શુક્રવાર, 29 જૂન, 2012

મને ફોટા પાડવા ગમે છે... (five photographs of monkey's play)

                                                    1 


                                                  2


                                                  3


                                                    4


                                                    5


સોમવાર, 12 માર્ચ, 2012

'સમુડી' એટલે મારા ભૂલાયેલા દિવસોની ઝબકતી યાદો

શ્રી યોગેશ જોષી, 


હું આપને માત્ર એકજ વખત મળ્યો છું, 'સાધના' સાપ્તાહિક માટે તમારો ઇન્ટરવ્યુ  કર્યો ત્યારે. એ સમયે સમય અને સંજોગોના આભાવે હું તમને જે કહી ન શક્યો એ અહી લખ્યા વગર રહી શકતો નથી. વાત છે ૧૯૯૮/૯૯  ની. હું પાટણની પી કે કોટાવાલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતો હતો. બી એ માં ગુજરાતી મારો પ્રથમ ગૌણ વિષય હતો અને તમારી લઘુનવલ 'સમુડી' અભ્યાસક્રમમાં હતી. અમારા પ્રેફેસર ભરતભાઈની શૈલી એટલી અદભુત હતી કે એના કારણે સર્જાયેલી ઘટનાઓ મારા દિલ દિમાગમાં હજુ પણ અકબંધ છે. તમરી ૧૧૧ પાનાની લઘુનવલ આખું વર્ષ ચાલી હતી. અહી મારે પુસ્તકની સમીક્ષા નથી કરવી કે નથી કોઈ અન્ય હેતુ સિદ્ધ કરવાનો, માત્ર એટલું જ જણાવવું છે કે કૃતિની સફળતા કેવી હોય? તેમના સર્જન સાથે કેવા લોકો અને કૈક કેટલાય પ્રસંગો જોડાયેલા હોઈ  શકે છે. આ સર્જન પછીનું નવસર્જન છે. ક્યારેક તેના રચયિતા બિલકુલ અજાણ પણ હોય કે તેમના સર્જને કેવી ભાત ઉપસાવી છે?


આમતો લેક્ચરમાં કાયમ વિદ્યાર્થીઓની પાખી હાજરી રહેતી પણ ભરતભાઈના લેક્ચરમાં આખો ક્લાસ વિદ્યાર્થીઓથી ભરાઈ જતો. 'સમુડી' ની કથા આગળ   વધતી ગઈ તેમ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધવા લાગી હતી. વિદ્યાર્થીઓ કથા પ્રવાહ અને વર્ણનમાં એવા તરબોળ થઇ જતા કે ક્યારે નવા તાસ નો ઘંટ વાગતો તેની ખબર પણ ન પડતી. ભરતભાઈ ગુજરાતી  સાહિત્યના ખરા અભ્યાસુ એટલે અન્ય કૃતિયો અને  સર્જકોનો પરિચય પણ કરાવતા. અને કેલેજાના પુસ્તકાલયની સભ્ય સંખ્યા વધી જતી. જેનો મુખ્ય વિષય ગુજરાતી ન હતો તેવા વિદ્યાર્થીઓ પણ ગુજરાતી સાહિત્યમાં રસ લેતા થઇ ગયા હતા. પણ 'સમુડી'નું પુસ્તક અપ્રાપ્ય હતું. કોલેજના પુસ્તકાલયમાં તેની માત્ર બે નકલો હતી અને બીજે ક્યાય એ સમયે મળતું ન હતું. ગાઈડ ખરી પણ ઓરીજનલ પુસ્તક નહિ. અને મેં તો આ લઘુનવલ સ્નાતક થયા પછી વાચી.


ધીરે ધીરે 'સમુડી' આખી કોલેજમાં ચર્ચાનો વિષય બનતી ગઈ. એક વખત તો ક્લાસમાં વધારે પડતા વિદ્યાર્થીઓ જોઇને અમારા સાહેબ ચોંકી ગયા હતા. ખબર પડી કે આ તો અન્ય ક્લાસના વિદ્યાર્થીઓ છે ત્યારે વિચારમાં પડી ગયા હતા. યુક્તિપૂર્વક તેમણે વિદ્યાર્થીઓને ખોટું ન લાગે અને જીજ્ઞાસા પર ચોકડી ન મુકાય તે રીતે તેમના પ્રોફેસરની અને પ્રિન્સીપાલની સંમતિ લેવાનું કહ્યું હતું. ફ્રી લેકચરના સમયમાં તેમણે ક્યારેક લેકચર  અટેન્ડ કરવાની છૂટ આપી હતી. અમારા પ્રોફેસર સાહેબે વગર કડકાઈએ  વિદ્યાર્થીઓને તેમના તાસમાંતો  શિસ્તબદ્ધ કર્યાં જ હતા. સંજોગો વસાત એક બે વિદ્યાર્થીઓ ગેર હાજર હોય તો 'સમુડી' નું પ્રકરણ આગળ વધતું નહિ. જોકે આવું જવલ્લેજ બનતું. ક્યારેક વિદ્યાર્થીઓની હાજરીને માન આપી પ્રકરણ આગળ ચાલતું અને બીજા દિવસે તેનું પુનરાવર્તન થતું! સમુડીના ઉત્તર ગુજરાતની બોલીના સંવાદો સાહેબના મુખેથી નીકળતા ત્યારે હાસ્યની છોળો ઉડતી. શૃંગાર રસનું વર્ણન અને તેના દ્વારા વ્યક્ત થતા મુગ્ધ ભાવોની ફળશ્રુતિ જેટલી સહજ અને કુદરતી રીતે નિરુપિત થઇ છે એટલીજ નિર્દોષતા તે ભણાવવામાં પણ હતી.  


દાયકા ઉપર સમય વીતી ગયો. એ વિદ્યાર્થી મિત્રો કે પ્રોફેસર કોઈ જ અત્યારે સંપર્કમાં નથી પણ જ્યારે જ્યારે પુસ્તકાલયમાં આ પુસ્તક પર મારી નજર પડે છે ત્યારે ત્યારે કોલેજ જીવનના એ દિવસો ઝબકવા લાગે છે. સ્નાતક થયા પછી જે જગ્યા એ ક્યારેય પગ મુક્યો નથી ત્યાં મન પહોચી જાય છે. આ દસ બાર વર્ષના ગાળા દરમિયાન ઘણું વાંચ્યું, મનન - ચિંતન કર્યું, જીવનમાં અને કેરિયરમાં મીઠા અને કડવા ઝેર જેવા અનુભવો પણ થયા. સફળતા - નિષ્ફળતા વચ્ચે અને કૈક લોકોના સંબંધમાં બંધાયા તૂટ્યા પછી પણ 'સમુડી' પ્રત્યેનો અહોભાવ અકબંધ છે. 'સમુડી'માં શું છે? એ મારે નથી કહેવું, સાહિત્યના અભ્યાસુઓએ બખૂબી કહ્યું જ છે. 


'સમુડી' જીવંત છે. 'સમુડી' એટલે મારા ભૂલાયેલા કોલેજ જીવનની ઝબકતી યાદો...      

મંગળવાર, 6 માર્ચ, 2012

'હે રામ' - એક નિષ્ફળ અને ભુલાયેલી ફિલ્મની સમીક્ષા...


'હે રામ' ફિલ્મ પ્રથમ વાર જોઈ ત્યારે મારી ઉંમર ૧૭  વર્ષની હતી, એ પછી તો ઘણી વાર જોવાઈ અને અને ઘણા મિત્રોને એ જોવા કહ્યું પણ ખબર નહિ કોઈએ ખાસ કઈ દિલચસ્પી બતાવી નહિ. છેલ્લા ૧૨ વર્ષ થી જ્યારે પણ ફિલ્મની ચર્ચા થાય ત્યારે આ ફિલ્મ જોવાની ભલામણ કરું છું. ફિલ્મી ચેનલ પર આ ફિલ્મ ઘણી ઓછી બતાવવામાં આવે છે, જ્યારે પણ આવે ત્યારે જોઉં છું અને ઘરના લોકો કંટાળે છે. થીયેટરમાં જોવાનો તો સવાલ જ નથી કારણકે પ્રથમ વાર લાગી ત્યારે જ અમારે ત્યાં માત્ર બે દિવસમાં ઉતારી લેવામાં આવી હતી. પહેલા જ દિવસે બીજા શો માં ગણ્યા ગાંઠ્યા પ્રેક્ષકો હતા અને ઈન્ટરવલ પછી અડધા થઇ ગયા હતા. અને અત્યારે બજારમાં જે સી ડી અને ડી વી ડી મળે છે તેમાંથી 'અમુક' દ્રશ્યો ઉડી ગયા છે, 'કામુક' નહિ.
આ દ્રશ્યો યથાવત છે 

જોકે અન્ય ફિલ્મોમાં આવતા બિનજરૂરી અશ્લીલ દ્રશ્યોની સરખામણીમાં આ દ્રશ્યો શ્લીલ છે કારણકે તે ફિલ્મના પાત્રને બખૂબી   ઉપસાવવા માટે જરૂરી છે. જેને હિંસક દ્રશ્યો કહેવામાં આવ્યા તે અન્ય ફિલ્મોમાં પ્રદર્શિત ગપગોળા કરતા વધારે વાસ્તવિક છે. આ ફિલ્મ પ્રદર્શિત થઇ એ સમયે દૂરદર્શન પર 'સુબહ સવેરે' કાર્યક્રમમાં ફિલ્મ સમીક્ષા કરતા વિપિન હોન્ડાએ ભરપુર વખાણ કરતા કહ્યું હતું કે લોગ જાયે ઔર દેખે ઇસ ફિલ્મ કો. ઇસ તરહ કે દ્રશ્ય જરૂરી હૈ ફિલ્મ કે લિયે...


ફિલ્મની શરૂઆત મરણ પથારીએ પડેલા મુખ્ય પાત્ર સાકેતરામની શારીરિક સારવારથી થાય છે જેમાં તેમનો પૌત્ર ડોક્ટર સમક્ષ દાદાના વ્યક્તિત્વના પશાઓ એક પછી એક ખોલે છે અને ફિલ્મ ફલેશબેકમાં જાય છે. સાકેતરામ મદ્રાસી બ્રાહ્મણ છે અને આર્કીયોલોજીષ્ટ છે જે બંગાળી યુવતીને પરણ્યો છે. અમજદ ખાન તેનો કલીગ કમ મિત્ર છે. અન્ય એક મિત્ર લાલવાણી મોટો બીઝનસમેન છે જે સિંધી છે. સાકેતરામ તેની પત્નીને કલકત્તા મળવા જાય છે ત્યારે ત્યાનું વાતાવરણ તણાવગ્રસ્ત હોય છે, થોડા સમય પછી એ વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. જેમાં સાકેતરામની પત્ની બળાત્કારનો ભોગ બને છે અને તે પણ મુસ્લિમ ગુંડાઓ દ્વારા. સાકેતારામનો જ નોકર તેના સાથીયો સાથે મળી, દગાથી આદુષ્કૃત્ય આચરે છે, સાકેતરામની નજરો સામે. જેના હાથ પગ બાંધી દેવામાં આવ્યા છે, ઘાયલ છે. જેનું લૂણ ખાધું એનેજ લાચાર બનાવી તેની આબરૂના ચીંથરા ઉડાવ્યા. હિન્દુસ્તાનના ઈતિહાસ સંદર્ભે અહી સૂચક છે. લાચાર હિન્દુસ્તાન - રાષ્ટ્રના ટુકડા  આબરૂના લીરા, હિંસાનું નગ્ન નાચ. આ એકજ દ્રશ્યમાં ઘણું કહેવાઈ ગયું છે. આગળ જતા સાકેતરામના કરુણા, રોષ, ગળાની, પીડા, વ્યથા, લાચારી, વિદ્રોહનાં મિશ્રિત ભાવો કમળ હસનના અભિનય અને દિગ્દર્શનથી વ્યક્ત થયા છે. સાકેતરામને ચેન નથી, ચકરાવે ચડે છે. તેના રોશને વધારે ભડકાવે છે અભયંકર અને રચાય છે એક ષડયંત્ર.


ભારતીય ફિલ્મ ઇતિહાસમાં કદાચ આ એકજ એવી ફિલ્મ છે જેમાં 'હિંદુમત' વ્યક્ત થયો છે અન્યથા હિન્દી ફિલ્મોમાં મુલ્લા-મૌલવીઓ અને પાદરીઓની કરુણતા અને પંડિતોની ખંધાઈ, લુચ્ચાઈ અને નીચતાની નવાઈ નથી...


ઇન્ટરવલ પછીનું એક દ્રશ્ય છે જેમાં વૃદ્ધ સાકેતરામને અસ્પતાલમાં ભરતી કરવા લઇ જવામાં આવી રહ્યા છે અને રસ્તામાં તેમની એમ્બુલન્સ રોકવામાં આવે છે - સમય  છે બાબરી તૂટ્યા પછીની કોમી તંગદીલી. સાકેતરામની આંખો ચકળ વકળ થવા લાગે છે : એ જ સમસ્યા! અને સાકેતારામ ભૂતકાળમાં સરી પડે છે. સ્પેશિયલ ઈફેક્ટસથી સાકેતરામને આંધી તુફાન અને અગન જ્વાળાઓને ઝીલતો બતાવવામાં આવ્યો છે. સાકેતારામ મિત્ર લાલવાણીને ભાગલાના પરિણામે બેહાલપ સ્વરૂપે જુએ છે અને પોતાના નિર્ણયમાં મક્કમ થાય છે. અને છેલ્લે  તેની બધી જ મક્કમતા ઢીલી કરી નાખે છે પઠાણ મિત્ર અમજદ  ખાન અને મહાત્મા ગાંધીની એકજ મુલાકાત.

આખી ફિલ્મમાં મહાત્માનું પાત્ર થોડી જ ક્ષણો પુરતું જ છે છતાં કથાવસ્તુ તેમની આસ-પાસ ફર્યા કરે છે જે દિગ્દર્શનની કમાલ છે. કથા- પટકથા,  સ્ક્રીપ્ટ રાઈટીંગ, સંવાદો, ફોટોગ્રાફી, અભિનય, લાઈટીંગ, બેક-ગ્રાઉન્ડ સંગીત  કાબિલે દાદ છે. અને હા આ ફિલ્મ કોમવાદી નથી કારણકે છેલ્લે સાકેતારામનું હૃદય પરિવર્તન થાય છે. સાકેતરામની મક્કમતા અને મહાત્મા એક સાથે 'શૂટ' થાય છે.






ગુરુવાર, 1 માર્ચ, 2012

નર્મદા કેનાલ


નર્મદા નહેર રાનેર -નાનાજીપુરા તાલુકો : શિહોરી (કાંકરેજ) જીલ્લો : બનાસકાંઠા  રાજ્ય : ગુજરાત

Narmada water plant  Nanajipura-Raner ta: shirhori (kankarej) district: Banaskantha State: Gujarat

नर्मदा नहर : नानाजीपुरा-रानेर तालुका : शिहोरी (कांकरेज) जिल्ला : बनासकांठा राज्य : गुजरात 



બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

સોનિયા ગાંધીના અસત્યોનું સત્ય

સુબ્રમણ્યમ સ્વામીના લેખનો ગુજરાતી અનુવાદ વાયા સુરેશ ચિપલૂણકર - તેમની અનુમતિ સાથે 

મારો (મતલબ ડો. સ્વામીનો) સોનિયા ગાંધીનો વિરોધ માત્ર એટલા માટે નથી કે તેમનો જન્મ ઈટલીમાં થયો છે, કારણકે આ કોઈ મુદ્દો નથી પણ ઇટલી સહીત કોઈ અન્ય દેશમાં વિદેશી મૂળના મુદ્દાનો ફેસલો ત્યાના ન્યાયાલયોએ કરેલો જ છે કે સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ પદો પર વિદેશી મૂળની વ્યક્તિ  પદસ્થ ન થઇ શકે પણ ભારતમાં એવો કોઈ કાયદો નથી. ૧૭ મે ૨૦૦૪ ના દિવસે ૧૨ : ૪૫ વાગ્યે રાષ્ટ્રપતિએ મને મળવાનો સમય આપ્યો હતો, એ સમયે મે તેમને કહ્યું હતું કે જો સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે તો હું સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશ અને 'નોંધણી' દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરવાના કારણે તે રદ્દ પણ થઇ શકે છે. 

ભારતીય નાગરીકો માટે સોનિયા ગાંધીના બેક ગ્રાઉન્ડ વિષે માહિતી પ્રાપ્ત કરાવી ઘણું જ અઘરું છે કારણકે ઈટલીમાં જન્મના કારણે અને ત્યાની ભાષાકીય સમસ્યાઓના કારણે પત્રકારો માટે પણ તે અઘરું જ છે.  (ભારતમાં પૈદા થયેલા નેતાઓના બેક ગ્રાઉન્ડ વિષે આપણે કેટલું જાણીએ છીએ?)  છતાં નાગરિકોને જાણવાનો અધિકાર તો છે જ. સોનિયા ગાંધીની સમગ્ર માહિતી તેમના દ્વારા અથવા કોંગ્રેસના વિવિધ મુખપત્રોમાં પ્રશારિત થયેલ સામગ્રી પર આધારિત છે જેમાં ત્રણ જૂઠ સ્પષ્ટ રીતે પકડમાં આવી જાય છે.

પ્રથમ જૂઠ - સોનિયા ગાંધીનું ખરું નામ 'સોનિયા' નહિ પણ 'એન્ટોનિયો' છે, આ વાતનો ઇટાલીના રાજદૂતને ૨૭ એપ્રિલ ૧૯૮૩ માં લખાયેલા પત્રમાં સ્વીકાર થયો છે. આ પત્ર ગૃહ ખાતે પોતાની મરજી થી ક્યારેય સાર્વજનિક કર્યો નથી. 'એન્ટોનિયો' નામ સોનિયા ગાંધીના જન્મ પ્રમાણપત્રમાં અંકિત છે. સોનિયા ગાંધીને સોનિયા એવું નામ તેમના પિતા સ્વ. સ્ટેફાનો માયાનોએ આપ્યું હતું. સ્ટેફાનો માયનો દ્વિતીય વિશ્વ યુદ્ધ સમયે રશિયામાં યુદ્ધ કૈદી હતા. તેમણે એક કાર્યકર્તા તરીકે નાજી સેનામાં કામ કર્યું હતું. જેમકે ઘણા ઇટાલિયન ફાસીવાદીઓએ કર્યું હતું. 'સોનિયા' એક રશિયન નામ છે, ઇટાલિયન નથી. રશિયન જેલમાં સમય વ્યતીત થતા તેઓ ધીરે ધીરે રશિયાના સમર્થક થઇ ગયા હતા. ખાસ કરીને ત્યારે જ્યારે તેમના સહીત ઘણા ફાસીવાદીઓની સંપતિ અમેરિકા દ્વારા જપ્ત અને નષ્ટ કરવામાં આવી હતી. 

બીજું જૂઠ - તેમનો જન્મ ઇટાલીના લુસિયાનામાં થયો હતો, સંસદમાં આપેલ સપથ પત્રમાં ઉલ્લેખિત તેમનું જન્મસ્થાન ઓર્બેસ્સાનો એ ગપ છે. કદાચ તેઓ તેમનું સાચું જન્મ સ્થાન લુસિયાના છુપાવવા ઈચ્છે છે કારણકે તેનાથી તેમના પિતાનો નાજીઓ અને મુસોલીની સાથેનો સંબંધ પ્રગટ થાય છે. ખરેખર તો તેમના પરિવારને યુદ્ધ સમાપ્ત થયા પછી પણ  નાજીઓ અને ફાસીવાદીઓ સાથે સંબંધ હતો જ. લુસિયાના નાજીયોના નેટવર્કનું મુખ્ય કેન્દ્ર હતું અને તે ઇટલી - સ્વીસ સીમા પર આવેલું છે. આ અસત્યનું આજ સુધી તેમના તરફથી કોઈ જ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી.

ત્રીજું જૂઠ - સોનિયા ગાંધી હાઇસ્કૂલથી વધારે આગળ ભણ્યા નથી પણ તેમણે રાયબરેલીમાં ૨૦૦૪ ની લોકસભાની ચૂંટણીમાં એક સપથ પત્રમાં કહ્યું હતું કે તેમણે કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયમાંથી અંગ્રેજીમાં ડીપ્લોમાં કર્યું છે. આજ ખોટી વાત તેમણે ૧૯૯૯ માં લોકસભામાં પોતાના પરિચય પત્રમાં કરી હતી, જે લોકસભા દ્વારા 'હુ ઇજ હુ' નાં નામે પ્રકાશિત કરવામાં આવે છે. પછીથી મેં જ્યારે લોકસભાના સ્પીકરને આ વિષે લેખિતમાં ફરિયાદ કરીને જણાવ્યું કે આ તો હળાહલ અનૈતિક પગલું છે ત્યારે તેમણે આનો સ્વીકાર કરતા કહ્યું કે આવું 'ટાઈપીંગ'ની ભૂલના કારણે થયું છે. (આવી 'ટાઈપીંગ મિસ્ટેક' તો ગિનીજ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામે તેવી છે) સત્ય તો એ છે કે સોનિયા ગાંધીએ ક્યારેય કોલેજમાં પગ પણ મુક્યો નથી. તેઓ જીઅવેનો સ્થિત 'maliaosiliatrees' સ્કૂલમાં  ભણવા જતા હતા. આ સ્કૂલ તેમના તથાકથિત જન્મ સ્થાન ઓર્બેસ્સાનોથી ૧૫ કી.મી દૂર છે. ગરીબીના કારણે ઘણી ઇટાલિયન છોકરીઓ એ દિવસોમાં આવી મિશનરી સ્કૂલોમાં ભણવા જતી હતી અને આમાંથી ઘણી છોકરીઓને અમેરિકામાં સફાઈ કર્મચારી, વેઈટર વગેરે કામ માટે નોકરી મળી જતી હતી. સોનિયાના પિતા રસોયા તરીકે અને માતા ખેતરમાં મજૂરીનું કામ કરતા હતા. (અત્યારે આ પરિવારની સંપતિ કરોડોની થઇ છે!) પછી સોનિયા ઇંગ્લેન્ડ સ્થિત કેમ્બ્રિજ કસ્બાના 'લેન્નોક્સ સ્કૂલ' માં અંગ્રેજી ભણવા ગયા જેથી તેમને કોઈ સન્માનજનક કામ મળી જાય. આ છે તેમનું કુલ શિક્ષણ, પણ ભારતીય સમાજને બેવકૂફ બનાવવા માટે તેમને સંસદમાં ખોટું બયાન આપ્યું (જે નૈતિકતાનું ઉલ્લંઘન પણ છે) ચૂંટણીમાં ખોટું સપથ પત્ર પણ જે ભારતીય દંડ સંહિતા અનુસાર ગુનો પણ છે કારણકે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર ઉમેદવારે પોતાની સંપતિ અને શિક્ષણ વિષે સાચ્ચે સાચી જાણકારી આપવી જરૂરી છે.

કુમારી સોનિયા ગાંધીએ સારા અંગ્રેજીનો પરિચય કેળવવા માટે કેમ્બ્રિજ કસ્બાના વર્સેટી રેસ્ટોરંટમાં કામ કરવાનું શરુ કર્યું જ્યાં ૧૯૬૫ માં પ્રથમવાર તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઇ. રાજીવ તે યુનીવર્સીટીમાં વિદ્યાર્થી હતા અને ભણવામાં ખાસ કઈ ઉકાળ્યું ન હતું. આથી રાજીવ ૧૯૬૬ માં લંડન જતા રહ્યા અને ત્યાં ઈમ્પીરીયલ એન્જીનીયરીંગ કોલેજમાં થોડું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સોનિયા પણ લંડન પહોચ્યા જ્યાં તેમને એક પાકિસ્તાની સલમાન થાસીરને ત્યાં નોકરી મળી ગઈ. સલમાન થાસીર સાહેબનો મોટા ભાગનો વ્યવસાય દુબઈથી સંચાલિત થતો હતો પણ તેઓ મોટા ભાગે લંડનમાજ રહેતા હતા. આ નોકરીથી સોનિયા ગાંધીએ સારા એવા રૂપિયા ભેગા કર્યા, કમસે કામ એટલી કમાણી તો કરી જ કે જેથી તેઓ રાજીવ ગાંધીને આર્થિક મદદ કરી શકે. રાજીવ ગાંધીના ખર્ચાઓ વધી રહ્યા હતા (ઇન્દિરા ગાંધી પણ તેમના આ ખર્ચાઓથી નારાજ હતા અને આ તેમને જ મને જણાવ્યું હતું જ્યારે મારી મુલાકાત બ્રાન્ડેસ વિશ્વવિદ્યાલયના ગેસ્ટ હાઉસમાં થઇ હતી, એ સમયે હું હાર્વર્ડમાં વાણીજયનો પ્રોફેસર હતો) સંજય ગાંધીને રાજીવ ગાંધી દ્વારા લખાયેલા પત્રોથી એ સ્પષ્ટ હતું કે રાજીવ સોનિયાના આર્થિક કરજમાં ફસાયેલા હતા અને રાજીવે સંજય પાસે મદદની અપેક્ષા પણ રાખી હતી કારણકે સંજય તેમના કરજને પહોચી વળવા સક્ષમ હતા. એ સમયે રાજીવ એકલા જ સોનિયાના મિત્ર ન હતા - માધવરાવ સિંધિયા અને એક જર્મન સ્તીગલર પણ તેમના અંગત મિત્રોમાંના એક હતા. રાજીવ ગાંધી સાથે લગ્ન થયા પછી પણ માધવરાવ સાથે તેમની મિત્રતા ચાલુ હતી.

ઘણા ઓછા લોકોને એ ખબર છે કે ૧૯૮૨ ની એક રાતે ૨ વાગ્યે આઈ આઈ ટી દિલ્લી ગેટ સામે માધવરાવ સિંધિયાની કારનો અકસ્માત થયો હતો જેમાં બીજા સવાર સોનિયા ગાંધી હતા. બંનેને ઘણી જગ્યાએ વાગ્યું હતું. આઈ આઈ ટીનાં એક વિદ્યાર્થીએ તેમની મદદ કરી હતી. સોનિયા ગાંધીને કારમાંથી બહાર કાઢી એક રિક્ષામા બેસાડી ઇન્દિરા ગાંધીને ત્યાં મોકલી દીધા કારણકે દવાખાનામાં લઇ જવાથી કેટલાય પ્રશ્નોના જવાબો આપવા પડ્યા હોત. જ્યારે માધવરાવ સિંધિયા પોતાનો તૂટેલો પગ લઈને એકલાજ હોસ્પીટલમાં પહોચ્યા હતા. જ્યારે સોનિયા ગાંધી સમગ્ર દ્રશ્યમાંથી ગાયબ થયા પછી જ દિલ્લી પોલીસે પોતાની ભૂમિકા ભજવવાની શરુ કરી. પાછલા વર્ષોમાં માધવરાવ સિંધિયા સોનિયા ગાંધીના ટીકાકાર થઇ ગયા હતા અને તેમના વિષે 'કૈક વાતો' કરવાનું શરુ કર્યું હતું. આશ્ચર્ય અને શરમજનક બાબત તો એ છે કે ૨૦૦૧ માં સિંધિયાના મૃત્યુ અને તેમની વિમાન દુર્ઘટનાની ઊંડાણથી કોઈ જ તપાસ કરવામાં આવી નથી. જોકે એ જ વિમાનમાં મણિશંકર ઐયર અને શીલા દીક્ષિત પણ પ્રવાસ કરવાના હતા અને છેલી ઘડીએ સિંધિયા સાથે ન જવાની સલાહ આપવામાં આવી હતી.

રાજીવ ગાંધી અને સોનિયાના લગ્ન ઓર્બેસ્સાનોના એક ચર્ચમાં થયા હતા જોકે આ તેમની વ્યક્તિગત અને વિવાદાસ્પદ બાબત છે અને જનતાને આની સાથે કોઈ જ લેવા દેવા નથી પણ જનતાને જે બાબતથી લેવા દેવા છે તે છે - ઇન્દિરા ગાંધી દ્વારા તેમના વૈદિક રીતે પુનઃ લગ્ન કરાવવા જેથી ભારતના ભલા ભોળા લોકોને બહેલાવી ફોસલાવી શકાય અને આ બધું થયું હતું એક સોવિયત પ્રેમી અધિકારી ટી.એન.કૌલની સલાહથી જેમણે ઇન્દિરા ગાંધીને એવું કહીને આ બાબત માટે તૈયાર કર્યાં હતા કે 'સોવિયત  સંઘ સાથે મજબુત રીતે સંબંધ ટકાવવા આ જરૂરી છે'. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે કૌલને આવું કહેવા માટે કોને ઉશ્કેર્યા હતા?

જ્યારે ભારતીય વડાપ્રધાનનો દિકરો લંડનમાં એક યુવતીને પ્રેમ કરતો થઇ જાય ત્યારે રશિયાની જાસુસી સંસ્થા 'કે જી બી' ચુપ કઈ રીતે રહી શકે જ્યારે ભારત રશિયાના સંબંધો મધુર હોય અને સોનિયા એ સ્તેફનોની દીકરી હોય જે સોવિયત ભક્ત બની ચુક્યો હોય. આથી સોનિયા - રાજીવના લગ્ન ભારત - સોવિયત સંબંધો અને કેજીબીના ફયાદામાજ હતા. રાજીવ સાથે લગ્ન થયા બાદ માયાનો પરિવારના સોવિયત સાથેના સંબંધો વધારે મજબુત થયા અને કૈક સૌદાઓમાં તેમને દલાલીની રકમ પણ આપવામાં આવી.  ડો. એવેગ્નીયા અલ્બાત્સ (પી.એચ.ડી હાર્વર્ડ) જાણીતી રશિયન લેખિકા અને પત્રકાર છે. તેઓ ૧૯૯૧ માં એક આયોગના સદસ્ય હતા. તેમણે પોતાના પુસ્તક 'ધ સ્ટેટ વિદીન અ સ્ટેટ : ધ કેજીબી ઇન સોવિયત યુનિયન' માં કેટલાક દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે, આ દસ્તાવેજોને ભારત સરકાર જ્યારે ઈચ્છે ત્યારે એક અરજી કરીને જોઈ શકે છે. ૧૯૯૨ માં રશિયન સરકારે ડો.અલ્બત્સ્ના આ છતાં થયેલ રહસ્યોનો સ્વીકાર કર્યો જોકે ૧૯૯૨ માં 'હિંદુ'માં તે પ્રકાશિત થઇ ચુક્યું છે. તે પ્રવક્તાએ એવું પણ કહ્યું કે સોવિયત આદર્શો અને સિદ્ધાંતોનો ફેલાવો કરવ માટે આ પ્રકારના પૈસા માયનો અને ચૂંટણી  દરમિયાન કોંગ્રસના ઉમેદવારોને અપાતા રહ્યા છે.

૧૯૯૧ માં રશિયાના વિઘટન પછી જ્યારે રશિયા આર્થિક રીતે ભીંસમાં આવ્યું ત્યારે સોનિયા ગાંધીના આ પૈસાનો સ્ત્રોત સુકાઈ ગયો અને સોનિયાએ રશિયાથી મોઢું ફેરવવાનું શરુ કર્યું. મનમોહનસિંહ જેવા સત્તા પર આવ્યા કે તરતજ રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ પુતિન ( મૂળ લેખ લખાયો ત્યારે - અનુવાદક) જેઓ  ઘૂંટાયેલા  કેજીબીના જાસુસ રહી ચુક્યા છે. તેમણે તરતજ દિલ્લીમાં રાજદૂત તરીકે પોતાના ખાસ માણસની નિમણુંક કરી જે તેમનો ઈતિહાસ અને તેમના પરિવારના  રશિયા સાથેના  સંબંધો વિષે બધું જ જાણતો હતો. હવે અત્યારે જે સરકાર ચાલે છે તે સોનિયા દ્વારા જ ચાલે છે એવું ભારતામાજ બધા જાણે છે તો પછી વિદેશી જાસુસ કઈ મુર્ખ તો નથી જ, આથી એ રાજદૂતના માધ્યમથી ભારત - રશિયા સંબંધ એક નવા જ દૌરમાં પ્રવેશી ચુક્યો છે. આપણે ભારતવાસી રશિયા સાથે ગઢ મિત્રતા ઈચ્છીએ છીએ, રશિયાએ જયારે - ત્યારે આપણી મદદ પણ કરી છે, પણ શું માત્ર એટલા માટે આપણે તે લોકોનો સ્વીકાર કરવો જોઈએ જેઓ રશિયન જાસૂસો સાથે જોડાયેલા રહ્યા હોય? અમેરિકામાં પણ કોઈ અધિકારીને ઇઝરાયેલ માટે જાસુસી કરતા સહન ન કરી શકે ભલેને અમેરિકાના ઇઝરાયેલ સાથે ગમે તેવા મીઠા સંબંધો કેમ ન હોય. સંબંધ તેની જગ્યાએ છે અને રાષ્ટ્રહિત અલગ બાબત છે. ડીસેમ્બર ૨૦૦૧ માં મેં દિલ્લી હાઇકોર્ટમાં અરજી આપી બધા દસ્તાવેજો પ્રસ્તુત કરી સોનિયા અને કેજીબીના સંબંધોની સીબીઆઇ તપાસની માંગણી કરી જેને વાજપેયી સરકારે ફગાવી દીધી હતી. એ પહેલા તત્કાલીન રાજ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ૩ માર્ચ ૨૦૦૧ ના દિવસે આ કેસની સીબીઆઇ તપાસનો આદેસ આપ્યો હતો પણ કોન્ગ્રેસીયો દ્વારા સંસદમાં હોબાળો મચાવી કાર્યવાહી ઠપ્પ કરાઈ હોવાથી વાજપેયીએ વાસુન્ધારાનો એ હુકમ ફારજ કરી નાખ્યો હતો. દિલ્લી હાઇકોર્ટે મે ૨૦૦૨ માં રશિયા વિષે તપાસ કરવા હુકમ કર્યો. સીબીઆઇએ બે વર્ષ સુધી 'તપાસ' (?) કર્યા પછી 'એફ આઈ આર નોંધ્યા  વગર' કોર્ટને એવું જણાવ્યું કે સોનિયા અને રશિયનો વચ્ચે કોઈ જ સંબંધ નથી, પણ સીબીઆઇને FIR નોંધતા કોણે અટકાવી? વાજપેયી સરકારે, શા માટે? એ આજ સુધી રહસ્ય જ છે. આ કેસની આગલી સુનાવણી થવાની છે પણ સોનિયા હવે 'નિર્દેશક'ની ભૂમિકામાં આવી ગયા છે અને સીબીઆઇ પાસેથી કોઈ પણ સ્વતંત્ર કાર્યની અપેક્ષા રાખવી નકામી છે. 
 આગળ ચાલુ રહેશે ( નવું પ્રકરણ ) જેમાં  જોઈશું કેટલાક વણઉકલ્યા અને ખળભળાવી મુકનારા પ્રશ્નો... ત્યાં  સુધી ટીકાઓનું સ્વાગત છે...

શુક્રવાર, 24 ફેબ્રુઆરી, 2012

મારી મજૂરીનો રંગ કાળો તારી મજૂરીનો રંગ કયો?

શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમરમાં; રમવાની, ઊછળ-કૂદ, ધીંગા મસ્તી કરવાની ઉંમરમાં શારીરિક શ્રમ કરાવવો તે ગુનો છે જેને બાળ મજૂરી એવું નામ આપવામાં આવ્યું છે. ગરીબ માતા-પિતા તેમની મજબુરીના નામે બાળકોને આ બાળ કર્મ કરવા મજબુર કરે છે. ક્યારેક અનાથ બાળકો કે જેના માતા પિતા આ દુનિયા માં નથી કે નથી કોઈ સ્વજન એવા બાળકો યોગ્ય દિશા ન મળતા સ્વેચ્છાએ બાળ મજુરી સ્વીકારે છે. આ બાળકોને યોગ્ય ન્યાય અપાવવા અને તેનું ભલું કરવા માટેની સંસ્થાઓ પણ છે તેમ છતાં આ પ્રમાણ અટક્યું કે ઘટ્યું નથી એ પણ સ્વીકારવું રહ્યું.

અને મને તો ચાની કીટલી, રેલવે સ્ટેસન પર, ગેરેજ, પેટ્રોલ પંપ અને દુકાનોમાં તો ક્યાંક ભિખારીના સ્વરૂપે બાળકોની કરુણતા રોજ રોજ અનિચ્છાએ પણ જોવા મળે જ છે અને ક્યારેક ટી વી ની સ્ક્રીન પર રીયાલીટી શોમાં અને જાહેરાતોમાં બાળકો પર થતા માનસિક ત્રાસ જોઉં છું ત્યારે અનાયાસે સરખામણી થઇ જાય છે. ત્યાં શારીરિક કષ્ટ, પીડા, અવહેલના, અપમાન અને અહી માનસિક ત્રાસ, પીડા, અવહેલના, અપમાન.  

કાળી મજૂરી 

આ મજૂરીનો રંગ કયો? 

રીયાલીટી શોમાં પ્રથમ ન આવનાર, પ્રતિસ્પર્ધામાંથી બહાર ધકેલાઈ જનાર  બાળકોનું રુદન અને આંસુ અને સંતાપ જોઉં છું ત્યારે પ્રશ્ન થાય છે - મારી મજૂરીનો રંગ કાળો તારી મજૂરીનો રંગ કયો?


 તસવીર સૌજન્ય : (1) maharashtrfider.com (2) crossedthought.blogspot.com
 ( બંને તસવીરોમાં વિષય ભિન્નતા હોઈ શકે છે, પ્રસ્તુતું લખાણને અનુરૂપ હોવાથી
 અહી બંને એક સાથે  મૂકી છે)  

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

હજુ તો હું શીખું છું...

હજુ તો હું શીખું છું અને ઘણું શીખવાનું બાકી છે.આ વલણ એક જિજ્ઞાસુ અને નવું જાણવા, સમજવા અને શીખવા માટે તત્પર રહેનાર વ્યક્તિનું છે. પણ   ઘણા લોકો પોતાની જાતને સંપૂર્ણ માની લેતા હોય છે અને જેટલુ જાણ્યું સમજ્યું હોય એટલામાંજ ગોથા ખાતા હોય છે. ત્યાજ નવું જાણવા સમજવા માટેના દરવાજા બંદ થઇ જાય છે એવું મારું માનવું છે.

જ્યારે તમે કોઈ વ્યક્તિને કઈ પૂછો અને તે એવું માની લે કે  પૂછનાર વ્યક્તિ સાવ ડફોળ છે આને તો કઈ સમજણ જ નથી પડતી એવી વ્યક્તિ પાસે થી કોઈ જ અપેક્ષા ન રાખવી જોઈએ કારણ કે આવું સમજનાર વ્યક્તિ એવું વલણ ધરાવતી હોય છે કે પોતે સર્વ ગુણ સંપન્ન છે.

પૂછતા નર પંડિત થાય એ વાત સાચી પણ કોને અને કેવા વ્યક્તિને પૂછવું એ પણ સમજી લેવું જોઈએ. કેટલીક વ્યક્તિઓ તમારો મત જાણવા કે તમારો આઈ ક્યું જાણવા પણ તમને સવાલ કરી શકે છે. અને તમને કોઈ વ્યક્તિ કોઈ સવાલ કરે ત્યારે એમ ન માની બેસવું જોઈએ કે પૂછનાર અજ્ઞાની છે. દરેક વ્યક્તિ દરેક વિષયમાં પારંગત હોય તે શક્ય નથી અને તે જરૂરી પણ નથી. જરૂરી છે નવું જાણવા અને સમજવા તત્પર રહેવું.

અને એ તત્પરતા જ વ્યક્તિનું દિમાગ ખોલી નાખે છે. કોઈ ગુરુ કે માર્ગદર્શકની જરૂર નથી રહેતી. કોઈએ સમજાવેલું કે શીખવેલું કદાચ ભૂલી જવાય કે દિમાગમાંથી નીકળી જાય પણ જાતે અનુભવેલું અને શીખેલું ક્યારેય ભુલાતું નથી.

મારા આ લખાણમાં દોષ હોઈ શકે છે, અધૂરપ પણ હોઈ શકે છે. હું ક્યાં વિદ્વાન હોવાનો દાવો કરું છું - હું તો હજુ શીખું છું.