બુધવાર, 5 માર્ચ, 2014

ભારત... ભારત અને ભારત : આ પણ ઇતિહાસ છે

                           
                                મોક્ષમૂલમ રાતિ દદાતિ ઇતિ મોક્ષમૂલર:
                         ભારત... ભારત અને ભારત : આ પણ ઇતિહાસ છે

      બુધવાર, તારીખ ૧૯ માર્ચ ૨૦૦૩ 'મુંબઈ સમાચાર'માં પ્રકાશિત મારો એક લેખ  

  
મેક્સમૂલર પોતાના પ્રસિદ્ધ પુસ્તક 'વ્હોટ કેન આઈ ટીચ અસ'માં જણાવે છે કે સંસ્કૃત સાહિત્ય માનવીય સદગુણો અને રોચકતાથી પરિપૂર્ણ છે. સંસ્કૃત સાહિત્યથી જે પ્રાપ્ત કરી શકાય છે એટલું ગ્રીક સાહિત્યમાંથી પ્રાપ્ત કરી શકાતું નથી. સંસ્કૃત એક એવો વિષય છે, જેનાથી આપણી અવકાશની ક્ષણ આનંદદાયક બને છે.


જો મને પૂછવામાં આવે કે સૌ પ્રથમ આ ધરતી ઉપર માનવ વિકાસ ક્યાં થયો અને જીવનની સમસ્યાઓનું સમાધાન પ્રથમ ક્યાંથી મળ્યું તો હું કહીશ ભારત ભારત અને ભારત. પ્રસ્તુત વાક્ય પ્રસિદ્ધ જર્મન વિદ્વાન મેક્સમૂલરનું છે. જેમણે ભારતીય સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો તેમજ અન્ય દર્શન શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો હતો. તેમને ભારત પ્રત્યે જેટલો લગાવ હતો તેટલા જ તેઓ પશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યે ઉદાસિન હતા. તેમનો સંસ્કૃતિ પ્રેમ અને ભારત ભક્તિ જોઈએને ભારતીય વિદ્વાનો તેમની 'મોક્ષમૂલર' કહીને પ્રશંસા કરતા.

મેક્સમૂલરે ઈ.સ. ૧૮૪૪મ 'હિતોપદેશ'નો જર્મન ભાષામાં અનુવાદ પ્રકાશિત કરી આધાર વર્ષની કિશોરાવસ્થામાં જ લીપ્જીંગ વિશ્વ વિદ્યાલયમાં સંસ્કૃતનું અધ્યયન શરુ કર્યું હતું. અને 'કઠ' તેમજ 'કેન' વગેરે ઉપનિષદોનો જર્મન ભાષામાં અનુવાદ ઉપરાંત 'મેઘદૂતનો' જર્મન પદ્ય અનુવાદ પ્રગટ કર્યો હતો.

ઈ.સ ૧૮૪૫માં શ્રી બર્નૂફની સેવામાં ઉપસ્થિત થયા હતા. જેઓ ઋગ્વેદ સાયણભાષ્યનું  સંપાદન તથા પાંડુ લિપિ તૈયાર કરી રહ્યા હતા. મેક્સમૂલરે પોતાના ગુરુના આદેશ અનુસાર પોતાનું સંપૂર્ણ જીવન વેદ માટે સમર્પિત કરવાનું સ્વીકારી લીધું. 

મેક્સમૂલરે પોતાની ડાયરીમાં નોંધ્યું છે : હું બર્નૂફ દ્વારા સંપાદિત ઋગ્વેદના મંત્રોનો સંહિતા પાઠ, પદ પાઠ અને  તેમની સાયણભાષ્યની પ્રતિલિપિ કરવાના કામમાં દિવસ રાત એક કરવા લાગ્યો. ત્યાં સુધી કે લખતા લખતા જ આખી રાત વિતાવી દેતો અને ત્રીજા દિવસે જ ઊંઘતો કારણકે હું એક નહિ પણ બે પાંડુલિપિ તૈયાર કરતો હતો. એક શ્રી બર્નૂફ માટે અને બીજી મારા માટે! 

આ પ્રકાશનોના મોટા વ્યયને વહન કરવા ફ્રાંસ, જર્મની, રશિયા અને ઇંગ્લેન્ડ વગેરેની કોઈ સરકાર તૈયાર ન હતી. તેમણે ઓક્ષફર્ડ વિશ્વ વિદ્યાલયમાં સંસ્કૃતના પ્રોફેસર શ્રી વિલ્સને 'ઇસ્ટ ઇન્ડિયા' કંપનીને એમ કહીને પ્રકાશનનો કારભાર સ્વીકારવા તૈયાર કરી લીધા કે ભારતનું શાસન અને શોષણ તો તમે કરી જ રહ્યા છો, પણ ભારત જ કેમ વિશ્વના આ પ્રાચીનતમ ગ્રંથનું પ્રકાશન કોઈ બીજા દેશે કરી નાખ્યું તો દુનિયાને તમે શું મોઢું બતાવશો?


ઈ.સ. ૧૮૯૮માં બ્રિટિશ સરકારે લોકમાન્ય તિલકને રાજદ્રોહના આરોપમાં યરવડા જેલમાં મોકલ્યા હતા ત્યારે આ જાણીને ભારત ભક્ત મેક્સમૂલરને ઘણું દુઃખ થયું અને તેમણે કેટલાક નેતાઓ પાસે આવેદન પત્ર તૈયાર કરાવ્યું અને સ્વયં વિક્ટોરિયાએ ભારત સરકારને તુરંતજ તિલકને જેલ મુક્ત કરવા આદેશ મોકલ્યો હતો. 
મેક્સમૂલર ભારતીય ઋષિ સંસ્કૃતિની ધરોહર સમા વેદો ઉપનિષદો પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ હંમેશા કહેતા કે 'આધુનિક હિંદુ ધર્મ પ્રાચીન વૈદિક ધર્મથી ઘણો દૂર છે, તેના મૂળ રૂપ ઉપર અજ્ઞાન, અશ્રદ્ધાની એટલી પરતો જામી ગઈ છે કે જેને ઉખાડવી અત્યંત જરૂરી છે'. સ્વામી વિવેકાનંદે શ્રી મેક્સમૂલરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે 'ત્યારે તો હું પાછો નહિ આવી શકું. તમારે મારો અગ્નિ સંસ્કાર ત્યાં જ કરવો પડશે!'

મેક્સમૂલર પોતાના પ્રસિદ્ધ પુસ્તક 'વ્હોટ કેન આઈ ટીચ અસ'માં જણાવે છે કે સંસ્કૃત સાહિત્ય માનવીય સદ્ગુણો અને રોચકતાથી પરિપૂર્ણ છે. સંસ્કૃત સાહિત્યથી જે પ્રાપ્ત કરી શકાય છે એટલું ગ્રીક સાહિત્યમાંથી નથી કરી શકાતું. સંસ્કૃત એક એવો વિષય છે જેનાથી આપણી અવકાશની ક્ષણ આનંદદાયક બને છે. જે ઇટલી, યુનાન, મિશ્રના પિરામિડો અને બેબીલોનના મહેલોમાં તેની કલ્પના પણ ન કરી શકાય...'

યુરોપના વિદ્વાનોને ઉદ્દેશીને તેઓ કહે છે કે વિવિધ સંપદા અને પ્રાકૃતિક સૌન્દર્યથી પરિપૂર્ણ કયો દેશ છે? જો તમે મને આ ભૂમંડળનું અવલોકન કરવાનું કહેશો તો હું કહીશ કે તે દેશ છે ભારત ભારત અને ભારત જ્યાં ભૂતલ ઉપર જ સ્વર્ગની છટા નીખરી રહી છે. જો તમે એ જાણવા માંગો કે માનવ મનની ઉત્કૃષ્ટત્તમ ઉપ્લબ્ધીઓનો સર્વપ્રથમ સાક્ષાત્કાર કયા દેશે કર્યો અને કોને જીવનની સૌથી મોટી સમસ્યાઓ પર વિચાર કરી તેમાંથી એવા ઘણા મોટા સમાધાનો શોધી કાઢ્યા છે કે પ્લેટો અને કાંટ જેવા દાર્શનિકોનું અધ્યયન કરનાર યુરોપિયન લોકો માટે મનન કરવા યોગ્ય છે. યુરોપીયનોએ એવા કયા સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ જેનાથી જીવનનું અંતર્તમ પરિપૂર્ણ અને વધારે વિશ્વ વ્યાપી એમ કહો કે સંપૂર્ણપણે માનવી બની જવાય અને આ જીવન જ કેમ આવતો જન્મ તથા તથા શાશ્વત જીવન પણ સુધારી જાય, તો હું ફરીથી ભારતનું જ નામ લઈશ. 

મેક્સમૂલર ઉપરાંત એવા ઘણા દાર્શનિકો, તત્વચિંતકો, ઇતિહાસકારો થઈ ગયા જેઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આકર્ષાયા હતા અને ભારતના આશિક બની ગયા હતા. તેમજ તેમનું સમગ્ર જીવન ભારતની પ્રાચીન સંસ્કૃતિના અભ્યાસમાં સમર્પિત કર્યું હતું. માર્કોપોલો તેરમી સદીના ઉત્તરાર્ધમાં એશિયાની યાત્રા કરનાર પ્રથમ યાત્રી હતો. દક્ષિણ ભારતના તત્કાલીન સામ્રાજ્ય વિશે તેનું વિવરણ અત્યંત મહત્વપૂર્ણ છે... ટોમસ કોલબ્રુક (૧૭૬૫થી ૧૮૩૮) ભારતીય સંસ્કૃતિના પ્રકાંડ પંડિત, મહાન ગણીતજ્ઞ અને મહાન જ્યોતિષશાસ્ત્રી હતા... પ્રો.વિલ્સને (૧૭૮૬થી ૧૮૬૦) 'વિષ્ણુપુરાણ', 'ઋગ્વેદ' વગેરેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો હતો. ઇ. વી. કોવેલ (૧૮૨૬થી ૧૯૦૩) 'હર્ષચરિત'નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો... અને જર્મનીના કવિ મી.ગટેએ 'અભિજ્ઞાન-શાકુંતલમ' વાંચી જર્મનીની સડકો ઉપર નૃત્ય કર્યું હતું...

રવિવાર, 2 માર્ચ, 2014

હું ગુજરાતી ભાષાનો એક સૈનિક છું : ચંદ્રકાંત બક્ષી

                                  ચંદ્રકાંત બક્ષીનો રોમહર્ષક શબ્દ વૈભવ 

હું ગુજરાતી ભાષાનો એક સૈનિક છું. અને ૧૯૫૦થી લખું છું. અને ૧૨૭ પુસ્તકોના પ્રકાશન પછી એક નિષ્કર્ષ પર આવ્યો છું. કલાની દુનિયામાં તમારે સર્વોત્તમ બનવાનું ખ્વાબ જોવું પડે છે. અને ખુલ્લી આંખે દિવસભર એ ખ્વાબ જોતા રહેવું પડે છે. લેખક પાસે શું હોય છે? બસ એક જ જિંદગી, એક પ્રાઇવેટ જિંદગી, રાત્રે ટેબલ લેમ્પના ફેંકાતા પ્રકાશ વર્તુળની અંદર ઘૂમરાતી, ફાઉન્ટન  પેનમાંથી ફૂલસ્કેપ કાગળ પર કતરા કતરામાં ટપકતી એક જ જિંદગી... જેની બળી ગયા પછીની ખાકથી આખો ભૂતકાળ ભરેલો પડ્યો છે.
                                                       ***

મૃત્યુનું રહસ્ય કોઈ પુસ્તક, કોઈ ડાયટ ડોક્ટર, કોઈ લેખક સમજાવી શકતો નથી. 'બાફેલી કોથમીર ખાઓ અને લાંબુ જીવો' અથવા 'કોળું ખાઓ અને કીડની સાફ રાખો' જેવી પુસ્તીકાઓનો બજાર મોટો છે. અને આસ્થાથી આવું વાંચીને અને મિત્રોને વંચાવીને ફૂલ ટાઇમ મફત સલાહો આપનારા હિતૈષીઓની ગુજરાતમાં કમી નથી. ગુજરાતીઓ શું ખરીદે છે? પ્રથમ રસોઈના પુસ્તકો, પછી બીમારી (એટલે કે સ્વાસ્થ્ય!)નાં પુસ્તકો અને અંતે ધર્મના પુસ્તકો અને ખરીદનારનો ક્રમ પણ એજ હોય છે. જે તાર્કિક છે! ખાઓ તબિયત બગડો, પછી ધર્મ ધ્યાન કરો.... એક તરફ બધું જ સંભળી સંભાળીને શરીર સાચવી સાચવીને જીવનારા માણસો છે. બીજી તરફ ખુશહાલ માણસો છે. જે તાનાવોમાંથી પસાર થતા રહે છે અને તેમનો રક્તચાપ કે બ્લડપ્રેસર નોર્મલ રહે છે. જીવતો દરેક માનસ વધારે લાંબુ જીવવાની ઈચ્છા રાખે છે. એ મનુષ્ય પ્રકૃતિ છે પણ હું કેમ હજુ સુધી મારી ગયો નથી એની ચિંતા કરનારા ગુજરાતી લેખકો છે જે લગભગ એક બે વર્ષે લેખોના સંકલનો છાપતા રહે છે. એવા લેખો કે વાંચનારને લાગે કે આ રોગ એનેજ થયો છે, કોલેસ્ટ્રોલ કે શ્યુગર હોવાથી માનસ મરી જતો નથી, બ્લડપ્રેસર સતત વધઘટ થતું જ રહે છે. તમે સૂતા હોવ અને ઉભા થાઓ અને ચાલો ત્યારે પણ રક્તના દબાણમાં ફેરફારો તો થતા જ રહે છે. ચોવીસ કલાક એનું મોનીટરીંગ જરૂરી પણ નથી. બહુ શુદ્ધ હવામાં બહુ શુદ્ધ ઓક્ષિજન લીધે ઘણા સારા સારા ગુજરાતીઓ મરી ગયા છે! કારણ? ઓવરડોઝ ઓફ ઓક્ષિઅન...
                                                     ***

ભાષા આંખ, આંગળીઓ, કાન, શરીર, આત્માથી શીખવાની વસ્તુ છે, સ્ક્રૂ ડ્રાઇવર લઈને પ્રેસર ગેજની સામે જોતાં જોતાં પગથ ફૂટપંપ દબાવી દબાવી ભાષા ખોલી શકાતી નથી. આ દિમાગની ચીજ છે. હું માનું છું કે ભાષા શુષ્ક વ્યાકરણ દ્વારા નહિ પણ સંભળી સંભાળીને સંગીતની જેમ શીખવાની વસ્તુ છે... સંસ્કૃત ભાષા માનસ આજીવન શીખતો રહે છે. એ મારા રક્તચાપની લયની ભાષા છે. મારા અતીતરાગની ભાષા છે. મરણોન્મુખ બૌદ્ધિકનો સંસ્કૃત અંતિમ વિશ્રામ છે... પ્રાતઃ કાળે કૂકડો કૂકરે... કૂ... ક અવાજ કરે છે અને અને એ અવાજ પરથી પાણિનીએ હ્રસ્વ અને દીર્ઘ શોધ્યા હતા. 'કુ' ધ્વનિ અને 'કૂ' ધ્વનિ વચ્ચેનો ફર્ક કદાચ કૂકડાના અવાજમાં સૌથી વધારે સ્પષ્ટ છે. પ્રકૃતીઓના ધ્વનિઓ પરથી આપણે ઉચ્ચારણો કરતા ગયા અને ઉચ્ચારણો માટે સંજ્ઞાઓ પ્રકટાવી. અક્ષર, લિપિ, ભાષાના વિકાસની આજ પ્રક્રિયા રહી છે... આ અનુમાન વિશ્વ તદ્દન વૈજ્ઞાનિક કે તાર્કિક નથી. પણ એ રોચક છે. રોમાંચક છે. શબ્દથી અક્ષર સુધી અને સંજ્ઞાથી ધ્વનિ સુધીની સફર સાચી જ હોય એ પણ જરૂરી નથી. પણ ગાયની ખારીના ધૂળમાં પડેલા આકાર પરથી 'વ' અક્ષર જન્મ્યો છે એવું વિધાન છે. નટરાજના ત્રિશૂળ પરથી 'ર' આવ્યો છે. નર્તકના બાવડા પર પહેરતાં બાજુબંધના આકાર પરથી 'ઉ' આવે છે... આપણો 'ળ' કેવી રીતે આવ્યો હશે? વહેતા પાણીની ઉપર સપાટીની તરલ, નાચતા આકાર ઉપરથી? અને એ ખળખળતા પાણીના અવાજ પરથી આપણે 'ળ' પ્રકટાવ્યો હશે?
                                                      ***

લેખિત શબ્દના વિશ્વમાં જ ખંડકાવ્ય કે એપિક કે મહાનવલ કે ક્લાસીક હોઈ શકે છે. ૨૫,૦૦ વર્ષ જૂની લેખન કૃતિ આજે પણ જીવંત રહી શકે છે. સિનેમા કે ટીવીમાં એપિક ન હોઈ શકે, ક્લાસીક સંભવી શકે નહિ. ૧૯૯૩ન વાચકની દ્રૌપદી હતી, ૧૮૯૩ન વાચકની પોતાની દ્રૌપદી હતી, ૧૮૯૩ન વાચકની દ્રૌપદી એના પૂરા પરિપ્રેક્ષ્યને બદલી નાંખે છે. દ્રૌપદીનો પુનર્જન્મ થતો રહે છે. બી.અર.ચોપડાના 'મહાભારત'ની ટીવીની દ્રૌપદી એક આયામી, ફ્લેટ, રક્ત કે રોષ વિનાની ફરતા કટ આઉટ જેવી ઉષ્માહીન દ્રૌપદી છે... લેખકનું લેખન, વાર્તા કે નવલકથા ક્યારે પૂરી થઇ ગણાય? જયારે લેખકની એના સર્જનમાંથી એક અલ્પવિરામ કે એક શબ્દ પણ બદલવાની સત્તા  ખતમ થઇ જાય ત્યારે એ કૃતિ જન્મી ચૂકી છે, લખવાનું ભૌતિક કર્મ સમાપ્ત થઇ ગયું છે. વાચકે કબજો લઇ લીધો છે. 


    

બુધવાર, 22 મે, 2013

Exclusive 2005


માનસ મહાત્મામાં એક અનોખો ત્રિવેણી સંગમ 

પૂ  મોરારી બાપુએ સાબરમતી આશ્રમમાં ગાંધીકથા કરી 


પ્રસ્તુત અહેવાલ 'વિચારધારા' સાપ્તાહિકના ૨૭ ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં પ્રકાશિત થયો હતો - પ્રસ્તાવના અને સંપાદન શ્રી સૌરભ શાહ  

બીજી ઓક્ટોબરે પૂર્ણાહુતી પામેલી પૂ. મોરારી બાપુની રામકથા એક અલગ અંદાજથી શરુ થઈ. સાબરમતી આશ્રમના પરિસરમાં યોજાયેલી આ કથાના આરંભ સમયે અમદાવાદ પાણીમાં ડૂબેલું હતું. આમછતાં કથા નિર્ધારિત દિને શરુ થઈ અને વરસાદ થંભી ગયો, ઉઘાડ નીકળ્યો, નવે નવ દિવસ કોરા રહ્યા. આ કથાના યજમાનની જવાબદારી 'ગુજરાત સમાચાર' દૈનિકના શિરે હતી. અખબારના માલિકતંત્રી શ્રેયાંસ શાહ અને કથાના ઉદ્ઘાટક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે કડવાતૂરા ખાટા તીખા સંબંધો છે તે સૌ કોઈ જાણે છે. ગાંધી કથા નિમિત્તે બેઉ બળિયા ભેગા થયા, જેમાં પૂ.મોરારી બાપુએ સેતુની ભૂમિકા ભજવી. પત્રકારત્વની ચીલાચાલુ ભાષામાં કહીએ તો હવે સમય જ કહેશે કે આ સેતુ પરથી પસાર થઈને સામે છેડે ઉભેલી વ્યક્તિ સાથે દોસ્તી કરવની પહેલ કોણ કરશે. વોચ ધિસ સ્પેસ. અહી કથાના બીજા દિવસે કથાની શરૂઆત પહેલાં થયેલાં ત્રણેય મહાનુભાવોનાં પ્રવચનો તમારા સ્વાદ માટે આપ્યા છે. વાંચશો તો બિટ્વીન ધ લાઇન્સ મઝા આવશે. 

'ગુજરાત સમાચાર'ના માલિકતંત્રી શ્રેયાંસ શાહનું પ્રવચન 
વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ, પાંચ કરોડની જનતાના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, કાર્તિકેયભાઈ, અમૃતભાઈ અને સૌ આમંત્રિત મહેમાનો. જેની પુણ્યભૂમિ ઉપર ઉભા છીએ તે પૂજ્ય મહાત્મા ગાંધીને વંદના. 'ગુજરાત સમાચાર' વતી પૂજ્ય મોરારી બાપુનું, નરેન્દ્રભઈનું અને આપ સૌનું સ્વાગત કરતા ખૂબ, અત્યંત આનંદ હર્ષનો ઉમળકો અનુભવું છું. ચમત્કારોમાં સામાન્ય રીતે હું માનતો નથી, પણ આજની આ કથાનું જે કઈ આયોજન થયું છે તે મારે મન ચમત્કાર સિવાય બીજું કંઈ જ નથી. શુક્રવારની મધ્યરાત્રિએ બાર-એક વાગ્યા સુધી વરસાદ વરસતો હતો, અમારા મનમાં હતું કે અમે આવતી કાલે આ કથાનું આયોજન કરી શકીશું કે નહિ? શુક્રવારે રાત્રે દસ વાગ્યે મોરારી બાપુ સાથે વાત કરી તો મોરારી બાપુએ કહ્યું કે તમે કંઈ ચિંતા ન કરશો. બીજે દિવસે સવારે દસ વાગ્યે બાપુને મળ્યો. કંઈક એવો ચમત્કાર જોયો કે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યા સુધી જે વરસાદ હતો તે ગાયબ થઈ ગયો. દસ દિવસથી સૂર્યના જે દર્શન નહોતાં થતાં તે દર્શન થયાં અને બાપુને મળ્યો ત્યારે નક્કી કર્યું કે આપણે આજની તારીખ સાચવીશું અને પોથીપ્રસ્થાન કરીશું અને આવતી કાલથી રોજના મુજબની બીજી ઓક્ટોબરે આપણી આ કથાનું આયોજન શરુ કરીશું.
આ કથા પાછળ મોરારી બાપુનું મનોબળ ખરેખર ખૂબ મક્કમ હતું કે મારે આ કથા કરાવી છે. અને આ મનોબળના કારણે જ આ થયું છે. પૂજ્ય મહાત્મા ગાંધીનું મનોબળ મક્કમ હતું કે મારે આ દેશને સ્વતંત્રતા અપાવવી છે... જ્યાં જ્યાં તે કથા કરવા જાય છે ત્યાં એમનું મનોબળ હોય છે... મોરારી બાપુની વાત કરું તો મોરારી બાપુ માત્ર ધર્મની કથાઓ જ નથી કરતા એમને સાહિત્ય પ્રત્યે પણ એટલી જ રુચી છે. સાહિત્યકારો હોય, કવિઓ હોય, પત્રકારો હોય, બીજી જે જે કોઈ વ્યક્તિઓ હોય એમના માટેની સવિશેષ રુચી છે. વર્ષમાં એક વાર એ સાહિત્યકારોનું અભિવાદન કરે છે. અને એ અભિવાદન કઈ રીતનું કરે છે એ પણ જાણવા જેવું છે. સાહિત્યકારોને બોલાવે છે, મંચ પર ઉભા રાખે છે, મોરારી બાપુ સરસ વક્તા છે પરંતુ સારા વક્તાએ સારા શ્રોતા થવું એટલે એ દિવસે મોરારી બાપુ જયારે પણ સભામાં બેઠા હોય ત્યારે એ બધાની વચ્ચે એમની વાતો સંભાળે. ત્રણ કલાક બેસે અને ત્યારબાદ એમને સાલ ઓઢાડી એમનું સન્માન કરે. એમને કવિતામાં પણ ઊંડો રસ છે. ધર્મમાં પણ ઊંડો રસ છે અને ધર્મને જે રીતે સમજાવે છે એ ખરેખર અકલ્પનીય છે. 

ગાંધી બાપુની જેટલી સરળતા અને સાદગી છે એટલી જ મોરારી બાપુની સરળતા અને સાદગી છે. એક પ્રસંગ યાદ આવે છે મને. મોરારી બાપુ એક વખત જઈ રહ્યા હતા અને પ્રવાસમાં તેમણે એક વ્યક્તિ મળી. માનસ બહુજ સામાન્ય હતો. ગામ તલગાજરડાની આજુ બાજુનો જ એ વાતની હતો. બાપુને કહ્યું કે બાપુ મારા ઘરે પધારશો? બાપુએ તેમની ટેવ પ્રમાણે હા પાડી. એમના ઘરે ગયા. પછે એણે બાપુને કહ્યું 'લો બાપુ તમે મારા ઘરે આવ્યા છો તો આ બીડી પીશો?' બાપુએ નાં પડી. 'ભાઈ, હું તો બીડી પીતો નથી'. થોડી વાર થઈ પછી પેલા ભાઈએ જાતે પોતે બીડી પીવા માંડી. થોડીવાર પછી ભક્તોએ પૂછ્યું કે બાપુ એ તમારી સામે બીડી ફૂંકતો હતો ત્યારે તમે એને એવું કરવાની ના નહિ પડી? બાપુએ બહુ સરસ શબ્દોમાં કહ્યું 'ભાઈ મારું કામ હું કરતો હતો, એનું કામ એ કરે છે. જીવનમાં દરેક વ્યક્તિ પોતાનું કામ કરે છે. વ્યક્તિ બીજાનો અવરોધ ન કરે તો આ જીવનનું કલ્યાણ થઈ શકે.' આટલા સરળ હૃદયના બાપુ છે. મારે બાપુનો ખાસ ઉપકાર માનવાનો. 'ગુજરાત સમાચાર' સાથે તેમને ૩૦ વર્ષથી સતત સંબંધ રહ્યો છે. ૩૦ વર્ષ પહેલાં પણ 'ગુજરાત સમાચાર' ભવનમાં તેમના પગલા થયાં હતા. આજે પણ એમની જયારે 'ગુજરાત સમાચાર'ને આ કથાનું આયોજન કરવાનું આમંત્રણ આપ્યું હતું એ સ્વીકારીને ખરેખર અમારા ઉપર ઉપકાર કર્યો છે.

ખાસ સવિશેષ આ કથાનું મહત્વ એટલા માટે છે કે ૧૯૩૨માં જયારે 'ગુજરાત સમાચાર'નો જન્મ થયો ત્યારે સ્વતંત્રતાની લડતમાં 'ગુજરાત સમાચાર'એ પણ ઘણું બધું સહન કર્યું હતું... મારે અહી ખાસ ઉલ્લેખ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો કરવાનો રહ્યો. દોઢેક માસ પૂર્વે હું એમને નિમંત્રણ આપવા ગયો હતો ત્યારે બહુજ ઉમળકાથી તેમણે આ નિમંત્રણનો સ્વીકાર કરેલો. બાપુ માટેનો ભક્તિભાવ, 'ગુજરાત સમાચાર' માટેનો પ્રેમ એમને ખૂબ સરળતાથી સ્વીકાર કરી લીધો. એ કહે 'હું મારા બધા જ કાર્યક્રમો કેન્સલ કરીને પણ અહીયાં આવીશ.' શુક્રવારે જયારે મારે એમને ના કહેવાની આવી કે કાર્યક્રમ એક દિવસ માટે મુલતવી રાખ્યો છે ત્યારે એમને સાંજે જ ખ્યાલ આવી ગયો હતો કે વરસાદ છે એટલે મેં ફોન કર્યો છે. નરેન્દ્રભાઈ મને કહે 'મને ખબર છે કે તમે શા માટે ફોન કર્યો છે. વરસાદ છે. હું સમજી શકું છું તમારી લાગણી.' મેં કહ્યું 'હું તમને કદાચ બીજી તારીખ માટે ફોન કરીશ.' બીજે દિવસે મેં જયારે તેમણે ફોન કર્યો ત્યારે એમણે કહ્યું 'તું ચિંતા ન કરીશ. મારું આ ઘર છે. હું ચોક્કસ આવીશ.' અને રવિવાર સાંજ હોય કે સોમવાર એમણે મારા આમંત્રણનો સ્વીકાર કર્યો છે. હું આપ સૌ વતી 'ગુજરાત સમાચાર' વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું... ગુજરાતના મુખ્યમંત્રી અહી બેઠા છે આપણે સૌ એમને એવું મનોબળ આપીએ કે સરસ અને સુરાજ્ય રામરાજ્ય સ્થાપી શકીએ એવી હું આપ સૌ વતી નરેન્દ્ર મોદીને પણ પ્રાર્થના કરું છું. સૌનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રવચન 
રામભક્ત પૂજ્ય બાપુનો આજે જન્મદિવસ છે. પ્રભુ રામને આપણે પ્રાર્થના કરીએ કે અનેકોનેક વર્ષ એમની વાણીનો, એમના જ્ઞાનનો, એમના અનુભવનો લાભ માનવજાતિને મળતો રહે, સમય પ્રમાણે શાસ્ત્રોની વ્યાખ્યા કરીને જન્સમાંજાનું માર્ગદર્શન કરતા રહે અને સમયાનુકૂલ પરિવર્તન માટે થઈને પ્રેરણા આપતા રહે, એ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કારણકે શુભેચ્છાઓ આપવા માટે તો હું નાનો કહેવાઉં, આમ ગોઠે જ નહિ... કે શુભેચ્છા આપીએ આપણે એટલે ઈશ્વરને જ પ્રાર્થના કરીએ કે સઘળું વરસાવે. ગાંધી આશ્રમમાં આજે આ કથા થઇ રહી છે. આને હું બહુજ સામાજિક સંકેત ગણું છું. આને હું ટીકાના અર્થમાં વિચારતો નથી. હું જે વાત કરું છે તેને પુરા સ્વરૂપમાં પકડવામાં આવે, નહિ તો પાછું આમાંય... જોકે કાલે શક્યતા ઓછી છે...

આ પૂજ્ય બાપુની તપોભૂમિ છે. બાપુના ગયા પછી ઘણા વર્ષો પછી પણ એમનાં તાપ, એમનાં તેજ, એમનાં વાયબ્રેશંસ અહી આવનાર પ્રત્યેક વ્યક્તિ અનુભવતી હોય છે. એવી જગ્યાને પણ ક્યારેક ક્યારેક એવા અવસરની જરૂરિયાત હોય છે કે જે અવસર ક્લેરિફિકેશનની પ્રક્રિયાને વધારે તેજ કરે. અને હું માનું છું કે આ અવસર એવો અવસર છે કે પૂજ્ય બાપુના એ તાપોકાળને ફરી એકવાર ચેતનવંતો બનાવવામાં, ફરી એકવાર એના સ્પંદનોને વધારે વિશાળતા તરફ લઇ જનારો બની રહેશે. અને એ અર્થમાં આ તપોભૂમિમાં આ કથા ખૂબ ખૂબ આવશ્યક છે અને એમાંથી પ્રેરણા એ જ કે બધી જ જગ્યાએ, બધી જ વ્યવસ્થાઓમાં, બધી જ વ્યક્તિઓમાં, સમયાંતરે આ પ્રકારનો, ક્લેરિફિકેશનનો યજ્ઞ જરૂરી હોય છે. શુદ્ધિ યજ્ઞ આવશ્યક હોય છે. દરેક વ્યવસ્થા માટે આવશ્યક હોય છે...

કથા મોદી કેમ થઇ? વરસાદ કેમ નડ્યો? બાપુનું તપ કેમ ફળ્યું? આ બધા માટે બધી બાબતો હશે. મને એક કારણ જુદું દેખાય છે. સાબરમતીમાં નર્મદાનું પાણી વહે છે, પણ ઈશ્વરની ઈચ્છા એવી હતી કે આ કથા થાય ત્યારે કમસેકમ એટલા દિવસ તો સાબરમતીમાં સાબરમતીનું પાણી વહે. અને આનંદની વાત છે કે આજે સાબરમતીમાં સાબરમતીનું પાણી છે. ધરોઈ ડેમમાં વર્ષો પછી દરવાજા ખોલવાનો વારો આવ્યો. અને સાબરમતીનું અસલી સાબરમતીનું પાણી આજે સાબરમતીમાં વહી રહ્યું છે અને એવે વખતે જે સાબરમતીના કિનારે તપસ્યા ચાલતી હતી, આઝાદીના જંગનો યજ્ઞ ચાલતો હતો, જ્યાં આહુતિઓ અપાતી હતી, જ્યાં સંકલ્પો લેવાતા હતા એવી આ ભૂમિમાં બુરાઈઓની આહુતીનો અવસર છે...

આજના યુગમાં જગતની અંદર વિચારો, કૃતિઓ, એનો કોઈ તોટો નથી પણ જોટો ન હોય એવી કૃતિઓ ઓછી હોય. તોટો ન હોય એવી કૃતિઓનો અંબર છે. પણ જોટો ન હોય એવી કૃતિઓ ઓછી હોય. એવી કૃતિ એટલે આપણે હજારો વર્ષથી પ્રેરણા આપતું રામચરિત માનસ. આ સમાજની વિશેષતા જુઓ આપના પૂર્વજોએ કેવી પરફેક્ટ વ્યવસ્થા કરી છે કે સનાતન સત્યના પ્રકાશમાં સમાયાનુફૂલ ચિંતન કરીને જે કાલબાહ્ય છે તેની મુક્તિ, જે કાલાતીત છે તેનો અનુગ્રહ અને જે કાલના નિર્માણ માટે આવશ્યક છે તેનો સંગાથ લઈને ચાલવું. આ એક અદ્ભુત વ્યવસ્થા સહસ્ત્રો વર્ષોથી આપણે ત્યાં વિકસેલી છે. આના કારણે મૂળ સનાતન સત્યમાંથી પ્રેરણા લઈને આપણે આજે પણ રામજી આવે અને શીલાને સ્પર્શ થાય અને એમાંથી અહલ્યા બને કે ન બને પણ મનમાં ઈચ્છા તો જાગે કે રામચરિત માનસમાં શું થઇ રહ્યું છે અને સમભાવ છે કે કોઈના મનમસ્તિષ્કમાં પડેલો પથરો પીગળે અને અહલ્યાનું રૂપ એની અંદર આવિષ્કાર થાય જે કલ્યાણના માર્ગે લઇ જાય.

 આ તો એની શક્તિ છે અને આ શક્તિનો ભરોસે જ તો સમાજજીવન ચાલતું હોય છે. રામાયણમાં અનેક પાત્રો છે. હું મારી વાત કરું છું, મને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી પણ મને એમ લાગે કે જટાયુથી વધારે પ્રેરક આજે રામાયણનું કોઈ પાત્ર ન હોઈ શકે. વિશ્વ આખું જયારે આતંકવાદની જકડમાં જકડાયું હોય ત્યારે માનવતાને ખુલ્લે આમ રહેંસી નાખવામાં આવતી હોય ત્યારે, સમગ્ર માનવજાતને ચૂંથી રહ્યા હોય ત્યારે આપણે યાદ આવે એક જટાયુ, જે એ વખતે આતંકવાદ સામે ઝઝૂમવા માટે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળી પડ્યું હતું. એક જટાયુ જેણે અભયમનો સંદેશો આપ્યો હતો. જેણે વીરગતિનો સ્વીકાર કરીને મૂલ્યને માટે મોતને વહાલું કર્યું હતું... અંગ્રેજ સલ્તનતની સામે બાપુનું જીવન આમ તો જટાયુ જેવું. સલ્તનતની સામે મુલ્યોને ખાતર ઝઝૂમતા રહ્યા અને એ તપોભૂમિમાં રામચરિત માનસનો પાઠ થતો હોય અને ત્યારે જટાયુ આપણી સામે આવે ત્યારે અભયામાનો સંદેશો આપણને આપી જાય. પૂજ્ય બાપુ, એમની વાણી, એમનું સમાયાનુકુલ ચિંતન આવનારા દિવસોમાં આપણને સૌને પ્રેરણા અપાતા રહેશે. 'ગુજરાત સમાચાર'ના મિત્રોને આવો એક શુભ પ્રસંગ કર્ણાવતીની ધરતીને આપવા માટે હૃદયપૂર્વક અનેક અનેક અભિનંદન પાઠવું છું. આજે પૂજ્ય બાપુના જન્મદિવસે એમનાં શ્રી ચરણોમાં વંદન કરું છું. જય શ્રી રામ.

પૂજ્ય મોરારી બાપુનું પ્રવચન (*અહેવાલ મોટો હોવાથી પ્રવચનનો સાર રજૂ કર્યો છે)
રામકથાના બીજા દિવસે ઉપસ્થિત આપના રાજ્યના મુખ્યમંત્રીશ્રી આદરણીય નરેન્દ્રભાઈ, સમગ્ર આયોજનના નિમિત્ત માત્ર યજમાન શ્રેયાંસભાઈ અને 'ગુજરાત સમાચાર' પરિવાર, જે તપોભૂમિ પર આપણે બેઠા છીએ તેની સુવ્યવસ્થા કરવામાં લાગેલા આદરણીય અમૃતભાઈ મોદી અને આપ સૌ મારા ભાઈ બહેન અને ટીવીના માધ્યમથી પોતાના ઘરમાં રામકથા સાંભળનાર દરેક શ્રોતા ભાઈ બહેનને વ્યાસ પીઠ પરથી મારા પ્રણામ.

હું જ્યારથી બોલી રહ્યો છું ત્યારથી કહું છું કે રામકથા શું છે? તે મારે એક વાક્યમાં કહેવાનું હોય તો હું કહીશ કે રામકથા સેતુબંધની કથા છે. સેતુબંધમાં પત્થર હોય, ઈંટ હોય એ એક બીજાની જોડવામાં મારી પાસે આ ઈંટ છે. આજે આ બેય જાના કેટલા સારા લાગે છે! આપણા રાજ્ય ગુજરાતના, જેમ પગ ધરતી પર કાયમ રહ્યા, પગે ધરતી છોડી નથી અને એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને 'ગુજરાત સમાચાર'ના મુખ્ય તંત્રી... છતાં પણ સેતુને વારંવાર રીપેર કરવો પડે છે. એક મોટો સેતુ વિચારોનો... હૃદયનો... આજે મને એક હાર્ટસ્પેસીયલીસ્ટે મહુવાથી ફોન કર્યો. તેણે મને કહ્યું કે બાપુ આજે 'વિશ્વ હાર્ટ દે' છે. જેમ ઘણા 'ડે' નીકળ્યા છે ને. એટલા બધા 'ડે' નીકળ્યા છે કે હવે રાત્યું બગાડી નાખી છે... આજે 'હાર્ટ ડે' છે અને જ્યાં ગાંધી બાપુનું હૃદય કુંજ છે એ જ તપોભૂમિમાં આજે હૃદયથી મળતા આ દ્રશ્ય જોઉં છું ત્યારે આનંદ થાય છે. સમગ્ર ગુજરાતના વિકાસ અને રાષ્ટ્ર કલ્યાણની વાત હોય ત્યારે આપણે એક ન થઇ શકીએ? મેં ઈંટ મૂકી છે હવે ધ્યાન રાખજો. શ્રેયાંસ ભાઈએ કહી દીધું કે આપનો આદેશ... ધન્યવાદ....

વિશ્વ વંદનીય ગાંધી બાપુએ શું કર્યું હતું? સબ નાર કરત પરસ્પર પ્રીતિ - રામરાજ્યનું પ્રધાન સૂત્ર છે. એવી સ્થિતિમાં જીવવું એ રામરાજ્યમાં જીવ્યું કહેવાય. ગુજરાતની ઈર્ષ્યા કોને થતી નથી? દૂરરરરર... મુલકો સુધી કોણ સહી શકે છે? અને એમાય આ વખત ધધુંબી એવી વર્ષા થઇ છે... રાજ્ય સત્તા લીલીછમ... લોકોય લીલાછમ... આખી અવની પણ લીલીછમ... બસ મારી વ્યાસપીઠ ચાહે છે કે આ હરિયાળી કાયમ રહે.

મને વિશ્વાસ હતો, મેં શ્રેયનભાઈને પણ કહ્યું અને તેઓ વિવેક થાડા ચૂકે? તેમણે કહ્યું કે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીને નિમંત્રણ આપવા જઈશ, રાજ્યપાલશ્રીને કહીશ પણ તેમને સમય હશે... મેં કહ્યું, જરૂર આવશે સાહેબ, એકવાર જઈને તો જુઓ. અનિવાર્યતા હોય તે અલગ વાત છે. ક્યાંક બહાર ગયા હોય, પણ આવશે, જરૂર આવશે, ઘણો આનંદ થાય છે. સત્તા પાસે વિવેક ન હોય તો સત્તા ટકાઉ નહિ બીકાઉ થઇ જાય છે. એવી જાણ કરવામાં આવી કે અમે મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા તો એમણે કહ્યું કે મોરારી બાપુ જે તારીખ આપે તે મારી તારીખ... સારું લાગે છે. જમાને મેં કઈ ઐસે ભી નાદાન હોતે હૈ વહાં લે જાતે હૈ કશ્તી જહાં તૂફાન હોતે હૈ... હું ઘણો ખુસ થાઉં છું.  હું આજે રાત્રે બંને પાસે બેસી ખૂબ દુઆ દેવાનો છું. એય માતાજી તમને સાજા નરવા રાખે. નરેન્દ્ર મોદી અહી આવ્યા છે. એ શ્રેયાંસ ભાઈ તો યજમાન છે. આથી એક પરિવારમાં બેસીને હું બોલી રહ્યું છું અને અને આ રીતે અમે ઘણીવાર બેઠા છીએ. હરિયાણામાં. કયા નગરમાં કથા હતી? રોહતક, તમે ત્યાના જ પ્રભારી હતા. લોકો કહેતા કે તમે મોરારી બાપુના ભાઈ છો કે મોરારી બાપુ તમારા ભાઈ? આનંદ થાય છે બાપ! ઘણો જ આનંદ આવે છે... હમે હમ જહાં હૈ વહી સે યહ કામ કરના હૈ કે આઓ ગળે લગે મિલે મુશ્કિલ તો હોગી... સૂરજ બનકર દેખ લિયા ન સૂરજ સા રૂપ જળ કર... પત્રકાર જગતમાં પણ આપ આગળ છો. નરેન્દ્રભાઈ ધરતી પર પગ રાખી લોકોની સેવામાં લાગ્યા છે...

ગાંધી જયંતીના દિવસે રામકથાની પુર્ણાહુતી થઇ : એક રિપોર્ટ
શબ્દો ઘણા છે એટલે દિલગીર છું અને ઉપર બધું કહેવાઈ ગયું છે એટલે જરૂર જણાતી નથી. 

સોમવાર, 20 મે, 2013

કાવ્ય અને તસવીરોનો અનોખો સમન્વય


ફોટોગ્રાફર કોઈ અદ્ભુત દ્રશ્ય તેના કેમેરામાં ઝડપે અને તે દ્રશ્ય પરથી કવિ કાવ્ય રચે એમાંથી એક અનોખું સર્જન નિષ્પન્ન થાય. ગુજરાતી ભાષા અને સાહિત્યનું જતન કરવાના ઉદ્દેશ્યથી અસ્તિત્વમાં આવેલ સંગીતકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશીની શબ્દસેતુ સંસ્થા અન્વયે એક અનોખા કાર્યક્રમનું આયોજન અમદાવાદના ટાગોર હોલમાં ૨૬ જુલાઈ ૨૦૦૭ ગુરુવારની રાત્રે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન થયું હતું. કવિનું કાવ્ય, નવલકથાકારની નવલકથા, ગઝલકારોની ગઝલ, વિચારકોના વિચાર, ચિંતકોનું ચિંતન, હસ્યાકારોનું હાસ્ય સાહિત્યની અનેક રંગ છટાઓ શબ્દસેતુની પરિકલ્પનાઓ છે. ગુજરાતી ભાષામાં ઘણું લખાયું છે, લખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ લખાતું રહેશે એમાં કોઈ બેમત નથી પરંતુ શબ્દસેતુની સાધના આ સાહિત્યને લોકો સુધી પહોચતું કરવાની છે.

શબ્દસેતુના આ કાર્યક્રમમાં તસવીરકારોની તસવીરો અને કવિઓના કાવ્યની બેવડી અનુભૂતિ સભાગૃહમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ કરી. એક પછી એક તસવીરો પ્રોજેક્ટર પર પ્રગટ થતી રહી અને તસવીર પર કવિઓએ તેમના કાવ્યનું પઠન કર્યું. કવિ અંકિત ત્રિવેદીએ કાવ્યમય રીતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. કવિઓ અને તસવીરકારોના સર્જનનો રસાસ્વાદ અંકિત ત્રિવેદીની મૌલિકતા વગર કદાચ અધૂરો લાગત.

કાર્યક્રમની શરૂઆત પહેલાં આ તસવીરકારોની ૪૦ તસવીરો પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. ફોટોગ્રાફ્સ સ્પષ્ટ નિહાળી શકાય તે માટે સભાગૃહમાં અજવાળું આછું રાખવામાં આવ્યું હતું. લાઈટ્સની ગોઠવણી કાર્યક્રમ અનુરૂપ હતી. સતેજ પર વિષય અનુરૂપ મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટરની એક બાજુ કવિઓ બેઠા હતા ત્યાં ફોટોગ્રાફરના સિમ્બોલ મુકવામાં આવ્યા હતા અને બીજી બાજુ કવિઓની પ્રતિકૃતિ સમાન કેટલાક પુસ્તકો મુકવામાં આવ્યા હતા. પ્રોજેક્ટર પર ફોટોગ્રાફ્સ દ્રષ્ટિગોચર થતા હતા તેમ તેમ અલગ અલગ કવિઓએ તે તસવીરો પર તેમની કાવ્ય રચનાઓ રજૂ કરી. ક્રમ આ પ્રમાણે હતો - તસવીર પરથી કવિની રચના, ત્યારબાદ એક શબ્દ પરથી ગઝલ કે કંઈક એ પ્રકારનું.

જોગેશ ઠાકરની યાત્રા તસવીર પર કવિ મકરંદ મુસળેએ કાવ્ય રજૂ કર્યું. એક હોડકામાં ગામના લોકો હોય તેવી તસવીર હતી. જેનું યાત્રા એવું નામ કવીએ આપ્યું અને હાસ્યરસ નિષ્પન્ન કર્યો અને ક્લોઝ-અપ શબ્દ પર ગઝલ રજૂ કરી:

લઉં બંધ આંખોથી સમયનો ક્લોઝ-અપ
ખોલું તો બ્લેન્ક ઘટનાઓનો ક્લોઝ-અપ
અહીં કાન આંખો વગરના લોકો
નથી મળતો ચહેરાનો ક્લોઝ-અપ
બધાય ભવ્ય ભૂતકાળ અમને બતાવે
તમારું તખલ્લુસ મકરંદ ક્યાં છે?


સુનીલ આડેસરના સીડીના દ્રશ્ય પરથી હિતેન આનંદપરાએ કાવ્ય રજૂ કર્યું. તેમને ક્લિક શબ્દ આપવામાં આવ્યો અને તેમણે ક્લિક ન કરી શકાય તેવી રચનાની વાત કરી. કેતન મોદીની વૃદ્ધ-વૃદ્ધાની તસવીર પર રઈશ મણિયારે કાવ્ય રજૂ કર્યું જેમાં હાસ્ય-કતાક્ષાનું નિરૂપણ હતું. વૃદ્ધ અને વૃદ્ધા ઓસરીમાં બેઠા છે. વૃદ્ધના હાથમાં છાપું છે અને વૃદ્ધા વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. ડેવલપ શબ્દ પર રઈશ મણિયારે ગઝલ રજૂ કરી:

જો બરાબર થશે આજ ક્ષણ ડેવલપ
એજ કરશે સદીનું વલણ ડેવલપ
કોકનો તેજમાં રંગ ઉડી ગયો
તિમિરમાં થયું કોક જન ડેવલપ
ઊપસે છે પળેપળ જીવનની છબિ
થાય છે સાથે સાથે મરણ ડેવલપ...
વાઘ જેવા મોભીને થાય છે એક જ ફિકર
વનમાં થતા રહે બસ હરણ ડેવલપ...
માર્ગ-યાત્રા-નકશો તૈયાર છે
બસ કરી લે તું ચરણ ડેવલપ
આપણે પણ રઈશ બોલશું જરૂર
થાય જો વાતાવરણ ડેવલપ ...


સમીર પાઠકની રીલીફ કેમ્પની તસવીર પર કવિ મુકેશ જોશીએ કાવ્ય રજૂ કર્યું. બે બાળકોની વચ્ચે તેમના પિતા સૂતા છે. છાતી પર સૂર્યનું અજવાળું દેખાય છે.

થાકેલ સૂરજને લાગ્યું થોભી જાઉ પળભર
તો અજવાળે પોરો ખાધો બાપુની છાતી પર
અને છાતી જાને સ્ટેટ બેંક હોય એવું જણાતું...
બાપુના પરસેવામાં સુખ બપોરે નહોતું
અમીર દિલમાંથી ઢોળાતા સો રંગ
રોજ ગરીબી સાથે એને સત્સંગ
ચ્હાની એ બે ચૂસકી મારી થતા ફ્રેશ...
એ રાતે બાપુને ઉપાડી અધમણ અધમણ ખાંસી...


મનોજ ધોળકિયાની તળાવના કિનારે પાણી પીતી ખિસકોલીના દ્રશ્ય પર કવિ અંકિત ત્રિવેદીએ કાવ્ય રજૂ કરતા કહ્યું, મને ખીસકોલીનો ફોટો કેમ આપ્યો એ નથી સમજાતું. ખિસકોલી મનના તરંગની નીપજ છે. મનોજ ભાઈએ મસ્તીથી તસવીર લીધી છે.

ખિસકોલી પીતી હો પાણી
એ તને કેવી મજાઓ આવે તળાવને
ખાલી માણસને આટલું સમજાવોને
પાણીને થતું કે કોઈ એને પીવે
એનો ખિસકોલી કરે છે મોક્ષ...

અંકિત ત્રિવેદીએ બ્લેક એન્ડ વ્હાઈટ શબ્દ પર આ રજૂઆત કરી:
આંખ સામે આલ્બમ જ્યાં જૂનું આવી જાય છે
બ્લેક એન્ડ વ્હાઇટ સમયમાં પણ રંગ ભીનો થાય છે
બના બોખા સ્મિતવાળો ચહેરો જયારે જોઉં છું
આજ પણ ફોટામાંથી વાર્તા સંભળાય છે
જે દીવાલો પર કરેલા હોય લીટા
એ જ દીવાલો પર ફોટા કંઈક તીન્ગાય છે
એક પણ એન્ગલથી એ મોડેલ જેવા છે નહિ
લગ્ન કરતા મમ્મી પપ્પા કેટલા શરમાય છે...


વિવેક દેસાઈની ઘોડા અને નાના બાળકની તસવીર પર ઉદયન ઠક્કરે કાવ્ય રજૂ કર્યું જેમાં ઘોડાનું માત્ર મસ્તક દેખાય છે અને બાળક ઘોડા સામે ઉભો છે. ઉદયન ઠક્કરના કાવ્યમાં પારિવારિક હાસ્ય પ્રગટ થયું. ફોટા શબ્દ પર તેમણે ગઝલ રજૂ કરી:

આસમાનમાં એકએક લીસોટા પડતા જોયા છે
ને વરસાદી રાતે વાયુના ફોટા પડતા જોયા છે
વચ્ચે આવે સોયનું નાકું બાકી સુખ તો સામે છે
લોકોને મેં મોટા ભાગે ખોટા પડતા જોયા છે...


શશીકાંત મહેતાની છત્રી ઓઢીને બેઠેલા યુવક યુવતીની તસવીર પર ડો.શ્યામલ મુનશીએ કહ્યું, જયારે એક મોટર બાઈક ઉપર એક છોકરો જતો હોય ત્યારે એ વિચારતો હોય કે ક્યાં, ક્યારે, કેટલા પેટ્રોલમાં જવાનું છે. પાછળ છોકરી વળગીને બેઠી હોય તો આ બધા પ્રશ્નો ગૌણ બની જાય છે.

સમય ટપકતો અને ભીની પલ છત્રી નીચે કંઈક વહે છે
ખળખળ ખળખળ છત્રી નીચે ને વૃક્ષ પૂરતું સીમિત ક્યાં રહે છે ચોમાસું...


કાર્યક્રમના બીજા દૌરમાં સૌમિલ મુનશીએ કવિઓ અને તસવીરકારોનું ફૂલોથી સન્માન કર્યું. ત્રીજા દૌરમાં કવિઓને સ્થળ પર જ તસવીરો બતાવવામાં આવી તેના પરથી કાવ્યો અને ગઝલો રજૂ થયા. જેમાં હાસ્ય, કટાક્ષ, કરુણ, શાંત રસો નિષ્પન્ન થયા. અન્નકૂટની તસવીર પર કવિ મુકેશ જોશીએ ધારદાર કટાક્ષો રજૂ કર્યા. ગરીબી-ભૂખમરો, ધાર્મિક વિધિઓમાં અંધશ્રદ્ધા આડંબરો છતી કરતી રચના રજૂ કરી. થોરની તસવીર પર ઉદયન ઠક્કરે રણ વિસ્તારની આંતરિક સ્થિતિનું વર્ણન કર્યું. મનુષ્યના અંતિમ પદવ એવા સ્મશાનમાં ભડભડ સળગતી ચિતાની તસવીર પર કવિ અંકિત ત્રિવેદીએ જીવનમાં સત્યનું, વાસ્તવિકતાનું તાદશ્ય નિરૂપણ કર્યું. ડો. શ્યામલ મુનશીએ રસ્તા વચ્ચે બેઠેલી ગાયોના તોલા વિષે કહ્યું કે ગાયોનો ઉપયોગ કરીએ પણ રસ્તા ઉપર આપણને જોવ મળે ત્યારે ખટકે છે જાણે રસ્તો આપણા બાપનો હોય.

કાર્યકાર્મમાં સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. 



(પ્રસ્તુત અહેવાલ 'વિચારધારા' સાપ્તાહિકના ૧૩ ઓગસ્ટ ૨૦૦૭ન અંકમાં પ્રકાશિત થયો હતો)  

શનિવાર, 4 મે, 2013

તમારા ગામમાં છે કોઈ 'ચિનો'?




ના તેને ચીન કે ચીનાઓ સાથે કોઈ લેવા દેવા નથી અને ચાઇનીજ વાનગી કે વસ્તુઓની પણ કોઈ વાત નથી. તેનું મૂળ નામ તો ચીનુભાઈ છે પણ ગામમાં તેને લાડથી અને મજાકથી અને અપમાનથી  ચિનો કહીને સંબોધિત કરે છે. ઘરડો હોય કે નાનું છોકરું બધા જ તેને ચિનો કહે. જોકે મને ગઈ દિવાળીએ તેની સાચી ઉંમરની જાણ થઇ ત્યારથી માનથી બોલાવવાનો પ્રયાસ કરું પણ આદતવસ  ચિનો એવું મોઢે આવી જ જાય. આ નામ કોણે અને ક્યારે પાડ્યું એ તો એને પણ યાદ નથી પણ બરાબરનું કોઠે પડી ગયું છે ૬૩ વર્ષ થઇ ગયા. ચિનુભાઈ કહીને બુમ પાડો તો ન સાંભળે પણ 'ચિનો' કહો એટલે તરત ડોક ઉંચી થાય. હું તો છેલ્લા પાંચેક વર્ષથી જ અહીં રહું છું પણ અહીં આવ્યાને પાંચ મહિના પણ થયા ન હતા અને ચિનાના દર્શન થઇ ગયા હતા. ઘરની બહાર પગ મુકો એટલે તેના દર્શન અચૂક થાય. ખભા પર ગેસનો બાટલો ઉપાડ્યો હોય કે પછી બીજી કોઈ વજનદાર વસ્તુ. વજન ઉપાડવામાં તેની માસ્ટરી સાફ સફાઈનું કે બીજું કોઈ આડું અવળું કામ તેને ન ફાવે. કોઈ નાની વસ્તુ મંગાવી હોય તો ચાર કલાકે પાછો આવે.  આખા ગામનું કામ કરે પણ રાતે મંદિર કે કોઈ વાડી. બધાયના દૂધ લાવી આપી અને ચા કીટલીની. અત્યાર સુધી કેટલાય બાટલાઓ ઉપડ્યા હશે પણ પોતાનું કનેક્શન નથી. ઘણાના મકાન દુકાન સાફ કાર્ય પણ તેની પાસે કોઈ મકાન દુકાન નથી. મારા ઘરે કંઈક નવું હોય તો અચૂક જમવાનું નિમંત્રણ મળે અને ક્યારેક અમસ્તું જ જમવાનું કહેવામાં આવે અને ઘણીવાર તે ન પણ આવે. હમણા એક દિવસ તેને જમવા બેસાડ્યો અને થાળીમાં ભજીયા અને લાડુ જોયા એટલે પાછા મૂકી દીધા કારણકે તેના કોઈ દૂરના સંબંધીનું અવસાન થયું હતું. ખરેખર તો તેના કોઈ સંબંધીએ ક્યારેય તેની કોઈ દરકાર રાખી નથી પણ ચિનો એનું નામ.

ઘણીવાર તે અદ્રશ્ય પણ થઇ જાય. દિવસો સુધી જોવા ન મળે. પાછો આવે ત્યારે મલકાતો મલકાતો ઘરમાં આવી જાય જાણે મોટું પરાક્રમ કરીને આવ્યો હોય. ખરેખર તો એ કોઈના સંઘમાં કે જાતરામાં સમાન ઉપાડવા ગયો હોય. હમણા વચ્ચે વડોદરા જઈ આવ્યો. ગયો ત્યારે લાગ્યું કે કડી પાછો નહિ આવે પણ તેને વજન ઉપડ્યા વગર જપ નથી વળતી. જોકે હમણાથી એ થાક્યો છે અને પરને વજન ઉપાડતો હોય એવું લાગે.  ગામમાં કોઈના ત્યાં પ્રસંગ હોય કે કથા બેઠી હોય ચીનાને અચૂક યાદ કરવામાં આવે. એ સમયે તેની પાસે બિલકુલ સમય ન હોય. શોષક અને શોષિત બંને ગુલતાન. ઘણીવાર ઘરે દૂરના સગાને ત્યાં ફોન કરાવવા આવે, આમ નજીકના પણ ખરેખર દૂરના. ચિનો મોબાઇલ રાખતો નથી. ખરેખર તો જરૂર જ નથી પણ તેના ખીસામાં કેટલાય વર્ષ જૂની ડાયરી પડી છે જેમાં કૈક નંબરો છે. 

હમણા ચિનાના થોડાક ફોટા પડી મારા પીસીમાં ડાઉન લોડ કરીને બતાવ્યા તો ચીનાભાઇ રાજી થઇ ગયા. ચિનાને ખબર પણ નથી કે મેં તેને દુનિયા સમક્ષ મૂકી દીધો છે. તમારા ગામમાં છે કોઈ 'ચિનો'?

બુધવાર, 1 મે, 2013

વિરલ વિચાર


 * મુસ્તાક હતો સખત પરિશ્રમ પર વિરલ નિષ્ફળ થયા પછી નર્યા વૈતરાનું ભાન થયું.

 *  કોઈ સારી બાબત પર ગર્વ કરવો સારી બાબત છે પણ ગર્વ જ કરતા રહેવું સારી બાબત નથી.

 * સર્જનશીલતા કોઇ મોટા પ્લેટફોમની મોહતાજ નથી હોતી પણ લોકોનું ધ્યાન ખેચવા અવશ્ય મોહતાજ હોય છે.

 * _/\_ માણસ બે રીતે હાથ જોડે »  આદર, વિશ્વાસ, પ્રેમ પ્રગટ કરવા...  હારી, થાકી, કંટાળી... દુનિયામાં આવો વિરોધાભાષ              
            ક્યાંય જોવા નહિ મળે.

  * માવાથી દાંત લાલ થાય, ગુટકાથી થાય પીળા અને સિગરેટથી કાળા, ગમે એટલું મથો તોયે ન રહે છાના તમારા ચાળા.

  * પોતાના વિચારો પર અડગતા અને જાત પર મક્કતા ન હોય તેણે વિરોધીઓ સામે દલિલ ન કરવી.

  * જયારે કોઈ લેખક જાતે જ એવું કહે કે તે સૌથી વધુ વંચાતાં લોકપ્રિય લેખક છે ત્યારે સમજવું કે તેનું વાંચન અને વિચારનું સ્તર      
     એકદમ માર્યાદિત થઇ ગયું છે.

શુક્રવાર, 15 માર્ચ, 2013

સ્વામી વિવેકાનંદ વચનામૃત

જો તમારે ભારતવર્ષને પીછાનવું હોય તો વિવેકાનંદના વચનામૃતોનું અધ્યયન કરો. એમના ગ્રંથોમાં સઘળું ભાવાત્મક છે, અભાવાત્મક કશું નથી. - રવીન્દ્રનાથ ટાગોર

સ્વામીજીના વિચારો વર્તમાનમાં કેવાં પ્રસ્તુત છે એ વાંચ્યા પછી ખ્યાલ આવશે.

* ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહિ. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવાની ઉપાસના કરવી નકામી છે. જેઓ શરીર અને મનથી પવિત્ર છે તેમની પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે પણ જેઓ પોતે અપવિત્ર હોવા છતાં બીજાને ધર્મ ઉપદેશાવા જાય છે તેઓ આખરે નિષ્ફળ નીવડે છે. બાહ્ય ઉપાસના એ આંતર ઉપાસનાનું પ્રતિક માત્ર છે. આંતર ઉપાસના અને પવિત્રતા એ જ સાચી વસ્તુ છે. એ વિના બાહ્ય ઉપાસનાનો કશો જ ઉપયોગ નથી.

 * મૂર્તિપૂજા ખોટી છે એમ કહેવાની જાણે કે એક ફેશન થઇ ગઈ છે. આજ કાલના સૌ કોઈ એ વિષે એક પણ પ્રશ્ન કાર્ય વિના એ ગળે ઉતારી લે છે. એક વખત હું પણ એમ ધારતો હતો. અને એના દંડ તરીકે મારે એક એવા માણસને ચરણે બેસવું પડ્યું હતું કે જેણે બધુંય મૂર્તિઓની મારફત મેળવ્યું હતું. જેનો હું ઉલ્લેખ કરું છું તે છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. જો મુર્તીપુજથી આવા રામકૃષ્ણ પાકતા હોય તો તમારે બીજું શું જોઈએ? સુધારાકોનો સંપ્રદાય કે પુષ્કળ મૂર્તિઓ? મૂર્તિપૂજા દ્વારા જો તમે રામકૃષ્ણ પરમહંસો પૈદા કરી શકતા હોવ તો હજારો વધુ મૂર્તિઓ રાખો અને ફતેહ કરો! આવી ઉચ્ચ પ્રકૃતિના પુરુષો ગમે તે ઉપાયોથી પૈદા કરો એટલે બસ. અને છતાં મુત્રીપુજાને તિરસ્કારવામાં આવે છે! શા માટે? એ કોઈને ખબર નથી. શું સૈકાઓ પૂર્વે કોઈ એક યહૂદી માણસે તેનો તિરસ્કાર કર્યો હતો માટે? પણ એ આદમીએ બીજા બધાંની મૂર્તિઓને ધિક્કારી, માત્ર પોતાની નહિ! એ યહૂદીએ કહ્યું કે જો ઈશ્વરની કોઈ સુંદર મૂર્તિ કે કોઈ સાંકેતિક આકાર બનાવવામાં આવે તો એ ઘણું જ ખરાબ કહેવાય, એ પાપ છે. પણ જો ઈશ્વર એક પેટી રૂપે રજુ થઇ જાય, તેની બે બાજુએ બે પરીઓ બિરાજમાન હોય અને માથે મજાનું એક વાદળું લટકતું હોય તો એ પવિત્રમાં પવિત્ર ગણાય! જો ઈશ્વર એક કબુતર થઈને પધારે તો એ પવિત્ર પણ જો એ ગાય સ્વરૂપે આવે તો એ મૂર્તિપૂજાકોનો વહેમ ગણાય એને તુચ્છાકારી કાઢો! દુનિયા એમ જ ચાલે છે. એટલે તો કવિ કહે છે કે વોટ ફૂલ્સ વી મોર્ટલ્સ બી. કેવા મુર્ખ છીએ અમે માનવો? બીજાની દ્રષ્ટીએ જોતા આવડવું એ કેટલું કઠીન છે? અને એ ન આવડવું એ જ માનવજાતના વિનાશનું કારણ છે. ધિક્કાર અને ઈર્ષ્યાનું મૂળ એ જ છે. ઝઘડા અને મારામારીનું મૂળ એ જ છે.

* એકાદ બે વર્ષ પહેલા એક રશિયન ગૃહસ્થે એક પુસ્તક લખેલું તેમાં તેણે એવો દાવો કર્યો છે કે તેણે ઈશુ ખ્રિસ્તનું એક અજબ ચરિત્ર મળી આવ્યું છે. એ પુસ્તકના એક ભાગમાં એ કહે છે કે બ્રાહ્મણો પાસે અભ્યાસ કરવા ઈશુ જગન્નાથ મંદિરે ગયેલા પરંતુ બ્રાહ્મણોના સંકુચિત વ્યવહાર અને મૂર્તિઓથી કંટાળી જઈને એ તિબેટના લામાઓ પાસે ગયા, ત્યાં પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું અને ઘરે ગયા. ભારતીય ઈતિહાસ વિષે જે કોઈ થોડું ઘણું પણ જાને છે તે તરત સમજી જાય એવું છે કે એ અભિપ્રાય જ આખી વાત બનાવતી છે એમ સાબિત કરે છે. વાત એમ છે કે જગન્નાથનું મંદિર એ એક પ્રાચીન બૌદ્ધ મંદિર છે. આપણે એ તથા બીજાં બૌદ્ધ મંદિરો અપનાવ્યા અને ફરી તેને હિંદુ બનાવી દીધાં. આવું તો આપણે બીજી ઘણીયે બાબતોમાં કરવાનું છે. એ જગન્નાથમાં એ વખતે એકપણ બ્રાહ્મણ ન હતો અને છતાં આપણને કહેવામાં આવે છે કે ઈશુ ખ્રિસ્ત ત્યાં બ્રાહ્મણો પાસે અભ્યાસ કરવા આવેલા! આપણા મહાન રશિયન પુરાતત્વવિદ આવું કહે છે.

* પશુઓ પ્રત્યે દયાનો પ્રચાર કરવા છતાં, ઉચ્ચ નીતીધર્મ હોવા છતાં, શાશ્વત આત્માના અસ્તિત્વ કે તેના અભાવ વિષે અતિશય ઝીણવટભરી ચર્ચાઓ છતાં બૌદ્ધ ધર્મની આખી ઈમારત તૂટી પડી, તેના ટુકડે ટુકડા થઇ ગયા અને એ ભંગાર પણ ધૃણાજનક થઇ પડ્યો. બૌદ્ધ ધર્મની પાછળ જે અનાચાર વગેરે આવ્યા તેનું વર્ણન કરવાનો મારી પાસે સમય નથી અને ઈચ્છા પણ નથી. વધુમાં વધુ ધૃણાજનક ક્રિયાઓ, માણસના ભેજમાં કલ્પાયેલું અને માણસોના હાથે લખાયેલું ભયાનાકમાં ભયાનક અશ્લીલ સાહિત્ય, ધર્મના ઓઠા તળે ચાલેલાં અતિ પાશવી ક્રિયાકાંડો વગેરે બધા અધઃપતિત બૌદ્ધ ધર્મના સર્જન છે.

* માત્ર ભૂતકાળમાંજ નજર નાખ્યા કરવાથી કશો લાભ થવાને બદલે આપણે દુર્બળ બનીએ છીએ એટલે આપણે ભવિષ્ય તરફ દ્રષ્ટિ દોડાવવી જોઈએ એ વાત સાચી છે પરંતુ ભવિષ્યકાળની રચના ભૂતકાળ પર થાય છે. માટે બને તેટલી પાછળ દ્રષ્ટિ નાખી લો. ભૂતકાળના સનાતન ઝરણાઓમાંથી આકંઠ જળપાન કરી લો. ત્યાર પછી આગળ જુઓ. આગળ વધો અને ભારત પૂર્વે હતું તેના કરતા તેને વધુ ઉજ્જવળ, વધુ મહાન અને વધુ ઉન્નત બનાવો. આપણા પૂર્વજો મહાન હતા. પ્રથમ આપણે એ યાદ કરી લેવું જોઈએ. આપણે આપણા અસ્તિત્વના મૂળભૂત તત્વો વિષે, આપણી નશોમાં કયું લોહી વહે છે એ જાણી લેવું જોઈએ. એ લોહીમાં અને ભૂતકાળમાં એ લોહીએ શું શું કાર્ય કર્યું છે તેમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એ ભૂતકાળની મહત્તા વિષેની શ્રદ્ધા તથા ખ્યાલ સાથે અગાઉ કરતા વધુ મહાન એવું ભારતનું ઘડતર આપણે કરવું જોઈએ. સાદો અને અધઃપતનનો કાળ પણ આવી ગયો છે. હું એને ઝાઝું મહત્વ આપતો નથી. આપણે બધા એ જાણીએ છીએ. એવા કાળખંડો જરૂરી હતા. એક વિશાલ વૃક્ષ સુંદર પરિપક્વ ફળ ઉત્પન્ન કરે છે. એ ફળ જમીન પર પડે છે અને ત્યાં તે કોહવાય છે અથવા સડી જાય છે અને સડામાંથી નવું વૃક્ષ નવા મૂળ સાથે જન્મે છે. કદાચ પહેલા વૃક્ષ કરતા એ વધુ મોટું પણ થાય. આ સદાનો કાળ જેમાંથી આપણે પસાર થયા છીએ તે ઉલટો વધુ આવશ્યક હતો. એ સડામાંથી ભાવિ ભારતનો ઉગામ થઇ રહ્યો છે. એનો ફણગો ફૂટ્યો છે. પહેલા કુંપળ નીકળી ચૂક્યા છે અને એક વિશાળ પર્વત્પ્રાય ઊર્ધ્વમૂલ વૃક્ષ દેખાવાની શરૂઆત થઇ ચૂકી છે.

* શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીઓનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્ય હોય અને તે તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતર્યા હોય તો જે માણસે આખું પુસ્તકાલય ગોખી માર્યું છે તેના કરતા તમે વધુ કેળવાયેલા છો. ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી. જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો પુસ્તકાલયો દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત અને વિશ્વકોશો મહાન ઋષીઓ થઇ ગયા હોત. એટલા માટે આદર્શ એ છે કે આપણા દેશનું આધ્યાત્મિક અને વ્યવહારિક બધું શિક્ષણ આપણા પોતાના હાથમાં હોવું જોઈએ તેમજ એ રાષ્ટ્રીય પ્રણાલીવાળું અને બને ત્યાં સુધી રાષ્ટ્રીય પદ્ધતિનું હોવું જોઈએ. અવશ્ય આ એક મોટી યોજના છે. એક ઘણો મોટો આલેખ છે. એનો કડી અમલ થશે કે નહીં તે હું જાણતો નથી. છતાં પણ આપણે કામનો આરંભ તો કરી જ દેવો જોઈએ.

   * આપણે હિંદુઓ છીએ. હું હિંદુ શબ્દ કોઈ પણ પ્રકારના ખરાબ અર્થમાં વપરાતો નથી. તેમજ જે લોકો એમાં કશો ખરાબ અર્થ રહેલો માને છે તેમની સાથે હું સહમત થતો નથી. પ્રાચીન કાળમાં એનો અર્થ ફક્ત સિંધુને પેલે પાર રહેનારા એટલો જ થતો હતો. આજે આપણે દ્વેષ કરનારાઓમાંથી ઘણાએ તેમાં ખરાબ અર્થનું આરોપણ કર્યું હોય પણ કેવળ નામમાં બધું સમાઈ જતું નથી. એટલે હિંદુ શબ્દ જે કઈ મહિમાવંત છેમ જે કઈ અધ્યાત્મિક છે તેના પ્રતિનિધિ તરીકે રહેશે કે ફિટકારના શબ્દ તરીકે એ શબ્દ દલિત અને માલ વિનાના મૂર્તિપૂજકોના સૂચક તરીકે રહેશે તે આપણા પર આધાર રાખે છે. અત્યારે હિંદુ શબ્દનો અર્થ જો કૈક નરસો કરવામાં આવતો હોય તો પણ વાંધો નથી. આપણા કાર્યોથી આપણે બતાવી આપીશું કે કોઈ પણ ભાષાએ શોધી કાઢેલા શબ્દોમાં આ શબ્દ શ્રેષ્ઠ છે. મારા જીવનનો આ એક સિદ્ધાંત છે કે મારે મારા પૂર્વજોથી શરમાવું નહીં. હું એક મગરુરમાં મગરૂર માનસ તરીકે જન્મ્યો છું. પણ હું તમને ખુલ્લા દિલે કહું છું કે એ મગરૂરી મારે પોતાને માટે નથી પણ મારા પૂર્વજો અને મારા ખાનદાનને માટેની છે. જેમ જેમ મેં ભૂતકાળનો વધુ અભ્યાસ કર્યો, જેમ જેમ મેં પાછળ અતીતમાં નજર ફેંકી તેમ તેમ મારું આ અભિમાન વધુને વધુ વધતું ગયું છે. મને એ શબ્દે સામર્થ્ય અને નીશ્ચયાનું બળ આપ્યું છે. પૃથ્વી પરની ધૂળમાંથી ઉભો કર્યો છે અને આપણા એ મહાન પૂર્વજોએ ઘડી રાખેલી વિરાટ યોજનાની પૂર્તિ માટે પ્રવૃત્ત થવાની પ્રેરણા આપી છે. ઓ પ્રાચીન આર્યોના સંતાનો ઈશ્વર કૃપાથી તમારામાં એ અભિમાન ઉતરી આવો. તમારા પૂર્વજો પરની શ્રદ્ધા તમારી રગે રાગમાં પ્રસરી રહો. તમારા જીવનનું એ મુખ્ય અંગ બની રહો અને સમગ્ર વિશ્વનું એ મંગલકારી બનો!

* ભારતીય પ્રજાનો નાશ કરી શકાય એમ નથી. અમર થઈને તે ઉભી છે. જ્યાં સુધી ધર્મભાવના એ પ્રજાના પાયારૂપે રહેશે, જ્યાં સુધી એ રાષ્ટ્રના લોકો પોતાના ધર્મનો ત્યાગ કરશે નહીં ત્યાં સુધી એ ટકી રહેશે. ભલે તેઓ સદાને માટે ભીખારીઓ, ગરીબ અને મેલા રહે. પરંતુ તેમને પોતાના ઈશ્વરનો પરિત્યાગ કદી ન કરવો. તેઓ કદી પોતે ઋષિઓના સંતાન છે તે પણ ન ભૂલે. જે પ્રમાણે પશ્ચિમમાં કોઈ સાધારણ માણસ પણ પોતાને મધ્યયુગના લુટારુઓના સરદાર કોઈક 'બેરન'ના વંશનો હોવાનો સાબિત કરવા પ્રયત્ન કરે છે તે પ્રમાણે ભારતવર્ષમાં સિહાંસનરૂઢ સમ્રાટ પણ પોતાને કોઈ એક અરણ્યવાસી, વલ્કલધારી, જંગલમાં ઉગેલા ફળમૂળ ખાનારા અને બ્રહ્મધ્યાનપરાયણ, ભીક્ષજીવી ઋષિનો વંશજ હોવાનું સિદ્ધ કરવા માથે છે. અમે એવી વ્યક્તિઓના વંશમાં જન્મવાનું ગૌરવ સમજીએ છીએ અને જ્યાં સુધી આ પ્રમાણે પવિત્રતાનું સ્થાન સર્વોચ્ચ રહેશે ત્યાં સુધી ભારતનો વિનાશ થઇ શકે નહીં.

 * તમે ક્ષત્રિયો માંસાહારી છે એમ કહો છો. તેઓ માંસ ખાય કે ના ખાય પરંતુ હિંદુ ધર્મમાં જે કંઈ ભવ્ય અને સુંદર છે તે બધાના સર્જક તેઓ હતા. ઉપનિશદો કોણે લખ્યા? રામ કોણ હતા? કૃષ્ણ કોણ હતા? બુદ્ધ કોણ હતા? જૈનોના તીર્થંકરો કોણ હતા? જયારે જયારે ક્ષત્રીઓએ ધર્મનો ઉપદેશ કર્યો છે ત્યારે ત્યારે તેઓએ સહુ કોઈને કર્યો છે અને જયારે જયારે બ્રાહ્મણોએ કંઈ પણ લખ્યું છે ત્યારે ત્યારે તેઓએ બીજાના કોઈ પણ હક્ક સ્વીકાર્ય નથી. ગીતા કે વ્યાસના સૂત્રો તમે વાંચો. ગીતામાં તમામ સ્ત્રી પુરુષો, બધા વર્ણો અને પ્રજાઓ માટે માર્ગ ખુલ્લો રખાયો છે પણ બિચારા શૂદ્રોને છેતરવા માટે વ્યાસ અને વેદોનો વિકૃત અર્થ કરવાનો પ્રયાસ થયો છે. શું ઈશ્વર તમારા જેવો બીકણ અને મૂર્ખ છે કે તેની દયાની સરિતાનો પ્રવાહ માંસના એક લોચાથી  રોકાઈ જાય? જો ઈશ્વર તેવો હોય તો તેની એક કોડીની પણ કિંમત નથી!