ બે પરીઓ બિરાજમાન હોય અને માથે મજાનું એક વાદળું લટકતું હોય તો એ પવિત્રમાં પવિત્ર ગણાય! જો ઈશ્વર એક કબુતર થઈને પધારે તો એ પવિત્ર પણ જો એ ગાય સ્વરૂપે આવે તો એ મૂર્તિપૂજાકોનો વહેમ ગણાય એને તુચ્છાકારી કાઢો! દુનિયા એમ જ ચાલે છે. એટલે તો કવિ કહે છે કે વોટ ફૂલ્સ વી મોર્ટલ્સ બી. કેવા મુર્ખ છીએ અમે માનવો? બીજાની દ્રષ્ટીએ જોતા આવડવું એ કેટલું કઠીન છે? અને એ ન આવડવું એ જ માનવજાતના વિનાશનું કારણ છે. ધિક્કાર અને ઈર્ષ્યાનું મૂળ એ જ છે. ઝઘડા અને મારામારીનું મૂળ એ જ છે.

* એકાદ બે વર્ષ પહેલા એક રશિયન ગૃહસ્થે એક પુસ્તક લખેલું તેમાં તેણે એવો દાવો કર્યો છે કે તેણે ઈશુ ખ્રિસ્તનું એક અજબ ચરિત્ર મળી આવ્યું છે. એ પુસ્તકના એક ભાગમાં એ કહે છે કે બ્રાહ્મણો પાસે અભ્યાસ કરવા ઈશુ જગન્નાથ મંદિરે ગયેલા પરંતુ બ્રાહ્મણોના સંકુચિત વ્યવહાર અને મૂર્તિઓથી કંટાળી જઈને એ તિબેટના લામાઓ પાસે ગયા, ત્યાં પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું અને ઘરે ગયા. ભારતીય ઈતિહાસ વિષે જે કોઈ થોડું ઘણું પણ જાને છે તે તરત સમજી જાય એવું છે કે એ અભિપ્રાય જ આખી વાત બનાવતી છે એમ સાબિત કરે છે. વાત એમ છે કે જગન્નાથનું મંદિર એ એક પ્રાચીન બૌદ્ધ મંદિર છે. આપણે એ તથા બીજાં બૌદ્ધ મંદિરો અપનાવ્યા અને ફરી તેને હિંદુ બનાવી દીધાં. આવું તો આપણે બીજી ઘણીયે બાબતોમાં કરવાનું છે. એ જગન્નાથમાં એ વખતે એકપણ બ્રાહ્મણ ન હતો અને છતાં આપણને કહેવામાં આવે છે કે ઈશુ ખ્રિસ્ત ત્યાં બ્રાહ્મણો પાસે અભ્યાસ કરવા આવેલા! આપણા મહાન રશિયન પુરાતત્વવિદ આવું કહે છે.

* પશુઓ પ્રત્યે દયાનો પ્રચાર કરવા છતાં, ઉચ્ચ નીતીધર્મ હોવા છતાં, શાશ્વત આત્માના અસ્તિત્વ કે તેના અભાવ વિષે અતિશય ઝીણવટભરી ચર્ચાઓ છતાં બૌદ્ધ ધર્મની આખી ઈમારત તૂટી પડી, તેના ટુકડે ટુકડા થઇ ગયા અને એ ભંગાર પણ ધૃણાજનક થઇ પડ્યો. બૌદ્ધ ધર્મની પાછળ જે અનાચાર વગેરે આવ્યા તેનું વર્ણન કરવાનો મારી પાસે સમય નથી અને ઈચ્છા પણ નથી. વધુમાં વધુ ધૃણાજનક ક્રિયાઓ, માણસના ભેજમાં કલ્પાયેલું અને માણસોના હાથે લખાયેલું ભયાનાકમાં ભયાનક અશ્લીલ સાહિત્ય, ધર્મના ઓઠા તળે ચાલેલાં અતિ પાશવી ક્રિયાકાંડો વગેરે બધા અધઃપતિત બૌદ્ધ ધર્મના સર્જન છે.

* માત્ર ભૂતકાળમાંજ નજર નાખ્યા કરવાથી કશો લાભ થવાને બદલે આપણે દુર્બળ બનીએ છીએ એટલે આપણે ભવિષ્ય તરફ દ્રષ્ટિ દોડાવવી જોઈએ એ વાત સાચી છે પરંતુ ભવિષ્યકાળની રચના ભૂતકાળ પર થાય છે. માટે બને તેટલી પાછળ દ્રષ્ટિ નાખી લો. ભૂતકાળના સનાતન ઝરણાઓમાંથી આકંઠ જળપાન કરી લો. ત્યાર પછી આગળ જુઓ. આગળ વધો અને ભારત પૂર્વે હતું તેના કરતા તેને વધુ ઉજ્જવળ, વધુ મહાન અને વધુ ઉન્નત બનાવો. આપણા પૂર્વજો મહાન હતા. પ્રથમ આપણે એ યાદ કરી લેવું જોઈએ. આપણે આપણા અસ્તિત્વના મૂળભૂત તત્વો વિષે, આપણી નશોમાં કયું લોહી વહે છે એ જાણી લેવું જોઈએ. એ લોહીમાં અને ભૂતકાળમાં એ લોહીએ શું શું કાર્ય કર્યું છે તેમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એ ભૂતકાળની મહત્તા વિષેની શ્રદ્ધા તથા ખ્યાલ સાથે અગાઉ કરતા વધુ મહાન એવું ભારતનું ઘડતર આપણે કરવું જોઈએ. સાદો અને અધઃપતનનો કાળ પણ આવી ગયો છે. હું એને ઝાઝું મહત્વ આપતો નથી. આપણે બધા એ જાણીએ છીએ. એવા કાળખંડો જરૂરી હતા. એક વિશાલ વૃક્ષ સુંદર પરિપક્વ ફળ ઉત્પન્ન કરે છે. એ ફળ જમીન પર પડે છે અને ત્યાં તે કોહવાય છે અથવા સડી જાય છે અને સડામાંથી નવું વૃક્ષ નવા મૂળ સાથે જન્મે છે. કદાચ પહેલા વૃક્ષ કરતા એ વધુ મોટું પણ થાય. આ સદાનો કાળ જેમાંથી આપણે પસાર થયા છીએ તે ઉલટો વધુ આવશ્યક હતો. એ સડામાંથી ભાવિ ભારતનો ઉગામ થઇ રહ્યો છે. એનો ફણગો ફૂટ્યો છે. પહેલા કુંપળ નીકળી ચૂક્યા છે અને એક વિશાળ પર્વત્પ્રાય ઊર્ધ્વમૂલ વૃક્ષ દેખાવાની શરૂઆત થઇ ચૂકી છે.

* શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીઓનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્ય હોય અને તે તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતર્યા હોય તો જે માણસે આખું પુસ્તકાલય ગોખી માર્યું છે તેના કરતા તમે વધુ કેળવાયેલા છો. ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી. જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો પુસ્તકાલયો દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત અને વિશ્વકોશો મહાન ઋષીઓ થઇ ગયા હોત. એટલા માટે આદર્શ એ છે કે આપણા દેશનું આધ્યાત્મિક અને વ્યવહારિક બધું શિક્ષણ આપણા પોતાના હાથમાં હોવું જોઈએ તેમજ એ રાષ્ટ્રીય પ્રણાલીવાળું અને બને ત્યાં સુધી રાષ્ટ્રીય પદ્ધતિનું હોવું જોઈએ. અવશ્ય આ એક મોટી યોજના છે. એક ઘણો મોટો આલેખ છે. એનો કડી અમલ થશે કે નહીં તે હું જાણતો નથી. છતાં પણ આપણે કામનો આરંભ તો કરી જ દેવો જોઈએ.

   * આપણે હિંદુઓ છીએ. હું હિંદુ શબ્દ કોઈ પણ પ્રકારના ખરાબ અર્થમાં વપરાતો નથી. તેમજ જે લોકો એમાં કશો ખરાબ અર્થ રહેલો માને છે તેમની સાથે હું સહમત થતો નથી. પ્રાચીન કાળમાં એનો અર્થ ફક્ત સિંધુને પેલે પાર રહેનારા એટલો જ થતો હતો. આજે આપણે દ્વેષ કરનારાઓમાંથી ઘણાએ તેમાં ખરાબ અર્થનું આરોપણ કર્યું હોય પણ કેવળ નામમાં બધું સમાઈ જતું નથી. એટલે હિંદુ શબ્દ જે કઈ મહિમાવંત છેમ જે કઈ અધ્યાત્મિક છે તેના પ્રતિનિધિ તરીકે રહેશે કે ફિટકારના શબ્દ તરીકે એ શબ્દ દલિત અને માલ વિનાના મૂર્તિપૂજકોના સૂચક તરીકે રહેશે તે આપણા પર આધાર રાખે છે. અત્યારે હિંદુ શબ્દનો અર્થ જો કૈક નરસો કરવામાં આવતો હોય તો પણ વાંધો નથી. આપણા કાર્યોથી આપણે બતાવી આપીશું કે કોઈ પણ ભાષાએ શોધી કાઢેલા શબ્દોમાં આ શબ્દ શ્રેષ્ઠ છે. મારા જીવનનો આ એક સિદ્ધાંત છે કે મારે મારા પૂર્વજોથી શરમાવું નહીં. હું એક મગરુરમાં મગરૂર માનસ તરીકે જન્મ્યો છું. પણ હું તમને ખુલ્લા દિલે કહું છું કે એ મગરૂરી મારે પોતાને માટે નથી પણ મારા પૂર્વજો અને મારા ખાનદાનને માટેની છે. જેમ જેમ મેં ભૂતકાળનો વધુ અભ્યાસ કર્યો, જેમ જેમ મેં પાછળ અતીતમાં નજર ફેંકી તેમ તેમ મારું આ અભિમાન વધુને વધુ વધતું ગયું છે. મને એ શબ્દે સામર્થ્ય અને નીશ્ચયાનું બળ આપ્યું છે. પૃથ્વી પરની ધૂળમાંથી ઉભો કર્યો છે અને આપણા એ મહાન પૂર્વજોએ ઘડી રાખેલી વિરાટ યોજનાની પૂર્તિ માટે પ્રવૃત્ત થવાની પ્રેરણા આપી છે. ઓ પ્રાચીન આર્યોના સંતાનો ઈશ્વર કૃપાથી તમારામાં એ અભિમાન ઉતરી આવો. તમારા પૂર્વજો પરની શ્રદ્ધા તમારી રગે રાગમાં પ્રસરી રહો. તમારા જીવનનું એ મુખ્ય અંગ બની રહો અને સમગ્ર વિશ્વનું એ મંગલકારી બનો!

* ભારતીય પ્રજાનો નાશ કરી શકાય એમ નથી. અમર થઈને તે ઉભી છે. જ્યાં સુધી ધર્મભાવના એ પ્રજાના પાયારૂપે રહેશે, જ્યાં સુધી એ રાષ્ટ્રના લોકો પોતાના ધર્મનો ત્યાગ કરશે નહીં ત્યાં સુધી એ ટકી રહેશે. ભલે તેઓ સદાને માટે ભીખારીઓ, ગરીબ અને મેલા રહે. પરંતુ તેમને પોતાના ઈશ્વરનો પરિત્યાગ કદી ન કરવો. તેઓ કદી પોતે ઋષિઓના સંતાન છે તે પણ ન ભૂલે. જે પ્રમાણે પશ્ચિમમાં કોઈ સાધારણ માણસ પણ પોતાને મધ્યયુગના લુટારુઓના સરદાર કોઈક 'બેરન'ના વંશનો હોવાનો સાબિત કરવા પ્રયત્ન કરે છે તે પ્રમાણે ભારતવર્ષમાં સિહાંસનરૂઢ સમ્રાટ પણ પોતાને કોઈ એક અરણ્યવાસી, વલ્કલધારી, જંગલમાં ઉગેલા ફળમૂળ ખાનારા અને બ્રહ્મધ્યાનપરાયણ, ભીક્ષજીવી ઋષિનો વંશજ હોવાનું સિદ્ધ કરવા માથે છે. અમે એવી વ્યક્તિઓના વંશમાં જન્મવાનું ગૌરવ સમજીએ છીએ અને જ્યાં સુધી આ પ્રમાણે પવિત્રતાનું સ્થાન સર્વોચ્ચ રહેશે ત્યાં સુધી ભારતનો વિનાશ થઇ શકે નહીં.

 * તમે ક્ષત્રિયો માંસાહારી છે એમ કહો છો. તેઓ માંસ ખાય કે ના ખાય પરંતુ હિંદુ ધર્મમાં જે કંઈ ભવ્ય અને સુંદર છે તે બધાના સર્જક તેઓ હતા. ઉપનિશદો કોણે લખ્યા? રામ કોણ હતા? કૃષ્ણ કોણ હતા? બુદ્ધ કોણ હતા? જૈનોના તીર્થંકરો કોણ હતા? જયારે જયારે ક્ષત્રીઓએ ધર્મનો ઉપદેશ કર્યો છે ત્યારે ત્યારે તેઓએ સહુ કોઈને કર્યો છે અને જયારે જયારે બ્રાહ્મણોએ કંઈ પણ લખ્યું છે ત્યારે ત્યારે તેઓએ બીજાના કોઈ પણ હક્ક સ્વીકાર્ય નથી. ગીતા કે વ્યાસના સૂત્રો તમે વાંચો. ગીતામાં તમામ સ્ત્રી પુરુષો, બધા વર્ણો અને પ્રજાઓ માટે માર્ગ ખુલ્લો રખાયો છે પણ બિચારા શૂદ્રોને છેતરવા માટે વ્યાસ અને વેદોનો વિકૃત અર્થ કરવાનો પ્રયાસ થયો છે. શું ઈશ્વર તમારા જેવો બીકણ અને મૂર્ખ છે કે તેની દયાની સરિતાનો પ્રવાહ માંસના એક લોચાથી  રોકાઈ જાય? જો ઈશ્વર તેવો હોય તો તેની એક કોડીની પણ કિંમત નથી!

રવિવાર, 3 માર્ચ, 2013

મનુષ્ય જીવિત હોય ત્યાં સુધી જ તેની સાથે સંબંધ જાળવી રાખવો તે બરાબર નથી, મૃત્યુ બાદ પણ તે સંબંધ જળવાઈ રહેવો જોઈએ : સ્વામી સચ્ચિદાનંદ

તારીખ ૧૦-૪-૨૦૦૫, રવિવારના દિવસે ભારતીય સંસ્કૃતિ-પાટણ દ્વારા આયોજિત હિંદુ સ્મશાન ભૂમિના ઉદ્ઘાટન પ્રસંગે વ્યાસ સભાગૃહમાં આપેલા પ્રવચનનો સાર. 'વિચારધારા' સાપ્તાહિકના પ્રથમ અંક (૨૭ એપ્રિલ ૨૦૦૫)માં પ્રકાશિત. શબ્દાંકન - વિરલ ત્રિવેદી 


જીવનની સાથે મૃત્યુની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. પ્રત્યેક ધર્મમાં ઓછામાં ઓછી બે વ્યવસ્થાઓ તો જરૂરી છે જ, એક વ્યવસ્થા લગ્નની અને બીજી મૃત્યુની વ્યવસ્થા. ધર્મના શાસ્ત્રોમાં જે લખ્યું છે તે એક અલગ વાત છે. મહત્વની વાત એ છે કે ધર્મ દ્વારા વ્યવસ્થા સારી થવી જોઈએ. લગ્ન પ્રસંગમાં બધી જ તૈયારીઓ થઇ હોય, બત્રીસ પકવાનો બનાવ્યા હોય પણ પીરસનાર જ ન હોય તો? તેની કોઈ વ્યવસ્થા જ ન હોય તો શું થાય? એમ મૃત્યુની એક વ્યવસ્થા પણ જરૂરી છે. જંગલમાં શબ માટેની કોઈ વ્યવસ્થા હોતી નથી છતાં વ્યવસ્થા થઇ જાય છે. તે કુદરતી વ્યવસ્થા છે, પરંતુ મનુષ્યમાં કુદરતી અને મનુષ્યસર્જિત બે વ્યવસ્થાઓ હોય છે, એમ શબની પણ વ્યવસ્થા હોવી જોઈએ. કેટલાક લોકો ભૂમિમાં દાટે છે, કેટલાક જળમાં શબને વહાવે છે, કેટલાક પશુ-પક્ષીઓને ખવડાવે છે. આપણે હિંદુઓ શરીરને અગ્નિ આપીને તેનો નાશ કરીએ છીએ, જે શ્રેષ્ઠ વ્યવસ્થા છે.

ઓસ્ટ્રિયાના પ્રવાસ દરમિયાન એક ગાઈડ મારી સાથે હતો. તેને ચહેરો ઉતારેલો જાણતો હતો. (ચહેરો વાંચતા આવડે તો શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. ઘણાને શાસ્ત્રો વાંચતા આવડે છે પણ ચહેરો વાંચતા આવડતો નથી. ચહેરો વાંચે તે સંત અને હૃદય વાંચે તે ઋષિ.) તે યુવકને પુછતા જણાવ્યું કે પંદર દિવસથી મારી માતા ગુજરી ગયા છે. તેમનું શબ ફ્રાન્સમાં છે. કબ્રસ્તાનમાં જગ્યા જ નથી. આ બાબતથી તો આપણે સાવ અજાણ છીએ. અમેરિકામાં બહુમાળી કબ્રસ્તાન બનાવાય છે. ચાર બાય આઠના ખાનામાં મડદા મુકવામાં આવે છે. ૪૦-૫૦ હાજર મડદા એક ભવનમાં હોય છે. પેરુ (દક્ષિણ અમેરિકા)માં મેં ત્યાના કબ્રસ્તાનમાં ત્યાના રાષ્ટ્રપતિની કબર જોઈ હતી, જે આઠ માલની હતી. તેમના પત્નીની કબર બીજા માળે હતી. આમ તે આઠ માલ સુધી પહોચી હતી. પુછાતા જાણવા મળ્યું કે જગ્યા જ નથી. હું ઝીમ્બાવે ગયો હતો ત્યારે ત્યાના પત્રકારોએ મને કહ્યું કે તમે હિંદુઓ મડદાઓને બાળો છો. કેવો તિરસ્કૃત વ્યવહાર કરો છો તમે મૃતકના શરીર સાથે. અમે તો મડદાની કેવી સાર સંભાળ રાખીએ છીએ. તેને નવરાવીએ, નવા વસ્ત્રો પહેરાવી તૈયાર કરીએ જયારે તમે તો બાળી મૂકો છો. મારો જવાબ સંભાળીને તેઓ ઠરી ગયા હતા. મેં કહ્યું 'તમારી વિધિ માટે જમીનની જરૂર રહે છે. આટલી બધી જગ્યા લાવશો ક્યાંથી? બીજું એ કે તમારી પદ્ધતિથી મૃત શરીરમાં જે બેક્ટેરિયા હોય છે, તે રોગ ફેલાવે છે. અમે હિંદુઓ તેને બાળીએ છીએ. આથી આવો કોઈ ભય રહેતો નથી. અમારી વિધિમાં તર્ક અને વિજ્ઞાન છે.'

ભગવાન શિવ શરીર પર ભસ્મ લગાવે છે અને તે પણ સ્મશાનની ભસ્મ. હિંદુઇઝમમાં એક જ બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે અને તેની જ ઉપાસના થાય છે અન્ય દેવદેવીઓ પ્રતિક લઈને આવે છે. દાનના દેવ, લક્ષ્મીના દેવ, વિદ્યાના દેવ, શક્તિના દેવ - એ જ રીતે શિવને વૈરાગ્યના દેવ માનવામાં આવે છે. આપના હિંદુ ધર્મમાં ઘણું સમજવા જેવું છે, દુનિયાના અન્ય લોકો પણ હવે તે સમજી રહ્યા છે. ભગવાન શિવના પાર્વતી સાથે લગ્ન થયા ત્યારે પાર્વતીજીએ પૂછ્યું કે આપણું ઘર ક્યાં છે? આપણે ક્યાં રહેવાનું છે? ત્યારે ભગવાન શિવે કહ્યું હતું કે સ્મશાન અને વૈરાગ્ય કોને કહેવાય તે સમજાવ્યું હતું. સ્મશાનમાં  ચિતાઓ ભડભડ બળતી હતી અને એક વ્યક્તિ ચિતા આગળ સ્મશાનમાં મૂકેલા પીંડ શેકી રહ્યો હતો. ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું કે આ રાજા ભર્તુહરિ છે. રાજ્ય અને સત્તા છોડીને તે વૈરાગી થયો છે. હવે જો તે શું કરી રહ્યો છે? ભર્તુહરિ તે પીંડ શેકી રહ્યો છે અને તે પાંચ પીંડ એ તેનો ખોરાક છે. ભગવાન શિવે કહ્યું કે હવે તેનું ભોજન શરુ થશે. જો તે કેવો વૈરાગી છે? હું તને બતાવું - અને ભગવાન શિવ ભિક્ષુકનો વેશ ધારણ કરીને ભર્તુહરિ પાસે ભીસ્ખ્સા માંગે છે. ભર્તુહરિ બે પીંડ આપી દે છે. ભગવાન શિવ પાર્વતીને પણ ભિક્ષા માંગવાનું કહે છે અને ભર્તુહરિ વધેલા ત્રણ પીંડ પણ આપી દે છે. આ છે વૈરાગ્ય. વૈરાગ્યની સાથે જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન વિના વૈરાગ્ય ન ટકી શકે. ભર્તુહરિ આવા જ્ઞાની વૈરાગી હતા.

શબને જળમાં વહેતું કરવાની પ્રથા મને પસ્નંદ નથી. જયારે હું કાશીમાં હતો ત્યારે મેં આ નજીકથી જોયું છે. સાધુમહાત્માની સ્મશાનયાત્રાઓમાં હું જતો. તેમના દેહને ગંગાજીમાં પધરાવવામાં આવતા, આથી ગંદકી અને પ્રદુષણ ફેલાતાં. પહેલા તો મગર અને માછલાં જેવાં જળચર પ્રાણીઓ હતા તેથી મડદાનો નાશ થઇ જતો પણ હવે તેવા જળચરો રહ્યાં નથી અને અવ્યવસ્થા ફેલાય છે. માણસને મોટી ચિંતા પોતાના મડદાની હોય છે. ઈશ્વરની કૃપા હોય તો લક્ષ્મી મળે અને વધારે કૃપા હોય તો વૈરાગ્ય મળે પણ દરેકના જીવનમાં તેવું હોતું નથી. મૃત્યુ પછી પણ શરીરનો મોહ છૂટતો નથી. અમારા આશ્રમમાં એક બાઈ હતા. વૃદ્ધ હતા. તેમના દીકરાની પત્ની સાથે વારંવાર ઝઘડો થતો ત્યારે તેમની પુત્રવધુ બાઈને સતાવતા કહેતી કે તમારા માર્યા પછી તમારું મડદું રાખડી પડશે. ત્યારે સાસુ ચિંતિત થઇ જતા. મેં તેમને એક ઉપાય બતાવતા જણાવ્યું કે તમે મૃત્યુ બાદ શરીરનું દાન કરી દો, આ સેવાનું, પુણ્યનું કામ છે પણ તે વૃદ્ધાએ એમ કરવાની નાં પડી દીધી હતી. આ પ્રસંગથી સમજી શકાય છે કે મૃત્યુપર્યંત શરીરની માયા છૂટતી નથી.

હું જ્યારે નવો નવો પેટલાદ ગયો હતો ત્યારે ત્યાં નાત જાતના ઘણા ભેદભાવ હતા. બ્રાહ્મણો-બ્રાહ્મણોમાં પણ અલગ સ્મશાન. દરેક જ્ઞાતિનાં જુદાં જુદાં સ્મશાનો. કુલ ૧૫ સ્મશાનો હતા. ઘણી જહેમત બાદ આ ભેદભાવ દૂર થયો. અત્યારે ત્યાં માત્ર એક જ સ્મશાન છે અને દરેક હિંદુ મૃતકનો ત્યાં અગ્નિસંસ્કાર થાય છે. આ સમાજની જાગૃતિ છે.

મનુષ્ય જીવિત હોય ત્યાં સુધી જ તેની સાથે સંબંધ જાળવી રાખવો તે બરાબર નથી. મૃત્યુ બાદ પણ તે સંબંધ જળવાઈ રહેવો જોઈએ. અસ્થિવિસર્જન માટે આપણે નદીઓ આગળ જઈએ છીએ અને પરિણામે પ્રદુષણ થાય છે. એક સુંદર ઉપાય એ છે કે નદીની આસપાસ ખાડો ખોદીને તે અસ્થિને ત્યાં દાટવા જોઈએ અને ત્યાં એક વૃક્ષ રોપવું જોઈએ. વૃક્ષ મોટું થતા ત્યાં મૃતકના નામની પટ્ટી લગાવવી જોઈએ અને આ રીતે સમય જતાં એક સુંદર સ્મશાન વન ઉભું થઇ શકે છે. મૃતકના પરિવારજનો ત્યાં તિથિ ઉજવી શકે છે. આ એક વ્યવસ્થા છે.

મૃત્યુ પણ એક વ્યવસ્થા જ છે. ભગવાને મૃત્યુ બનાવીને કૃપા કરી છે. દુનિયામાં કોઈનું મૃત્યુ જ ન થાય તો શું થાય? મૃત્યુ એ મંગલ ઘટના છે. મુંબઈમાં ધારાવીની ઝુંપડપટ્ટીમાં ઘણી વસતિ વધી રહી છે. એશિયાની મોટામાં મોટી ઝુંપડપટ્ટી છે, ત્યાં ૮૦ ટકા મુસ્લિમો છે. દરેક કુટુંબમાં એક ક્રિકેટ ટીમ તૈયાર થઇ રહી છે. હિંદુ ધર્મની ખાસિયત એ છે કે સુધારાવાદી છે. કોઈ જ ધર્મ એક તસુભાર પણ ફેરફાર કરવા તૈયાર નથી જ્યારે હિંદુ ધર્મમાં ઘણા સુધારા થયા છે. આ હિંદુઇઝમ છે. 


ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2013

સોનિયા ગાંધી વિષે આજે પૂર્ણાહુતિ

રાજીવ ગાંધી સાથે લગ્ન થયા પછી સોનિયા અને તેમના ઇટાલિયન મિત્રોને સ્નૈમ પ્રોગૈતીની ઓટ્ટોવિયો ક્વોટ્રોચી પાસેથી ભારે ભરખમ રકમ મળી હતી. તે ભારતના કાયદાથી બેખૌફ બની દલાલીમાં રૂપિયા રળવા લાગ્યો. ગરીબીની નાગચૂડમાં ફસાયેલ માઇનો પરિવાર  થોડાજ સમયમાં અચાનક કરોડપતિ થઇ ગયો. લોકસભામાં નવા નવા થયેલ સભ્ય તરીકે મેં (સુબ્રમણ્યમ સ્વામી સમજવું) ૧૯ નવેમ્બર ૧૯૭૪ માં તે સમયના વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને પૂછ્યું હતું કે 'શું તમારી પુત્રવધુ સોનિયા ગાંધી, જેઓ પોતાની જાતને ઇન્શ્યોરન્સ એજન્ટ તરીકે ઓળખાવે છે અને વડાંપ્રધાન કાર્યાલયનો ઉપયોગ કરે છે? ખરેખર તો આ એક અપરાધ છે કારણકે તેઓ ઇટાલિયન નાગરિક છે. ત્યારે સંસદમાં ઘણો હોબાળો થયો હતો. શ્રીમતી ઇન્દિરા ગાંધી ગુસ્સે તો ઘણા થયા હતા પણ તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો એટલે તેમણે લેખિતમાં એવું જણાવ્યું કે 'તે એક ભૂલ હતી અને સોનિયા ગાંધીએ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે' (મારા દ્વારા પ્રશ્ન પુછાયા પછી) પણ સોનિયા ગાંધી દ્વારા ભારતીય કાયદાઓનું અપમાન કરવાનું અને તોડવાનું અહિયાં જ બંદ ન થયું. ૧૯૭૭ માં જનતા પાર્ટી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એ. સી. ગુપ્તાના નેતૃત્વમાં બનેલા આયોગે જે રીપોર્ટ આપ્યો હતો તે અનુસાર 'મારુતિ' કંપની (જે એ સમયે ગાંધી કુટુંબની મિલકત હતી) એ 'ફેરા કાયદાઓ', 'કંપની કાયદાઓ' અને 'વિદેશી નોંધણી કાયદાઓ'નું ગંભીરપણે ઉલ્લંઘન કર્યું. પણ ન તો ક્યારેય સોનિયા કે ન તો ક્યારેય સંજય ગાંધી પર ક્યારેય કેસ થયો કે ન કોઈ કાર્યવાહી થઇ. જો કે આ અત્યારે પણ થઇ શકે કારણકે ભારતીય કાયદાનુસાર 'આર્થિક કૌભાંડો' પર કાર્યવાહી કરવા માટે કોઈ જ સમય સીમા નક્કી નથી. 

૧૯૮૦ માં શ્રીમતી ઇન્દિરા ગાંધી ફરીથી સત્તાધીસ થયા. સોનિયા ગાંધીએ પ્રથમ કાર્ય તેમનું નામ વોટર લીસ્ટમાં નોંધાવવાનું કર્યું જે સ્પષ્ટ રીતે કાયદા સાથે છેડછાડ હતી. તેમના વિઝા રદ્દ થઇ જવા જોઈતા હતા કારણકે એ સમયે પણ તેઓ ઇટાલીના નાગરિક હતા. પ્રેસ દ્વારા હોબાળો થયો પછી દિલ્લીના ચૂંટણી અધિકારીએ ૧૯૮૨ માં તેમનું નામ મતદાતા સૂચીમાંથી દૂર કર્યું. પરંતુ ફરીથી જાન્યુઆરી ૧૯૮૩ માં તેમણે પોતાનું નામ મતદાતા સૂચિમાં ઉમેરાવ્યું. એ સમયે પણ તેઓ વિદેશી જ હતા. (ભારતીય નાગરિક માટે તેમણે એપ્રિલ ૧૯૮૩ માં અરજી કરી હતી) તાજેતરમાં જાણીતા કાયદા શાસ્ત્રી એ.જી.નુરાનીએ તેમના પુસ્તક 'સિટીજન્સ રાઈટ્સ, જજીસ એન્ડ અકોઉંન્ટેબલીટી રેકોર્ડ્સ' માં એવું નોંધ્યું છે કે 'સોનિયા ગાંધીએ જવાહરલાલ નેહરુના વડાપ્રધાન સમયના કેટલાક ખાસ કાગળો એક વિદેશીને બતાવ્યા હતા. જે કાગળો તેમની પાસે ન હોવા જોઈએ, જે તેમને તેમની પાસે રાખવાનો કોઈજ અધિકાર ન હતો. આથી ચોખ્ખું સ્પષ્ટ થાય છે કે તેમના મનમાં ભારતીય કાયદા પ્રત્યે કેવો આદરભાવ છે અને તેઓ આજે પણ રાજતંત્રની માનસિકતાથી ગ્રસ્ત છે. સોનિયા ગાંધીના મનમાં ભારતીય કાયદાઓ સંબંધે કોઈ જ ઈજ્જત નથી. તેઓ એક મહારાણીની જેમ વ્યવહાર કરે છે. જો ભવિષ્યમાં તેમના વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા ચાલે અને જેલમાં જવાનો સમય આવે તો તેઓ ઇટલી પણ ભાગી જઈ શકે એવા છે. 

 ભારતને ધૃણા કરનારાઓ - મોહમ્મદ ઘોરી, નાદિર શાહ અને અંગ્રેજ રોબર્ટ કલાઈવે ભારતની ધનસંપત્તિને બરાબરની લૂંટી પણ સોનિયા તો ભારતીય છે અને રાજીવ અને ઇન્દિરા જયારે વડાંપ્રધાન હતાં ત્યારે વડાપ્રધાન કાર્યાલયના સુરક્ષા ગાર્ડ મોટા મોટા ખોખાઓ ભરીને ચેન્નાઈ વિમાન મથક પર ઇટલી જતા વિમાનોમાં શું લઇ જતા હતાં? હંમેશા એ ખોખાઓ રોમ માટે બુક થતા. કસ્ટમ પર તેની કોઈ જ તપાસ થતી ન હતી. અર્જુનસિંહ જેઓ મુખ્યમંત્રી અને સંસ્કૃતિ મંત્રી રહી ચુક્યા છે તેઓ આ મુદ્દે વિશેષ રસ લેતા હતા. કેટલીક ભારતીય કલાકૃતિઓ, પુરાતન વસ્તુઓ, ચિત્રકલાઓ, સિક્કાઓ વગેરે ઇટાલીની બે દુકાનો (જેની માલિક સોનિયાની બહેન અનુસકા છે)માં જોવા મળે છે. આ દુકાનો ઇટાલીના વૈભવશાળી વિસ્તારો રીવાલતો (દુકાનનું નામ - એટનીકા) અને ઓર્બેસ્સાનો (દુકાનનું નામ - ગનપતિ) માં છે જ્યાં તેમનો ધંધો ન ચાલવા બરાબર છે. ખરેખર તો તે એક 'આડ' છે. આ દુકાનોના નામે નકલી બીલ તૈયાર છે. પછી તો ઘણી જ કિંમતી વસ્તુઓ લંડન લઇ જઈ સૌથારબી અને ક્રીસ્તીજ દ્વારા હરાજીમાં ચઢાવવામાં આવી. આનો શું મતલબ છે? આ બધા પૈસા જાય છે ક્યાં? એક વાત તો નક્કી છે કે રાહુલ ગાંધીની એક વર્ષ સુધીની હાર્વર્ડની ફી અને અન્ય ખર્ચાઓની ફાળવણી એક વખત કેમેન દ્વીપની કોઈક બેંક ખાતામાંથી થઇ હતી.આ બધી બાબતોની ફરિયાદ મેં વાજપેયી સરકારને કરી હતી. પણ તેમને કઈ ધ્યાન ન આપ્યું. પછી મેં દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટની બેન્ચે સરકારને નોટીસ મોકલી પણ ત્યાં સુધીમાં સરકાર પડી ગઈ. પછી કોર્ટે સીબીઆઈને આદેશ કર્યો કે તેઓ ઇન્ટરપોલની મદદથી આ મુલ્યવાન વસ્તુઓ બાબતે ઇટલી સરકારની મદદ લે. ઇટાલિયન સરકારે ભારત સરકાર પાસે અધિકાર પત્ર માંગ્યો જેના આધારે ઇટલી પોલીસ એફઆઈઆર નોંધી શકે. છેવટે ઇન્ટરપોલે બે મોટા રીપોર્ટ કોર્ટ અને સીબીઆઈને આપ્યા. ન્યાયાધીશે તેની એક નકલ મને આપવાનું કહ્યું હતું પણ આજ સુધી સીબીઆઈએ તે મને આપી નથી. સીબીઆઈનું વધુ એક જુઠાણું ત્યારે પકડાયું જયારે તેમણે કહ્યું કે અર્બેસ્સાનો માઈનો કોઈક પુરુષનું નામ છે અને વીઓ બેલ્લીની કોક ગામનું નામ છે ન કે માઈનો પરિવારનું સરનામું. પછીથી સીબીઆઈના વકીલે કોર્ટની માફી માંગી અને કહ્યું કે આ ભૂલ થઇ હતી. એ વકીલનું પ્રમોશન પછી 'એડીશનલ સોલીસીટર જનરલ' તરીકે થયું હતું. આવું કેમ થયું? આનો ખુલાસો તો વાજપેયી-સોનિયાની અંદરની 'સુજબુઝ' અને 'ગઠબંધન' જ જણાવી શકે છે.

સોનિયા ગાંધી તેમના પતિ હત્યારાઓના સમર્થકો એમ ડી એમ કે, પી એમ કે, ડી એમ કે સાથે સત્તા માટે સારા સંબંધો બનાવે છે. કોઈ ભારતીય વિધવા આમ ન કરી શકે. તેમનું પહેલાનું વર્તન-વલણ પણ આ મુદ્દે શંકા ઉપજાવે તેવું રહ્યું છે. જેમકે સંજય ગાંધીનું વિમાન ભોય ભેગું થયું તેમાં વિસ્ફોટ ન થયો. કારણ સામે આવ્યું કે તેમાં ઇંધણ ન હતું જયારે ફ્લાઈટ રજીસ્ટર અનુસાર નીકળતી વખતે ટેંક ફૂલ હતી. જે રીતે માધવરાવ સિંધિયાના વિમાન અકસ્માતના એન ટાઇમ પહેલા મણીશંકર ઐયર અને શીલા દિક્ષિતને તેમની સાથે જતા અટકાવવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીના મૃત્યુનું ખરું કારણ હતું તેમના શરીરમાંથી થયેલ વધારે પડતો રક્તસ્ત્રાવ, માથામાં ગોળી વાગવાના કારણે નહિ. તો પછી સોનિયા ગાંધીએ એ સમયે લોહી નીગળતા સમયે ઇન્દિરા ગાંધીને લોહિયા હોસ્પિટલમાં લઇ જવાની જીદ શા માટે કરી હતી? જોકે ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનથી એકદમ ઉંધી દિશામાં છે અને બધી જ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. લોહિયા હોસ્પિટલ પહોચીને ફરી પાછા આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં લઇ જવામાં આવ્યા જેમાં કિંમતી ૨૫ મીનીટનો સમય બરબાદ થઇ ગયો હતો. આવું કેમ થયું? શું આજ સુધી આની કોઈ તપાસ થઇ? સોનિયા ગાંધીનો વિકલ્પ બની શકનારા લગભગ બધાજ યુવા નેતાઓ જેમકે - રાજેશ પાયલટ, માધવરાવ સિંધિયા, જીતેન્દ્ર પ્રસાદ વિવિધ દુર્ઘટનાઓમાં જ કેમ મર્યાં? હવે સોનિયાની સરકાર નિર્વિઘ્ને ચાલી રહી છે પણ એવા કૈક વણઉકલ્યા અને રહસ્યમય પ્રશ્નો ચારેય તરફ મૌજુદ છે જેના કોઈ જવાબો નથી અને કોઈ પૂછનાર પણ નથી. આ જ ઇટાલીની સ્ટાઈલ છે.
 
પ્રસ્તુત લેખ સુરેશ ચિપલૂણકરે તેમના બ્લોગ  મહાઝાલ પર સુરેશ ચિપલૂણકર  પર તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૦૭ ના દિવસે પોસ્ટ કર્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીના અંગ્રેજી લેખોનું આ છેલ્લું પ્રકરણ હતું. મૂળ લખાણને તો ઘણા વર્ષો થઇ ગયા. સોનિયા ગાંધીના  છેલ્લા પ્રકરણની તો અહી પુર્ણાહુતી થઇ પણ ખરેખર જે ઉદ્દેશ્ય સાથે લેખકે લખ્યું હતું તેની પુર્ણાહુતી થઇ  . ઉલટાનું વધારી વિકસિત થઇ છે. કૌભાંડો પછી મહાકૌભાંડો આ દેશ જોઈ રહ્યો છે તેની પુર્ણાહુતી ક્યારે?  

સોનિયા ગાંધીના અસત્યોનું સત્ય  

સોનિયા ગાંધી વિષે ૨

સોનિયા ગાંધી વિષે ૧


સોમવાર, 18 ફેબ્રુઆરી, 2013

મોહમ્મદ રફી તુ બહોત યાદ આયા... કલાકારોને યાદ કરતા રહેવું

મારામારીથી ભરપુર એક ફિલ્મમાં ગાયક મોહમ્મદ રફી સાહેબને યાદ કરવામાં આવ્યા હતા. 'મોહમ્મદ રફી તુ બહોત યાદ આયા...' સરસ ગીત હતું પણ પહેલીવાર જોયું, સાંભળ્યું ત્યારે એમ થતું હતું કે ગીત પૂરું થયા પછી અમિતાભ બચ્ચન ઢિસુમ ઢિસુમ કરે તો મજા આવે. ૧૯૯૯ની સાલમાં કોલેજમાંથી પાવાગઢના પ્રવાસે ગયા ત્યારે ત્યાંનો એક સ્થાનિક છોકરો રોપ-વેમાં અમારી સાથે થઇ ગયો હતો. રીક્વેસ્ટ કરી કે તેને મોહમ્મદ રફીના ગીતો ગાવા છે. જે રીતે તેણે કેટલાક ગીતો ગઈ સંભળાવ્યા ત્યારે થયું કે આને જો તક મળે તો મોટો કલાકાર થાય. (તકને આગળ ચોટી અને પાછળ ટાલ હોય છે, પકડી લીધી તો બરાબર નહીતર લપસતા રહેવું પડે.) જેને મોહમ્મદ રફી વિષે કંઈજ ખબર ન હોય તેને પણ મોહમ્મદ રફીને માણવા, જાણવાનો રસ પ્રગટે એવું તેનું પ્રેજન્ટેશન હતું. 

ફિલ્મોમાં, ટીવીમાં, અખબારો અને મેગેઝીનમાં સદાબહાર કલાકારો, લેખકો અને સર્જકોને અકારણ સકારણ વિવિધ રીતે યાદ કરવામાં આવતા જ હોય છે. ક્યાંક વળી આડું અવળું લખી, બોલી વિવાદ પણ ઉભો થતો હોય છે. અને ક્યારેક જાણી જોઇને વિવાદ ઉભો કરવા પણ આમ થયું હોય તેવું બને. ફિલ્મ 'રબને બના દિ જોડી'માં જુના કલાકારોને યાદ કરવામાં આવ્યા હતા. મેળાવડાઓ અને એવોર્ડ કાર્યક્રમોમાં તો તેઓ યાદ કરતા જ હોય છે પણ આ રીતે કોઈ ગીતમાં કે ફિલ્મમાં યાદ કરવાનો આ નવતર પ્રયોગ હતો. એ જ રીતે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ની પેરોડી પણ મજાની હતી. કહેવાય છે કે આ ફિલ્મ બનાવતા પહેલા ફરાહ ખાને ઘણું જ રીસર્ચ વર્ક કર્યું હતું. તો પણ શાહરૂખ ખાનને રાજેશ ખન્નાની શાબાશી મળી અને મનોજ કુમારની માફી માગવી પડી હતી. 

ફિલ્મ,સાહિત્ય અને કળા જગતમાં નવા સર્જકો દ્વારા જુના સર્જકોને શ્રદ્ધા સુમન અર્પણ થતા રહે છે. કેટલાક નવતર પ્રયોગો પણ થવા જોઈએ. ચંદ્રકાંત બક્ષીના અવસાન પછી તરત જ તેમના વિષે અખબારો અને સાપ્તાહિકોમાં લખાયું પણ પછી? હરકિસન મહેતાની નવલકથા પરથી તાજેતરમાં જ એક ટીવી સીરીયલ બની હતી. જે ખાસ કઈ જામી નહિ. આ પહેલા પણ 'વંશ વારસ' નવલકથા પરથી અધિકારી બ્રધર્સના પ્રોડક્સનમાં ટીવી સીરીયલ બની હતી જે દુરદર્શન પર પ્રસારિત થતી હતી. અને હમણા જ એક ફિલ્મ બની ગઈ જેની કોઈને ખબર પણ ન પડી. નવલકથા વાંચનારને તેના પરથી બનતી ફિલ્મ કે ટીવી સીરીયલમાં એવી મજા ન આવે તે સ્વાભાવિક છે. પણ જો એ ફિલ્મ કે સર્જન પરથી મૂળ રચનાકાર વિષે જાણવાની ઉત્સુકતા કે જીજ્ઞાસા થાય તો એ સર્જનની સફળતા કહેવાય.વજુ કોટકે એક નવલકથા લખી હતી 'ડો.રોશનલાલ'તેમનું અવસાન થતા જે અધુરી રહી હતી. પ્રથમ પ્રકરણથી જ પકડ જમાવે એવી આ નવલકથાને આગળ વધારવા કોઈ જ સામગ્રી ન હોવા છતાં હરકિસન મહેતાએ તેમની કલ્પનાથી જ તે પૂર્ણ કરી હતી. આ નવલકથા વાંચ્યા પછી વજુ કોટકના અન્ય પુસ્તકો વાંચવાની ઈચ્છા થયા તે સ્વાભાવિક છે. ચંદ્રકાંત બક્ષી તેમના લેખનમાં અસ્તિત્વવાદ, આલ્બેર કામુ અને જ્યો પોલ સાર્ત્રનો ઉલ્લેખ કરતા પણ આ જ ફિલોસોફર અને ફિલોસોફી વિષે જાણવું હોય તો અંગ્રેજી અને ફ્રેંચ ભાષા શીખવી પડે. જુજ સંક્ષિપ્ત અનુવાદો ખરા પણ એનાથી કઈ સમજ ન પડે. સંસ્કૃત સાહિત્યમાં વેદો, ઉપનીશદો, દર્શનશાસ્ત્રો પર જે ટીકાઓ અને સંદર્ભ ગ્રંથો લખાયા છે તે વિદેશી ભાષાઓમાં વધારે છે. આજના સમયમાં પણ આ ટીકાઓ અને સંદર્ભો માટે જર્મની અને અંગ્રેજી ભાષા શીખવી પડે. સંસ્કૃતની પરીક્ષાલક્ષી ટેક્ષ્ટ-કમ ગાઈડ જુઓ તો તે સમજી જશે. 'ગટે આમ કહે છે, મેક્ષમુલર તેમ કહે છે...' વગેરે વગેરે. આપણા સાયાણે આ બધું સમજાવવા આખું 'સાયણ ભાસ્ય' રચ્યું છે પણ તે બધું સંસ્કૃતમાં છે.

કોઈ એક જ વ્યક્તિ વિષે સૌથી વધારી લખાયું હોય તો તે છે ગાંધીજી. તેમને વાંચેલા થોડાક પુસ્તકો ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં તેમણે વાંચેલા અને ગમતા પુસ્તકો એમ કરીને મુકેલા છે. પુસ્તકાલયોમાં કઈ કેટલાય એવા પુસ્તકો છે જેને કોઈ વાચક જ ન મળ્યો હોય અને તેમાં ઉમેરો થતો જ રહે છે. જેને કઈ લખતા ન આવડતું હોય અને વિવેચન કરી કૃતિની નિંદા કે વખાણ કરે તેની વાત નથી, લેખકો અને કલાકારોને અલગ રીતે પણ યાદ કરી શકાય. ખરેખર તો આ કલાકારો અને સર્જકો વિવેચકોની વિવેચનના મોહતાજ હોતા જ નથી. યુદ્ધની વાતો કરવી અને ખરેખર યુદ્ધ કરવું એ બેમાં જેટલો ફરક છે એટલો જ ફરક સર્જન અને તેના પછી થયેલા વિવેચનમાં છે. સાજીદ ખાન નામનો ફિલ્મ વિવેચક ગમે તેવી ફિલ્મ કે કલાકારને વખોડી નાખે પણ તે ખુદ ફિલ્મ બનાવે ત્યારે ખબર પડે કે થીયેટર હાઉસફુલ કરવા વિવેચન કરવા જેટલું સહેલું નથી જ.

ઓશોએ ભારત સહીત દુનિયાભરના દાર્શનિકો અને તત્વજ્ઞાનીઓના તત્વજ્ઞાનનું વિશ્લેષણ કર્યું પણ મૂળ વિષયનો અભ્યાસ ન કરનારને ઓશોનું વિશ્લેષણ ન સમજાય તેવું બને. હા જીજ્ઞાસા અને ઉત્સુકતા જરૂર થાય. બધુય ઉપરથી પણ જાય. હું મારા લેખનમાં અરુણ શૌરીનો ઉલ્લેખ કરી લખું કે 'શૌરીએ અહી આમ કહ્યું છે, અહી આ પ્રકારે લખ્યું છે' તો શૌરીનું કદી નામ ન સાંભળ્યું હોય તેને શૌરી વિષે અને તેમના લેખન વિષે દિલચશ્પી થાય તે સ્વાભાવિક છે. પણ મને જ કોઈ ઓળખાતું ન હોય અને હું મારા વિષે જ લખે રાખું તો કોઈને રસ ન પડે. શ્રી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકીભાઈએ વેબ સાઈટ બનાવી છે જેમાં શ્રી મેઘાણીના બધા જ પુસ્તકો વિષે જરૂરી માહિતી ઉપલબ્ધ છે. મૃગેશભાઈની રીડ ગુજરાતી તો હવે ઘણી જ જાણીતી થઇ ગઈ છે. મિત્ર ચિરાગ ઠક્કર ઘણા સમયથી બ્લોગ લેખનમ સક્રિય છે. (હવે વેબ સાઇટ છે) જેઓપોતાના લેખનમાં ગુજરાતી લેખકોને યાદ કરતા જ રહે છે.

લેખકો દ્વારા થતી લેખકોની વાત એ વિવેચનથી પર છે.

ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

મારા દીકરાનો વાહનપ્રેમ

મારો દીકરો જયવીર હજુ સાડા ચાર જ વર્ષનો છે પણ તેનો વાહનો પ્રત્યેનો લગાવ ગજબનો છે. ગાડીઓ, બસો, ખટારા, ટ્રેન જોઇને ગાંડો થઇ જાય. ઘરે કોઈ ગાડી કે બાઈક લઈને આવ્યું હોય તો ઉપર ચડી જાય. આવનાર જાય ત્યારે પહેલા તેને આંટો અચૂક મારાવવો પડે. જોકે હું તેને મારા બાઈક પર ફેરવતો જ રહું છું, પણ તેને સંતોષ થવાને બદલે તેનો લગાવ વધતો જ રહે છે.  પણ તેને તો જાત જાતની ગાડીઓમાં બેસવાનો જબરો શોખ. રમકડા પણ એવા જ રાખે. હું તેને તેડીને બાઈક પર બેસાડવા જાઉં તો જાતે જ ચડી જાય અને  એ આગળ જ બેસે. બાઈક ચાલતું હોય ત્યારે એવા વહેમમાં રહે કે જાણે પોતેજ ચલાવતો હોય.પગ પહોચે નહિ તો પણ કિક સુધી લઇ જાય. ચાવી પણ તે જ લગાવે. ચાલુ બાઈકે ઉભો થઇ જવા જાય અને હોર્ન પર તેનો અંગુઠો દબાવી રાખે, જોરથી ચિચિયારીઓ પણ પાડે ત્યારે મારે તેને ટપારવો પડે. ક્યારેક ચાલુ બાઈકે ચાવી બંધ પણ કરી નાખે. પછી એ શાંત બેઠો બેઠો ઝડપ કાંટાને જોયા કરે. ઘણીવાર તો પેટ્રોલની જરૂર ન હોય તો પણ પેટ્રોલ ભરાવવા જવું પડે, બાઈકમાં પેટ્રોલ ભરતું જોવું તેને ખુબ ગમે. ભૂલે ચુકે જો ફાટક બંદ હોય તો રાજી રાજી થઇ જાય. ગાડીની અધીરાઈ ભેર રાહ જુએ. જયારે ટ્રેનમાં મુસાફરી નહોતી કરાવી ત્યારે તો તે રેલ્વે પસાર થાય ત્યારે મારી સામે પ્રશ્નસૂચક નજરે જુએ કે હવે એમાં ક્યારે બેસાડશો?

એ પછી તો તેની એ ઈચ્છા પૂરી કરી. ભીનમાલ (રાજસ્થાન) જઈ આવ્યા. ત્યારે તો ભારે કરી. ભીલડી સ્ટેશને ઉતર્યા ત્યારે તે સ્ટેશનની બહાર જ ન નીકળે. છેવટે રમકડાનો ખટારો અપાવીશું એમ કહીને માંડ મનાવ્યો ત્યારે અમે ઘર સુધી પહોચ્યા.

આમ તો તે આટલી નાની ઉંમરમાં અડધું ગુજરાત ફરી ચુક્યો છે અને ગુજરાત બહાર પણ જઈ આવ્યો. જાત જાતની ગાડીઓમાં પણ બેઠો. પણ તેને હેવી ટ્રકનો શોખ કઈ રીતે લાગ્યો તે નથી સમજાતું. જીપમાં કે બસમાં બેઠા હોઈએ ત્યારે એ પસાર થતા ખટારાઓને ટગર ટગર જોયા કરે. તેની નજરમાં વસેલો દેખાય એટલે જોર જોરથી તાળીઓ પાડવા લાગે. મને કહે પણ ખરો કે આવો જ ખટારો લાવી આપજો. પાછો ચોખવટ પણ કરે કે અત્યારે નહિ હું મોટો થાઉં ત્યારે. હું તેમાં રેતી અને માટી ભરી લાવી વેચીસ. ઘરે આવીને રીપીટ પણ કરે અને કોઈ એને પૂછે કે તું મોટો થઈને શું કરીશ? ત્યારે ગંભીર થઈને જવાબ આપે કે હું તો ખટારો ચલાવનારો જ થઈશ. સાવ નાનો હતો ત્યારે હું તેને હાઈવે ઉપર ફરવા લઇ જતો ત્યારે પણ એ મોટા વાહનો જોઇને રાજી થઇ જતો.

ચોમાસામાં અમારે ત્યાં આ વખતે કુવા અને ખાડા ગાળવાનું કામ ચાલ્યું ત્યારે મોટા બુલડોઝર અને જે સી બી તેમજ માલવાહક વાહનો ઉતરી પડ્યા હતા. કામ કરનારા કામ કરે અને ખોટી મારે થવું પડતું હતું. આ વાહનોની ઘરઘરાટી સંભળાય એટલે મારો દીકરો જીદ પકડે કે જોવા લઇ જાઓ. અને લઇ જ જવો પડે નહીતર ધમાલ કરી નાખે. હું તેને લઇ જતો ત્યારે આગળ આગળ જે સે બી (તે આ રીતે જ બોલતો) ની રડો પાડી દોડે. જમીનમાં ખાડો ગળતા આ યંત્રોને એ ધ્યાનથી જોયા કરતો અને હું તેને. ખાડા ગાળવાનું કામ પૂરું થયા પછી બજારમાંથી તેના માટે એવું રીમોટવાળું રમકડું લાવી આપવું પડ્યું હતું.

અગાઉ કહ્યું એમ અત્યાર સુધીની તેની ઉંમર પ્રમાણે તે ખુબ ફર્યો છે. લગભગ બધા પ્રકારના વાહનોમાં તેને બેસવા મળ્યું. ગતિશીલ દરેક વસ્તુમાં તેને રસ પડે છે. ચગડોળમાં બેસવાનો પણ શોખ. દિવાળીમાં વિસનગર તિરુપતિ પાર્કમાં ગયા ત્યારે તેને લગતી બધી રાઈડમાં બેસાડ્યો. પાછા ફરવાનો સમય થયો ત્યારે જીદ પકડી કે ડાન્સિંગ ચેરમાં બેસવું છે. ભારે કરી. ઘરમાં આવો કોઈને ગાંડો શોખ નથી. પૈસા આપીને પરેશાન થવાનો. એ તો સારું થયું કે બહાર આવ્યા એટલે તરત બસ મળી ગઈ. ઊંઝા સુધીની હતી તો યે બેસી ગયા. રખેને ક્યાંક બાળહઠનો સામનો કરવો પડે

જેટલી સ્પ્રિંગ દબાવો તેટલી વધારે ઉછળે પણ અહી તો વગર દબાવે ઉછળતી રહે છે. ફરવાનો એવો શોખ કે ભરઊંઘમાંથી ઉઠાડીયે તોય તૈયાર થઇ જાય. આમ તો એ રોજ વહેલા ઉઠીને પજવણી શરુ કરી નાખે પણ હમણા શિયાળાની ટાઢમાં થોડો મોડો ઉઠતો પણ એક દિવસ તેને તેની મમ્મી સાથે અમદાવાદ એક સામાજિક પ્રસંગમાં જવાનું હતું. વહેલો ઉઠાડ્યો તો સફાળો બેઠો થઇ ગયો. ફટાફટ તૈયાર પણ થઇ ગયો. આમ તો એ નાહવા ધોવા અને બ્રશ કરવાના કરવાના નખરા કરે. પણ એ દિવસે મારો વાલો તૈયાર થઈને બાઈક ઉપર ચડી ગયો. બસ સ્ટેન્ડ ડગલામાં જ છે તોય મને કહે કે અંધારું છે તમારે મુકવા આવવું પડે. ચા પાણી પણ બાઈક ઉપર જ પતાવ્યા.

ગયા ઉનાળામાં ગાંધીનગર મારા સાળાને ત્યાં ગયા હતા. એક સાંજે હું તેને ફરવા લઇ ગયો. થોડુક ચાલ્યા પછી કહે કે ચાલો આપડે રીક્ષામાં બેસીને આઘે આઘે ફરવા જઈએ. હું ચમક્યો. હવે તેને ફોસલાવવું અઘરું હતું કે અહી ગાંધીનગરમાં આઘે આઘે કેમનું ફરવું? પછી મારે એને ઝાડ ઉપર બેસાડી થોડી વાતો કરવી પડી. વળતી વખતે મારે તેને છેક ઘર સુધી તેડીને લઇ જવો પડ્યો, રીક્ષામાં ન ફેરવ્યો તેની સજારૂપે. આમ તો તે ક્યારેક જ બસમાં ઊંઘે અને એ પછી તેડવાનું મારે ભાગે જ આવે. 


તેની સાથે ફરવાની રોચક કથાઓ ઘણી છે. હમણા ચૂંટણી પછી તરત જ અમદાવાદ જવાનું થયું હતું. આ પહેલા આવ્યા ત્યારે પણ બી આર ટી એસની બસમાં બેઠા હતા. ત્યારે પણ મારા દીકરાએ ધમાલ કરી હતી. ફરી થોડી વધારે થઇ. બસમાં જોર જોરથી રાડો પાડે એટલે બધા મુસાફરોનું ધ્યાન તેના તરફ જાય. વર્તન એવું કે જાણે પહેલીજ વાર બસમાં બેઠો હોય. અમે સપરિવાર બસમાં કે કોઈ પણ વાહનમાં બેઠા હોઈએ ત્યારે મુસાફરોનું ધ્યાન અમારા આ સભ્યના કારણે અમારા તરફ જતું જ હોય છે.બસમાં આગળની સીટ પર બેઠેલાને અડપલા પણ કરે અને વાતેય વળગી જાય. તેની ટીકીટ હજુ થતી નથી પણ ટીકીટના પૈસા પણ તે આપે અને ટીકીટ પણ પોતે જ લે. બસમાં બંદ ટીવી ચાલુ કરવાની માંગણી પણ કરે. ક્યાંક બસ ઉભી રહે ત્યારે ઘંટડીની દોરી ખેચવા ઉચા નીચો થાય.

આમતો હું સાંજે તેની સાથે દડો બેટ રમતો અને બહાર ફરવા પણ લઇ જતો. પણ હમણા કેટલાક દિવસોથી આજુ બાજુના છોકરા છોકરીઓ ભેગા કરી જાતજાતની રમતો રમે છે. ક્યારેક નવરો પડતા જ હું કમ્પુટર પર હોઉં તો ખોળામાં આવીને બેસી જાય. મારે બધું જ બાજુ પર મુકીને તેને ગેમ રમાડવી પડે અને ગેમ પણ ગીગલા ગીગલીની નહિ રાઈડીંગ ગેમ. બાઈક અને કાર રેસ. અને જે રીતે તેની આંગળીઓ કી બોર્ડ પર ફરે અને તેના ચહેરાના હાવ ભાવ બદલાય, વિસ્મય અને આનંદના મિશ્ર ભાવોથી ચહેરો ચમકી ઉઠે તે જોઇને મને આનંદ અને આશ્ચર્ય બંને થાય છે. મારો આ દીકરો ટ્રક ચાલક થશે કે પાયલટ એતો સમય જ કહેશે પણ સ્લેટમાં એકડો ઘૂંટવાની ઉંમરમાં તે કી બોર્ડ પર આંગળીઓ ફેરવતો થઇ ગયો છે.

સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013

કોઈ એમ કહે કે ચિંતા નહિ 'હું બેઠો છું' ત્યારે?

આપ મુસ્તાક અને આપકર્મીઓ પણ ઘણીવાર કોઈકના જાસામાં આવી જતા હોય છે. હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા અને આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય એ બધું બરાબર પણ શું જીવનનાં દરેક તબક્કે એકલપંડે બધું થાય ખરું? વ્યક્તિએ સ્વાવલંબી થવું જોઈએ એ તો રોજ સંભાળીને કાન ટેવાઈ ગયા પણ સ્વાવલંબન એટલે શું? કોઈ ગમે તેવી ખુદ્દારી કે ખુમારી ધરાવે તો પણ ઘણીવાર બીજાના ભરોસે બેસી રહેવું પડતું હોય તેવું બને. બીજાના ભરોસે આખી જિંદગી કાઢી નાખનારની વાત કરી નિંદા કુથલી કરવી નથી પણ વાત એની કરવી છે જેઓ સ્વબળે જીવન જીવતા હોય, સફળતા - નિષ્ફળતા વચ્ચે જોલા ખાતા હોય તેમજ ક્યારેક પોતે તો ક્યારેક અન્ય દ્વારા ગુંથેલી જાળામાં અટવાતા હોય. ક્યારેક વગર કારણે કોઈની મદદ મળી તેના ભ્રમમાં રહી કચડવાનો સમય પણ આવે. ક્યારેક સમય, સંજોગો, મજબૂરી તેમજ કુદરતની ક્રૂર થપાટોથી વ્યક્તિએ પોતાની સર્જનશીલતા અને ખુમારીને કમને પણ કોઈની મદદના મોહતાજ થવાનું વિચારતા જ કાળોતરાનાં ડંખ જેવી પીડા થાય.

ઘણીવાર મદદ ન લેવી હોય તો પણ મદદ કરનારાઓની ભરમાર થઇ જાય. આજ સંદર્ભે એક આડ વાત. મને યાદ છે કે અમારા એક શિક્ષક ભણાવતી વખતે કેટલીક જાણીતી વ્યક્તિઓનો જાણી જોઇને ઉલ્લેખ કરે અને કહે કે એ તો મારા ખાસ ઓળખીતા મિત્ર છે અને તમારી ક્યારેક મુલાકાત થાય તો મારું નામ લેવું. જયારે નામ લઈએ ત્યારે ભોઠા પડવાનો સમય આવે પણ આજ સુધી તે શિક્ષકને કોઈ વિદ્યાર્થીએ ભોઠા નથી પાડ્યા.  વગર માંગે મદદ આપવા તૈયાર થઇ જાય અને કહે કે મારું નામ લેજો તરત કામ થઇ જશે. અને વિદ્યાર્થીઓ તેમ કરે પણ ખરા કારણકે વિદ્યાર્થીઓ તો બદલાતા રહેવાના. અને ઘણીવાર કામ થવાના બદલે અટકી જાય તેવું પણ થાય.ખરેખર તો તેઓ પોતાનો પ્રભાર પાથરવા આમ કહેતા પણ વાસ્તવમાં તેઓ પોતાની આવી અલ્પતા સિદ્ધ કરી વિદ્યાર્થીઓની નજરમાં નીચા ઉતરતા હતા અને જાણીતી, માનીતી અને ચાહીતી વ્યક્તિઓ માટે કૌતુક બની જતા.  ખરેખર તો આ પ્રકારની માનસિકતા નિર્દોષ માણસનું કામ બગાડવા નિમિત્ત બની જાય છે. જેનાથી ચેતી જવું જોઈએ.

કોઈ ગમે તેટલો સધિયારો આપે પણ એમ કોઈના ભરોસે બેસી ન રહેવાય આપણે આપણા પ્રયાશો ચાલુ રાખવા જોઈએ.અભ્યાસમાં, કરિયરમાં, સમાજમાં અને જીવનના પ્રત્યેક તબક્કે. મદદ ન લેવી હોય તો પણ કોઈ જબરદસ્તીથી મદદ આપવા આવે ત્યારે ખરેખર તો મદદ કરવા આવનારને મદદની વધારે જરૂર હોય છે. તે પોતાનું સાજુ કરવા આવતા હોય છે. આવી મદદો જીભના લવારા સુધી જ સીમિત બની રહે છે. જેને કોઈની પણ મદદની જરૂર નથી તેને ત્યાજ મોટેભાગે મદદ કરનારાઓનો તાંતો લાગતો હોય છે. એવું પ્રથમ નજરે જણાય પણ અંદરખાને તેઓજ અન્યની મદદના મોહતાજ હોય છે. કોઈને જેલમાં જવાના ભણકારા સંભળાય અને તે તમને સધિયારો આપવા બોલાવે તેવું બને કારણકે તેને ખબર છે કે ક્યાંક ક્યારેક તમારી જરુરુ પડશે. તમારી ઘોર ઉપેક્ષા થઇ હોવા છતાં.

તમે અગમચેતીથી કોઈ જગ્યા છોડતા પહેલા નવા કામ માટે તમારા પ્રયત્નો શરુ કરો અને એ સમયે કોઈ એમ કહે કે ચિંતા ન કરશો હું છું ને, કહેનારાની ભાવના ગમે તેટલી સારી હોય તો પણ તેની પર ભરોસો મુકીને બેસી ન રહેવાય તમારે તમારા પ્રયાસો ચાલુ રાખવા પડે. નહિતર બધી બાજુથી લબડી જવાય તેવું બને. તમે મુશ્કેલીમાં ફસાયા હોવ, દ્વિઘામાં હોવ, કોઈ રસ્તો મળતો ન હોય, અટવાત હોવ, એવું લાગતું હોય કે બસ હવે પૂરું થયું અને જે તે વ્યક્તિને જે આના માટે જવાબદાર હોવ તેની પાસે સ્પષ્ટતા માંગો કે હવે શું કરવું? વાંધો તો નહિ આવે ને? ત્યારે સમા પક્ષેથી હકારાત્મક જવાબ મળે તો પણ બુદ્ધિનો ઉપયોગ કરી અને અંતરનો અવાજ સાંભળી નિર્ણય લેવો જોઈએ. 'ચિંતા નહિ હું બેઠો છું' એમ સાંભળી બેસી ન રહેવાય. મારા મતે ન બેસી રહેવું એ 'ઉત્તમ કર્મ' છે.

મદદ તો પરમ કૃપાળુ પરમાત્માની મળતી જ રહેતી હોય છે, જેની મરજી વગર કશું પણ શક્ય નથી. મુશ્કેલીના સમયમાં સાવ અજાણ્યો માણસ વહારે આવ્યો હોય તેવું પણ બને. પરમ કૃપાળુ પરમાત્માના બંદાને યાદ રાખીને ભવિષ્યમાં આપણે કોઈકની આ રીતે મદદ કરવા તત્પર રહેવું જોઈએ. ઠાલાં અને લુક્ખા વચનોથી કઈ સાબિત થતું નથી. ગમે તેટલી ક્ષમતા હોય તો પણ ક્યારેક જોઈએ તેવું પરિણામ ન મળે તેવું બને. ગાંડીવધારી અર્જુન સુદર્શનધારી શ્રી કૃષ્ણ વિના અધુરો છે, એ જ રીતે.

સમય સમય બળવાન હૈ નહિ મનુષ્ય મહાન, કાબે અર્જુન લૂંટ લિયો વહી ધનુષ્ય વહી બાણ 

આમ છતાં આ દુનિયામાં કોઈ સાથ આપે કે ન આપે, આપણે આપનું કામ પ્રભુને સાથે રાખીને કરતા રહેવું જોઈએ. ભગવાન પણ કહે છે કે જે અનન્ય ભાવે મને યાદ કરે છે તેના યોગ ક્ષેમનુ વાહન તેઓ વહન કરે છે. તેથી નિશ્ચિંત થઈને કર્મની સાથે સાથે આપણે આપણા કામના શ્રી ગણેશ કરી નાખવા જોઈએ.



મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2013

મિત્રો વિષે ઇન્ટરનેટ પહેલા... ઇન્ટરનેટ પછી...


'મિત્ર એવો શોધવો જે ઢાલ જેવો હોય' અને 'સાચા મિત્રની ઓળખ મુશ્કેલીના સમયમાં થાય' એવી મોટી વાતો કરતા મને નથી ફાવતી. ખરેખર તો મિત્રો આયોજન પૂર્વક નથી બનતા પણ બની જતા હોય છે. જોકે મિત્રોની બાબતમાં હું હમેશા અનલકી રહ્યો છું. બાળપણથી યુવાની સુધી મિત્રતા ટકી રહી હોય એવું મારા કિસ્મતમાં નથી. સંપર્ક અને મિત્રતામાં ઘણો તફાવત છે. અત્યારે તો મિત્રતા નહિ પણ સંપર્કોથી કામ ચલાવી લેવું પડે છે. બાળપણના, શાળાના, કોલેજના, સાથે કામ કરતા મિત્રો ક્યાય શોધ્યાય જડતા નથી. ભલે એમ કહેવાતું હોય કે નેટનાં જમાનામાં દુનિયા ઘણી સાંકડી થઇ ગઈ છે. નેટ પર કલાકો સુધી અજાણ્યા મિત્રો સાથે ચેટીંગ થાય અને ફોન પર પણ લાંબી વાતો થાય પણ કોઈ મિત્રના ઘરે જઈ મળવાનો સમય ન હોય તેવું બને. હું તો આ ઝાળ પર માત્ર ૨ વર્ષ થી જ છું. તૂટેલા, કપાયેલા, દૂર થયેલા, ભૂલી ગયેલા મિત્રોને ફરી યાદ કરવા, તાજા કરવા અને જોડવા... એ સાથે નવા મિત્રો પણ બની રહ્યા છે... 

મેં જ્યારથી ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કર્યો છે લગભગ ૨ વર્ષથી એક પણ મિત્ર સાથે રૂબરૂ મુલાકાત થઇ નથી. મિત્ર હિંમત કાતારીયાને ઝાલરટાણું તેમના ઘરે મળવા ગયો હતો. એ સમયે નેટનો એટલો પરિચય ન હતો. હિંમતભાઈ સાથે પ્રથમ મુલાકાત ઓફિસમાં થઇ હતી. ચાર જ મહિના સાથે રહ્યા અને છુટા પડી ગયા, તે ઘણા પાછળથી આવ્યા હતા. છુટા પડ્યાને ચાર વર્ષ થઇ ગયા અને આ ચાર વર્ષના ગાળામાં ઘણું ઓછું મળવાનું થયું છે પણ આત્મીયતા અકબંધ  છે. એ ઓછા ગાળાના સમયમાં સાથે લખ્યું, સાથે ખાધું અને સાથે મુસાફરી પણ કરી. તેમની માતાના, પત્નીના અને છેક તેમના વતન ભાદરોડ જઈને તેમની ભાભીના હાથના રોટલા પણ ખાધા. તે પણ મારા ઘરે પાટણ આવી ગયા. 

કેટલાક અહી એવા મિત્રો છે જેનો કદી ચહેરો પણ ન જોયો હોય. છતાં તેની પણ એક મજા છે. કેટલાક જુના મિત્રોને નેટ પર ખોળવાનો પ્રયાસ કરું છું પણ સરનામું જડતું નથી. કેટલાકના પ્રોફાઈલ ફોટો પર લીલું ટપકું લબા લબ થતું જોવા મળે અને એકાએક ઓજલ પણ થઇ જાય. એવા કૈક મિત્રો છે જેઓ ઓનલાઈન નથી. મિત્ર સીતારામ બારોટ જેઓ કદાચ અત્યારે તો પી એચ ડી થઇ ગયા હશે. ઓન લાઈન તો શું ફોન નંબર પણ નથી મળતો. હિન્દી સાહિત્યમાં એમ ફિલ કર્યા પછી ચંદ્રકાંત બક્ષી પર પી એચ ડીની તૈયારી કરતા હતા! સત્યમ'ના ઉપનામે હિન્દીમાં ઘણી કવિતાઓ અને નાટકો પણ લખ્યા છે. એક ગુજરાતી ટૂંકી વાર્તાઓના પુસ્તકનો હિન્દી અનુવાદ પણ કર્યો હતો. એ પછી તો વધારે લખ્યું જ હશે. અમે ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અભ્યાસ સાથે કરતા.પ્રથમ મુલાકાત પણ ત્યાજ થઇ હતી, એક જાણીતા ગુજરાતી દૈનિકમાં અમે સાથે જોડાયા હતા અને પાછળથી કંટાળીને બીએડ કરવા જતા રહ્યા હતા. ગમે તેની જોડી વાત કરે પણ ઉત્તર ગુજરાતની બોલી અને લહેકો ન બદલે.બોલવામાં એકદમ બિન્દાસ. આમ ક્યાય ક્યારેય પૈસા ન કાઢે પણ તેમની ઉદારતાનો સુખદ આંચકો ત્યારે લાગ્યો હતો જ્યારે વિદ્યાપીઠના પુસ્તકાલયમાં તેમણે મને જરૂરિયાતના સમયે તેમના ખીસામાંથી પરચુરણ સમેત બધાજ પૈસા મારા ગજવામાં નાખી દીધા હતા. જોકે ભરત ચૌધરીને તો મેં પૈસા પાછા પણ આપ્યા નથી. ચૌધરી સાથે ઓનલાઈન ક્યારેક મુલાકાત થઇ જાય છે. 

મિત્રોની બાબતમાં મારે સર્કલ જેવું કઈ નથી. મારા ઘણા મિત્રોના એક પણ મિત્રને હું ન પણ ઓળખાતો હોઉં અને મારા મિત્રો મારા બીજા મિત્રોને ન ઓળખે. સોસીયલ નેટવર્ક જેવું જ મારા જીવનમાં છે. મારાથી ઓછી ઉંમરના મિત્રો પાસેથી કંઈક શીખવામાં નાનામ નથી અનુભવતો. અને જેનાથી સંબંધ છૂટી ગયો હોય તેની ગમવા જેવી બાબતોનો આદર સાથે સ્વીકારી રાખું. મિત્રો સાથે સુખમાં ભાગીદાર ન થવાય તો કઈ નહિ પણ દુખના સમયે તેની પડખે રહેવું જ તે હું  સૌરભ શાહ  પાસેથી શીખ્યો. આની સમજ અને સ્વીકાર તો હતો જ પણ મક્કમતા તેમની પ્રત્યક્ષતાથી આવ્યા. ખાસ કરીને કોઈ મિત્ર કે સંબંધીના સ્વજનનું અવસાન થયું હોય ત્યારે બધા જ કામ પડતા મૂકી તેઓ ત્યાં પહોચી જાય. મારા સસરાનું અચાનક જ અવસાન થયું ત્યારે તેમને જાણ થતા તેઓ બધું જ કામ પડતું મૂકી અમદાવાદથી છેક ધાનેરા બેસણામાં આવી ગયા હતા.ચંદ્રકાંત બક્ષીનું અવસાન થયું એવા સમાચાર મળતા જ ગાડી અને ડ્રાઈવર હાજર ન હોવા છતાં ઝડપથી પહોચવા તેઓ મારા બાઈક પર બેસી ગયા હતા. 

સમય અને સંજોગો સાથે સાથે મિત્રો પણ બદલાતા રહે છે. પોતાની હેસિયત અને સ્ટેટસ પ્રમાણે વ્યક્તિ મિત્રો બનાવતો થઇ જાય છે. પોતાના મિત્રની બે વાતો સાંભળવામાં રસ ન લે પણ પોતાની જિંદગી આખીનું સરવૈયું મૂકી દે. એક સાદી સીધી અને સરળ વાત છે કે તમે કોઈનામાં રસ લો તો જ કોઈ તમારામાં રસ લે. અને શરૂઆત આપણે જ કરવી પડે. ચાણક્યએ કહ્યું છે એ પ્રમાણે કેટલાક મિત્રતાનો મુખોટો ઓઢીને શત્રુતા નિભાવવા પણ આવતા હોય છે. મોઢે વખાણ કરે અને પાછળથી વાઢી નાખે. કેટલીક મિત્રતા પાછળ ચોક્ખો સ્વાર્થ હોય અને કેટલાક નિસ્વાર્થપણે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું વહાવતા હોય. ગરજ પડે ત્યારે ગમે તેને બાપ બનાવી લે. ઘણા એવા પણ હોય કે તેમને ખબર પડે કે તમે મુશ્કેલીમાં છો અને મદદ માટે આવશો જ એટલે એવું પહેલેથી ધારી લઈને પલાયન થઇ જાય. તમે કોઈની પણ મદદના મોહતાજ ન હોવ તો પણ. કેટલીક વખત કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા પ્રથમ મિત્રને ખોવાનો અવસર પણ આવે. ત્યારે એમ માનીને મન મનાવવું પડે કે તે આપણી મિત્રતાને લાયક નથી! ફેસ બુકની ભાષામાં વાત કરું તો મને એવી સમજ હોવી જોઈએ કે મારી પોસ્ટને મેં કરેલી ટેગ કયા મિત્રને ગમશે અને કયા મિત્રને નહિ ગમે.કેટલીક મિત્રતા વૈચારિક સમાનતાના કારણે તકતી હોય છે તો કેટલીક એક બીજાને મદદ કરતા રહેવાની ભાવનાને કારણે. બાકી સંપર્કો તો વિખેરાતા રહેવાના. અન ફ્રેન્ડ, ડીલીટ અને બ્લોક જીવનમાં પણ ખરા.તમારી ભલે એવી ભાવના હોય કે મિત્રોને તેમની ખામીઓ સાથે ચાહવા પણ સામે પક્ષે તેમ ન પણ હોય. 

ફેસ બૂક પર એવા પણ કેટલાક મિત્રો છે જેઓ ફોન નંબર માગે અને જનમ દિવસે યાદ કરીને સારો ભાવ પ્રગટ કરે. મારા મિત્ર લીસ્ટમાં ઘણા એવા મિત્રો છે જેમને મારી ભાષા ન આવડતી હોય તો પણ સમજ્યા વગર જ પોસ્ટને લાઈક કરી નાખે. ક્યારેક પૂછે પણ ખરા કે આ શું લખ્યું છે? મારી સૂચિમાં ભારતના ખૂણે ખૂણે થી મિત્રો જોડાયેલા છે. કેટલાક વિદેશી પણ છે. જાતી જીવનમાં ઘણા ઓછા મિત્રો છે પણ આ મહાઝાળ પર મિત્રોની સંખ્યા વધતી રહે છે.  

કેટલાક એવા પણ ઓળખીતા અને ભૂલાયેલા વિરલ ત્રિવેદીના નામથી જ ભડકનારા, નજીક હોવા છતાં ન ઓળખી શકનારા ક્યારેક આવી ચડે અને પ્રોફાઈલ જોઈ ચાલ્યા જાય. અહી કેટલાક એવા મિત્રો થયા જેને મળવાનું મન થાય ચિરાગભાઈ ઠક્કર  અને વિનયભાઈ ખત્રી . ચિરાગભાઈ સાથે તો ફોન પર વાત પણ થઇ. વિનયભાઈએ એક સમસ્યા સુલજાવી તેમની મિત્રોને મદદ કરવાની ભાવનાનો ગઈકાલે પરિચય પણ થયો. વિનયભાઈની જ એક પોસ્ટ પર જય વસાવડા સાથે થોડી વાતો કરી તો એક અન્ય ભાઈને ન ગમ્યું અને મને વડચકું પણ ભરી લીધું હતું. અકારણ, સમજ્યા વગર જ. એટલે અહી લોકો બટકા ભરવા અને તમને પરેશાન કરવા પણ તૈયાર બેઠા છે તેની તૈયારી રાખવી એનો અનુભવ પણ થઇ ગયો. કોઈ વળી મિત્ર બનીને તમારું બધું તળિયા ઝાટક (હેક) પણ કરી નાખે...

અહી બધા જ મિત્રોનો ઉલ્લેખ કરવો શક્ય નથી અને જરૂરી પણ નથી અને કેટલાકને તે ન પણ ગમે તેથી જાણી જોઇને તે ટાળું છું. ખબર નહિ કયા મિત્રો આ વાંચશે? 



રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

લેખનનો વ્યવસાય છે શૂરોનો નહિ કાયરનું કામ...


એક ગુજરાતી સાપ્તાહિક છે, જેના તંત્રી - તંત્રી અને સંપાદક તો તેઓ નામના જ છે. ચાર લીટીનો તંત્રી લેખ લખતા પણ તે હાંફી જાય છે. તેઓ તેમના મેગેઝીનમાં એવા પત્રકારોને નોકરીએ રાખે જેની ખાસ કોઈ ઓળખ (તેમની સમજ પ્રમાણે) ઉભી થઇ ના હોય. એક જ વિષય પર બધાય પત્રકારોને અસાઇનમેન્ટ આપે અને તેમને જો ગમી જાય તો એકાદો લેખ છાપી મારે અને બાય-લાઈનમાં કોઈ ભૂતિયું નામ મૂકી દે. ક્યારેક બધાય લેખોનું મિશ્રણ પણ કરે. જોકે એડીટોરીયલ સ્ટાફ માત્ર ત્રણ કે વધીને ચારની સંખ્યાનો જ રાખે છે. ફોટોગ્રાફર રાખતા નથી પણ ક્યારેક કોઈક પત્રકારને કેમેરા પકડાવી દે.તેમજ અગાઉથી જ કયા એન્ગલથી તસ્વીરો લેવી તેનું બ્રીફિંગ પણ કરે.  આ તંત્રી શ્રીની દિવસ દરમિયાન એકજ પ્રવૃત્તિ એડીટોરીયલ અને કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટમાં મુકેલા સી સી ટીવી કેમેરાથી કોણ શું કરે છે તે પોતાના અંગત અને અલાયદા રૂમમાં બેસીને નિહાળ્યા કરે, વચ્ચે વચ્ચે ટીવી પર સમાચાર જોઈ લે. નવા જોડાયેલ પાસેથી તેના અગાઉની કમ્પની વિષે જાણવાનો ભરપુર પ્રયાસ કરે.  આ બધું હોવા છતાં પૈસાની બાબતમાં એકદમ પ્રમાણિકતા. પગાર રોકવો, અટકાવવો... પૈસાની બાબતમાં બોલીને ફરી જવું, પૈસા માટે કોઈને પરેશાન કરવો આવું કઈ જ નહિ. હું માત્ર ૧૪ જ દિવસ અહી રહ્યો અને ૧૫ માં દિવસે મને ગણીને પૈસા આપી દીધા.આનાથી એકદમ જ ઉલટું હું જ્યાંથી ભગ્ન હૃદયે આવ્યો હતો ત્યાં મને જે લખવું હોય તેની પુરતી છૂટ હતી અને એટલે જ તો લાંબા સમયથી ત્યાં જોડાયેલો રહ્યો હતો. એ સમયે પૈસા મારા માટે ગૌણ હતા. આજે નહિ તો કાલ આવક વધશે જ એવી મારી શ્રદ્ધા હતી. અને અંતે એ શ્રદ્ધા અને વિશ્વાસ પૈસાની થતી રેલમ છેલ જોતા ઓગળી ગયા હતા. વૈચારિક માન્યતાઓ પર પૈસા હાવી થયા હતા. હીરાની પરખ સાચો ઝોહરી જ કરી શકે તેની ખબર તો હતી પણ અનુભૂતિ એ સમયે થઇ. મારે ક્યારેય ક્રેડીટ માંગવી પડી ન હતી. બસ પાછળથી થોડીક ઓછી થઇ ગઈ હતી જે મારા માટે અસહ્ય હતું. વિષયાંતર થતું લાગે છે? ચાલો જવા દો આ ચર્ચા. ફરી ક્યારેક વાત. કહેવાનો મતલબ એ કે ઉલટું એટલે દરેક બાબતમાં માત્ર પૈસાની જ નહિ. એક લક્ષ્ય સાથે શરુ થયેલ પૈસાના આભવામાં કે મોહમાં બંદ થઇ જાય અને બીજું ખાસ કોઈ ઉદ્દેશ્ય કે વિઝન વગર ચાલ્યા કરે...  કે બંદ કરવા માટે મજબૂર કરવામાં આવે કે પછી મજબૂરીની આડમાં ઘૂંટણ ટેકવી દેવામાં આવે?
(નામ પૂછવું નહિ, તેમને બધાય ઓળખે મને તો મારા ગામમાં પણ કોઈ ઓળખતું નથી અને કારણ વગર - પૈની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ વાળી નથી કરવી)
* * *
પત્રકારત્વના અને લેખનના વ્યવસાયમાં 'સ્થિરતા'ને સ્થાન નથી. સેટ થઇ જવું એમના માટે હોઈ શકે જેઓ હઈસો હઈસો કરીને આ ફિલ્ડમાં કુદી પડ્યા હોય અને મૌલીકતાના 'મ'ની પણ સમજ ન હોય અને ઉઠાંતરી કરવી જેમનું કૌશલ્ય હોય તેમજ કોઈ પણ ભોગે ન્યૂસ સ્ટોરી બનાવી નાખવાની હોય. જેમને માત્ર પગારથી જ મતલબ હોય અને પુરતી માહિતી એકઠી કર્યા વગર જ ગમે તેને ઝુડવા કે ગેલ કરવા માટે તૈયાર હોય તેને સત્ય નહિ સમજાય.

પોતાની વસ્તુનો હક અને અધિકાર પોતાના કરી લેવાની વૃત્તિ તો ગાય કે ભેસનો પોદળો ઉપાડનારાને પણ હોય છે. ગામડામાં સૌથી પહેલી નજર જેની પોદળા પર પડી હોય તે તેના પર ડિંડવું લગાવી પોતાના માલિકી હકની નોધણી કરી નાખે.  જેનો વ્યવસાય જ લેખન અને સર્જનનો છે તે પોતાની કૃતિ પાછળ ઉદાસીન રહે તો ભૂખે મારવાનો સમય આવે કારણકે ચોર લુટારુઓ રાતના અંધારામાં જ ધાડ પાડવા નથી નીકળતા. ચોરીનું સ્વરૂપ અને ચોરના રંગ રૂપ બદલાયા છે પણ કોઈને વસ્તુને પોતાની કરી લેવાની વૃત્તિ એની એ જ છે. અને આજ કારણે કેટલીક સરસ સાઈટ્સ તેમની સામગ્રી મફતમાં નથી મુકતી. ઉઠાંતરી લેખનમાં જ નહિ કલાના પ્રત્યેક ક્ષેત્રમાં થાય છે. કોઈના પુસ્તક પરથી ફિલ્મ બની જાય અને મૂળ સર્જકને જાણ પણ કરવામાં ન આવે તેવું બને. પૈસા અને પ્રતિષ્ઠાના જોરે જોહુકમી પણ થાય. ઉલટા ચોરો કોતવાલોને દંડે. કોપી રાઈટના કાયદાની સમજ હોય તો પણ આવું થાય. (જેને કોપી રાઈટ એટલે શું એની જ સમજ નથી એની વાત આગળ આવશે) કેટલાક સર્જકો પોતાના સર્જન પાછળ જીવનભરની કમાણી લગાવી દેતા હોય છે. ઘર બાળીને તીરથ ન થાય પણ થાય છે. કોઈ પણ ભોગે પોતાની વાત સમાજ સુધી પહોચાડવી પછી ભલે ગમે તે થઇ જાય. ગજવેલની છાતી અને ફના થઇ જવાનું દિમાગ ધરાવનારા સર્જકના શબ્દ કોશમાં બાંધ છોડ કરવી અને પ્રેક્ટીકલ જેવા શબ્દો નથી હોતા. તેઓ એવું પણ નથી વિચારતા કે મારું આ સર્જન કોણ પસંદ કરશે અને કોણ પસંદ નહિ કરે, કોને સમજમાં આવશે કે કોને નહિ આવ? વિશાળ ચાહક વર્ગ ઉભો કરવાની ઈચ્છા જરૂર હોય પણ ઘેલછા નથી હોતી. વીર સાવરકરની આગ ઓકતી કલમથી અંગ્રેજો એવા ભયભીત થઇ જતા કે પુસ્તક છપાયા પહેલા જ તેના પર પ્રતિબંધ મુકાઈ જતો. તેમને ન તો પૈસાની પરવા હતી કે ન ક્રેડીટની. તસલીમા નસરીન અને સલમાન રશ્દી વિરુધ ગમે તેવા ફતવાઓ જાહેર થાય, એક દેશથી બીજા દેશમાં ભટકવું પડે પણ તેઓ પોતાના લખાણમાં બાંધ છોડ પણ કરતા નથી સર્જનને સ્થગિત કરવાની વાત તો દુર રહી...

હવે વાત કરીએ ઇન્ટરનેટની દુનિયાની. અહી કોપી કરવા માટે ખાસ મથામણ કરવાની જરૂર નથી રહેતી. પેન પકડીને ઉતારો નથી કરવો પડતો. બસ સિલેક્ટ ઓલ, કોપી અને પેસ્ટ બસ થઇ ગયું. શું લખ્યું છે એ પણ ખબર ન હોય તેવું બને અને કદાચ પૂરું વાંચ્યું પણ ન હોય. ગઈ સાલ એક હિન્દી બ્લોગર કોર્ટમાં ગયા હતા, તેમની એક પોસ્ટ એક હિન્દી છાપાએ તેમની પરમીશન વગર જ ઉઠાવી લીધી હતી. હમણા થોડા જ દિવસ અગાઉ વાયા ફેસ બૂક એક લેખ વાંચ્યો અને ગમ્યો અને કોમેન્ટ મૂકી ત્યારે મિત્રએ ધ્યાન દોર્યું કે આ લેખ ખરેખર એક બ્લોગ પરથી ઉઠાવવામાં આવ્યો છે. ખરેખર તો આ સોસીયલ સાઈટ્સ કોપી પેસ્ટના અખાડાઓ બની ગઈ છે. ખબર છે કે ત્યાં શેર માથે સવા શેર બેઠા છે તો પણ શેર કરવું પડે. અને એ પણ કેવું વિચિત્ર તમે કોઈક પોસ્ટ પર લાઈક કે કોમેન્ટ ન કરી શકો પણ ઉઠાવી ફરીથી પોસ્ટ જરૂર થાય. હમણા થોડા દિવસ પહેલા મારા હિન્દી બ્લોગ પરની એક પોસ્ટ એક ભાઈને ગમી ગઈ અને તેમણે નીચે કોમેન્ટ મૂકી કે આ લેખની કોપી કરું છું અને ખોટું ના લગાડતા. મેં કહ્યું કે ભાઈ આ લખતી વખતે મગજ અને શરીરને જોર પડે છે અને તમે એમ જ કોપી કરી લેશો? કોપી કરો પણ મારા બ્લોગની લિંક તો મુકો... તો નફફટ થઈને કહ્યું કે લિંક મુકતા નથી આવડતી. તમારું નામ લખ્યું જ છે. લો બોલો. જોકે પાછળથી લિંક બનાવતા શીખીને તેમણે મારા બ્લોગની લિંક મૂકી. અને આમેય એ લેખમાં એવું કઈ હતું નહિ કે મારે રો કકળ કરવી પડે. ક્યાં ક્યાં શું કોપી થઇ રહ્યું છે તેનું બધી જ જગ્યાએ ધ્યાન ન જાય તે સ્વાભાવિક છે અને એવું જ શોધતા રહેવાનો સમય પણ ન હોય તે પણ સ્વાભાવિક છે. ઘણા ઓછા મિત્રો આવી બાબતો પર એક બીજાનું ધ્યાન દોરતા હોય છે. પણ ક્યાંક નજરે ચડી જાય ત્યારે ધ્યાન દોરાનારાનો આભાર માનવો પડે.

લેખનના ક્ષેત્રમાં જેમણે નામના મેળવી લીધી હોય અને એ દ્વારા આવક થતી હોય તેમના કેટલાકને આ બાબતે ચિંતા ન હોય તેવું પણ બને. પણ લખવું જેના માટે એક પેશન હોય અને તેમાંથી કોઈ પણ પ્રકારની આવક ન થતી હોય ત્યારે પોતાના સર્જનની ઉઠાંતરીથી આહત થાય. કેટલાક સરસ લખી શકતા હોય અને ટેકનોલોજી ન જાણતા હોય. કેટલાક ટેકનોલોજી જાણતા હોય અને લખતા ન આવડતું હોય અને બંનેમાં માહિર હોય તેવા પણ કેટલાક હોય. કેટલાક શીખવા માટે પ્રયાસરત હોય. પણ જેને લખતા જ ન આવડતું હોય કે લેખનના ક્ષેત્ર સાથે સ્નાન શુતકનોય સંબંધ ન હોય તે શા માટે બ્લોગ બનાવતા હશે? સમય પસાર કરવા? વાહ વાહીની ખોટી ઘેલછા કે અન્ય કઈ? વિચારવું રહ્યું...

કોણ બ્લોગ લખે છે? જાણીતા લેખકો કે જેઓ એક મુકામ સુધી પહોચી ગયા છે અને આગળ કૈક નવું કરવું છે, પોતાના વાચકો સાથે સીધા સંપર્કમાં રહવા માટે... એમના ઘણા ઓછા લેખકો એવા છે જેઓ જે છાપા અને સપ્તાહીકોમાં લખત હોય એ જ વસ્તુને બ્લોગમાં રીપીટ ન કરતા હોય. બીજા જેઓ માત્ર અને માત્ર ઉઠાંતરી જ કરી જાણે છે અને ખોટી રીતે નાણા રળે છે અને કેટલાક સમય પસાર કરવા. કોઈ વળી નામ જોગ સાથે કવિઓની કવિતાઓ તેમના બ્લોગમાં અપડેટ કરે છે. કોઈ બ્લોગ પર લખતા લખતા સમાચાર સાઈટ પર લખતા થઇ જાય છે અને મફતિયા બ્લોગ છોડી દે છે. દરેકનો પોતાનો અલગ ઉદ્દેશ્ય હોય અને કેટલાકનો ઉપદ્રવ પણ હોય. ઉપરના કારણો પણ હોય.

અને કોઈક પોતાના લક્ષ્ય માટે નીકળી પડ્યા હોય તેના માટે બધું જ ગૌણ બની જાય છે, જેના માટે લેખન એક સાધન છે સાધ્ય નથી.

શુક્રવાર, 25 જાન્યુઆરી, 2013

સાંસ્કૃતિક આતંકવાદ



કમાલના અભિનેતા અને પ્રોડ્યુસર ડીરેક્ટર કમલની ફિલ્મ 'વિશ્વારુપમ'ને પ્રસારિત થતા અટકાવી દેવામાં આવી છે. તમિલનાડુ સરકારનો અને તેને અટકાવવામાં રસ છે તેવા રાજકીય સંગઠનોનો  આક્ષેપ છે કે ફિલ્મમાં મુસ્લિમોને આતંકવાદી દર્શાવવામાં આવ્યા છે. કમલે તેનો બચાવ કર્યો અને કહ્યું કે ફિલ્મમાં જે બાબતનો વિરોધ કરી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એવું કઈ જ નથી, ઉલટાનું મુસ્લિમોને પણ આ ફિલ્મ પસંદ આવશે. કહેવાય છે કે કમલે આ ફિલ્મમાં પોતાની જિંદગી ભરની કમાણી લગાવી દીધી છે. એટલે કમલ તરફથી તીખી પ્રતિક્રિયા આવે તે સ્વાભાવિક છે. કમલની ફિલ્મો સામાન્ય ચીલા ચાલુ હિન્દી ફિલ્મો જેવી નહિ પણ જરા હટકે હોય છે અને તેમની બૌધિક ક્ષમતા ફિલ્મમાં જોવા મળતી જ હોય છે. આ એવો અભિનેતા અને દિગ્દર્શક છે જે વાસ્તવ અને કલ્પનાનું ગજબનું મિશ્રણ કરી દેશના પ્રશ્નોને વાચા આપે છે. 'હે રામ', 'હિન્દુસ્તાની', 'દશાવતાર' જેવી અદ્ભુત ફિલ્મો દ્વારા તેમણે જે સંદેશ આપ્યો તેને દુનિયા જાણે છે. પોતાનો રાજકીય રીતે ઉપયોગ થતો હોવાનું કહી કહ્યું કે આ 'સાંસ્કૃતિક આતંકવાદ' છે. અને તે ખોટું પણ નથી. સાચા કલાકારોની કલાને સમજ્યા વગર જ તેની રચનાને અટકાવવી અને કલાના નામે સંસ્કૃતિના છોતરા ઉડાડ્નારાઓને છૂટો દોર આપી દેવો તે સાંસ્કૃતિક આતંકવાદ જ કહેવાય. એવી કઈ ફિલ્મ છે જેમાં હિન્દુઓનો મત વ્યક્ત થયો હોય? 'હે રામ' ફિલ્મ દ્વારા કમલે એ પ્રયાસ કર્યો હતો અને એ સમયે પણ તેણે ચોક્કસ પ્રકારના લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અને તેથી જ કમલ તેમને આંખના કણાની જેમ ખુંચે તે સ્વાભાવિક છે.

'દશાવતાર' ફિલ્મમાં કમલ દશ રૂપોમાં જોવા મળે છે. 'હિન્દુસ્તાની'માં ક્રાંતિકારીનું પાત્ર એક રાષ્ટ્રવાદીને પોતીકું લાગે અને 'હે રામ'નો મદ્રાસી બ્રાહ્મણ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. 'હે રામ' વખતે પણ આવો જ વિરોધ ગાંધીવાદીઓ અને કોંગ્રેસ દ્વારા થયો હતો. જેના કારણે કેટલાક અદ્ભુત દ્રશ્યો અત્યારે ફિલ્મમાંથી નીકળી ગયા છે. ક્યારેક આ ફિલ્મ ટીવી પર બતાવવામાં આવે ત્યારે કેટલાક વાંધાજનક(?) દ્રશ્યો બતાવવામાં આવતા નથી. અને આ મુઠી ઉછેરો કલાકાર એમ ગાંજ્યો જાય એવો નથી. તેની ફિલ્મ આજે નહિ તો કાલે પ્રદર્શિત થશે જ તેમાં નવાઈ નથી.

'હે રામ' ફિલ્મમાં કમલે શાહરૂખ ખાનને એક નાનકડી ભૂમિકા આપી હતી. એ પછી શાહરૂખે તેની ફિલ્મ 'મૈ હૂં ના' માં કમલને અભિનય કરવાની વિનંતી કરી  હતી અને કમલે તેનો અસ્વીકાર એવું કહીને કર્યો હતો કે ફિલ્મની સ્ક્રીપ્ટ બરાબર નથી, જેનાથી શાહરુખને માઠું લાગી ગયું હતું.  હવે 'મૈ હું ના' જેવી ધરાર અવાસ્તવિક ફિલ્મમાં કમલને રસ ન પડે અને તે શાહરુખને ન સમજાય તે પણ સ્વાભાવિક છે. 'મૈ હું ના' ફિલ્મમાં એક હિન્દુને આતંકવાદી દર્શાવવામાં આવ્યો હતો જેમાં રતી ભાર પણ વાસ્તવિકતા નથી. તે ફિલ્મ વિના વિરોધે રિલીજ થઇ ગઈ હતી અને હીટ પણ સાબિત થઇ હતી. હિન્દી ફિલ્મોમાં મુલ્લાઓ અને પાદરીઓની કરુણતા અને પંડિતોની નીચતા અને અધમતાની નવાઈ નથી. હિંદુઓ જો એવું વિચારે તો એક પણ ફિલ્મ રિલીજ ન થવા દે. અને આમેય હિન્દી ફિલ્મો સંક્રમણ કાળમાંથી પસાર થઇ રહી છે. લવ... સેક્ષ અને ધોકા સિવાય શું જોવા મળે છે?

અહી એક કાર્ટૂન દોરાનારાની ધરપકડ થઇ શકે છે પણ જાવેદ અખતરો, મહેશ ભટ્ટો અને નિદા ફજલીઓના હિંદુઓ પરના બેફામ વાણી વિલાસને માથે ચઢાવવામાં આવે અને કોઈ એક ખાસ કોમની બદીઓ વિષે જરા સરખો પણ ઈશારો  કરે તો તેનું કેરિયર ધૂળ ધાણી કરી નાખવામાં આવે તે સાંસ્કૃતિક આતંકવાદ જ છે. ગયા વર્ષે ટીવી ચેનલ પર પ્રસારિત થતી ૨ ટીવી સીરીયલો એકએક બંધ કરી દેવામાં આવી. 'ચંદ્ર ગુપ્ત મૌર્ય' ધનનંદનાં વધ પહેલા બંદ થઇ અને ત્યાર પછી 'વીર શિવાજી' માં છત્રપતિ શિવાજીના વાઘ નખથી અફજલ ખાનનું પેટ ચીરાતું બિનસાંપ્રદાયિક હિન્દુસ્તાનમાં ન જોઈ શકાય તે સ્વાભાવિક છે.સાચી વાત તો એ છે કે સાંસ્કૃતિક આતંકવાદ પણ ધીરે ધીરે પણ મક્કમતાથી જડો જમાવી રહ્યું છે. જેમાં સાચાની નિષ્ક્રિયતા અને ખોટાની સક્રિયતાથી ફૂલી ફાલી શકે છે. ઢંગ ધડા વગરની ફિલ્મો અને ટી વી સીરીયલો અને અધુરી, અધકચરી, અતાર્કિક એવી અન્ય સામગ્રી ઠાલવતા ક્ષેત્રો આના ઉદાહરણો છે. મોટા માધ્યમોમાં મોટી મોટી વાતો કરનારા ખરા ટાણે પાણીમાં બેસી જાય તે પણ (અદ્રશ્ય) સાંસ્કૃતિક આતંકવાદ જ કહેવાય.

રીલેટેડ પોસ્ટ - 'હે રામ' એક નિષ્ફળ અને ભુલાયેલી ફિલ્મની સમીક્ષા

ગુરુવાર, 24 જાન્યુઆરી, 2013

બોલે એનું બધુંય વેચાય...



આજે બજારમાં શાક-ભાજી વેચનારાઓ વચ્ચેની તકરાર મારાથી સંભળાઈ ગઈ. આ સબ્જીવાળો ભાઈ દરરોજ હાઈવે નજીક ઉભો રહે છે અને આજે તે બજારમાં ઉભો રહ્યો. અને તેની આદત અને આવડતનાં કારણે જોર જોર થી બુમો પડતો હતો. બીજી લારીવાળી બહેનોએ વાંધો ઉઠાવ્યો કે તું બુમો કીમની પાડશ. પણ તેને તો વધારે શુરાતન ચડ્યું. બજારમાં સૌથી વ્યાજબી કહી શકાય તેવો ભાવ તેનો હોય છે. જોખવામાં ગોટાળો કરતો હોય તો રામ જાણે પણ તે બોલવાની તેની કળાનો છૂટ થી ઉપયોગ કરે છે. ઓછા નફે અને આ રીતે લય બદ્ધ રીતે બોલી ગ્રાહકોને આકર્ષિત કરી તે ધંધો કરે છે. દરેક લારીવાળાની આ બીઝનેસ સ્ટ્રેટેજી ના પણ હોય. એટલે તેમને આ ખટકે તે સ્વાભાવિક છે. વિરોધ છતાં તે તેની સ્ટ્રેટેજી બદલ્યા વગર હિંમત અને મક્કમતાથી ત્યાં ઉભો રહ્યો. 

બોલવું - સ્પષ્ટ રીતે, સામેવાળાને સમજાય તે રીતે અને લવારો કરવો તેમાં ઘણો તફાવત છે. લવારો કારણ વગર થાય છે અને બોલવાનું હોય છે જ્યાં જરૂર હોય ત્યાજ. આમ ઘણી બકા બક થતી હોય પણ જ્યાં બોલવું જરૂરી હોય ત્યાં જીભ સિવાઈ જતી હોય છે. કારણ વગરના લાવારમાં તે ઉર્જા ખતમ થઇ ચુકી હોય છે. મને યાદ છે હું એક જાણીતા દૈનિકમાં ટ્રેઈની પત્રકાર તરીકે જોડાયો હતો અને બીજા પણ ઘણા મિત્રો મારી સાથે હતા. એક મહિના ઉપર સમય થઇ જવા છતાં વેતન આપવામાં આવ્યું ન હતું અને કોઈ ખાસ કામ પણ સોપવામાં આવ્યું ન હતું. આખો દિવસ કામ કર્યા વગર જ પસાર થતો. તંત્રી આવવા જવામાં ઘણા જ અનિયમિત હતા. કંટાળો વધતો જતો હતો અને તેનો કોઈ જ નિવેડો આવે તેમ લાગતું ન હતું. અંદરો અંદર ગુસ પુસ ચાલુ જ હતી. એવામાં જ તંત્રીનું આગમન થયું. તેઓ જેવા એમની કેબીનમાં જઈને બેઠા એવો જ હું તેમની કેબીનમાં ઘુસી ગયો અને પરિસ્થિતિની જાણ કરી આગળ નિર્ણય લેવા કહ્યું. જોકે પછી તેમણે એવું કહ્યું કે આજે હું આ વાત કરવાનો જ હતો. હું બહાર આવ્યો ત્યારે મિત્રો આશ્ચર્ય અને ઉત્સુકતાથી મને જોઈ રહ્યા કારણકે મારી છાપ એક ઓછા બોલા વ્યક્તિ તરીકેની હતી. જોકે એવું નથી કે જીવનના પ્રત્યક તબક્કે જરૂર જણાય ત્યાં હું મારી વાત રજુ કરી જ શક્યો છું. મેં પણ મારા જીવનમાં ન બોલીને ઘણી ભૂલો કરી જ છે અને ક્યાંક કારણ વગરનો લવારો પણ થયો હશે. પણ કહેવાનો મતલબ કે ક્યારેક બોલવું જરૂરી બની જાય છે. પોતાનો હક્ક માંગવા પણ બોલવું પડે. 

વક્તૃત્વાની પણ એક કળા હોય છે. બોલકા માણસો પણ જાહેરમાં બોલવા ઉભા થાય ત્યારે તેમના પગ ધ્રુજવા લાગે, ગાળામાં શોષ પડે અને જીભ થોથવાઈ જાય. એવા પણ વક્તાઓ છે જે ઓછા બોલા હોય અને જાહેર સભામાં જંગી મેદની વચ્ચે બોલે ત્યારે લોકોમાં એકતાનતા આવી જાય.અમિતાભ બચ્ચન ઓછા બોલા છે એમ કહેવાય છે પણ જ્યારે તેઓ અભિનયથી સંવાદ બોલે અને જે શ્રેષ્ઠ પરિણામ સામે આવે તેને દુનિયા જાણે છે. દિગ્વિજયસિંહ ઘણું બોલે છે પણ જો જાહેરસભા સંબોધવાની હોય તો કોંગ્રેસી સમર્થકો પણ ભાગી જાય. ગૃહ મંત્રી શિંદેની બકવાસ પછી હાફિજ યુ એન માં જઈને તેની વાત રજુ કરી આવ્યો. શિંદેનાં વેણ આપણા માટે લવારો સાબિત થયા અને હાફિજની યુનોમાં રજૂઆત તેના માટે બોલે તેના બોર વેચાય સાબિત થઇ શકે છે. 

 ઘણા ટીવી ચેનલના પત્રકારો જેનો ઈન્ટરવ્યું લઇ રહ્યા હોય તેને બોલવા ન દે અને પોતે જ પ્રશ્ન કરે અને જવાબ પણ જાતે આપી નિર્ણય પર પણ આવી જાય. આ એક પ્રકારની અશિસ્ત છે જેને બધા જ નેતાઓ આંતરી શકતા નથી. નરેન્દ્ર મોદી આ પ્રકારનો વાર્તાલાપ અધુરો મૂકી ઉભા થઇ ગયા હતા. આપણા બે જવાનો શહીદ થયા પછી આજ તક પર પ્રદર્શિત ખાસ કાર્યક્રમમાં મણી શંકર ઐયર પણ આજ તકના એન્કરને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે તમારે જ બોલવું હોય તો મને અહી શું કામ બોલાવ્યો? મણી શંકરને બોલવું હતું. 

નક્કર અને સ્પષ્ટ રજૂઆતથી જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. રણભૂમિમાં યુદ્ધ લડયા પછી પણ જો બોલતા ન આવડે તો હારી જવાય છે. અડોલ્ફ હિટલરનું તેના સૈનિકોને એવું ઉદબોધન થતું કે તેઓ કાં તો જીતવું અથવા સીધા કોફીનમાં જ જવું એવા નિર્ણય પર આવી જતા. હેઈલ હિટલર... હેઈલ હિટલર... ના જયઘોષથી હિટલરના શબ્દોનો પડઘો પડતો. હિટલરના તેજાબી ભાષણની જાદુઈ અસર થતી. 

ભારતીય જનતા પક્ષના કોઈ નેતાએ કોઈ ખાસ કોમનો ઉલ્લેખ કરીને એમ કહ્યું હોત કે આ આતંકવાદી છે કે આતંકવાદને પ્રોત્સાહન આપે છે તો કોન્ગ્રેસીયાઓ માથે ચડી બેઠા હોત પણ અહી તો ગૃહમંત્રીના લાવરને બે દિવસ થઇ ગયા ત્યારે સામે પક્ષે પણ એવી જ પ્રતિક્રિયા અપાય છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં એવી કોઈ સંવિધાનિક સંસ્થા નથી જ્યાં શિંદેનાં કથનને પડકારી તેમના 'વેણ' ને 'છેલ્લા' વેણ બનાવી દેવામાં આવે? બોલવું અને રજૂઆત કરવી પણ ક્યાં અને કઈ રીતે? એ પણ જરૂરી છે.